પિતાએ 2 વર્ષની પુત્રી સાથે પાણીના ટાંકામાં કૂદી કર્યો ‘તો આપઘાત
જસદણમાં ત્રણ દિવસ બની હતી ઘટના, પુત્રીની કસ્ટડી માટે પત્ની અને તેનો પ્રેમી જાનથી મારી નાખવાની અને ખોટા કેસમાં ફસાવી દેવાની સતત ધમકીઓ આપતા
મૃતક યુવાનની માતાએ નોંધાવ્યો ગુનો
જસદણમાં ત્રણ દિવસ પૂર્વે પિતાએ પોતાની બે વર્ષની માસૂમ પુત્રી સાથે પાણીના ટાંકામાં ઝંપલાવીને જીવન ટૂંકાવી દીધું હતું. આ બનાવમા ખુલાસો થયો છે કે, પત્ની અને તેના પ્રેમી દ્વારા પુત્રીની કસ્ટડી મામલે અપાતા સતત ત્રાસ અને જાનથી મારી નાખવાની ધમકીઓથી કંટાળીને યુવાને આ અંતિમ પગલું ભર્યું હતું. આ મામલે જસદણ પોલીસે પત્ની અને તેના પ્રેમી વિરુદ્ધ મરવા મજબૂર કરવા અંગેનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, જસદણની ગેબનશાહ સોસાયટી શેરી નં. 2 માં રહેતા 45 વર્ષીય હસીનાબેન આરીફભાઈ પરીયાણીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તેમના મોટા દીકરા ફયાજ ના લગ્ન સાતેક વર્ષ પહેલાં જૂનાગઢની ફિરદોષ મુંઢવા સાથે થયા હતા. દંપતીને સંતાનમાં એક દીકરો અને એક દીકરી નૂરફાતેમા હતા. જોકે, બે મહિના પહેલાં હસીનાબેનને જાણ થઈ હતી કે તેમની પુત્રવધૂ ફિરદોષને જસદણના જ હુસેન ઉર્ફે લાલા અસલમ ખિયાણી સાથે પ્રેમસંબંધ છે. હુસેન ઘણીવાર તેમના ઘર સામે આવીને ઊભો રહેતો અને ફોન પર વાતો કરતો. ફયાજને આ વાતની જાણ હોવા છતાં, પોતાનું ઘર ન ભાંગે અને બાળકો રઝળી ન પડે તેવા ડરથી તે બધું મૂંગા મોઢે સહન કરતો અને ખૂબ ઉદાસ રહેતો હતો.
થોડા દિવસો પહેલા ફિરદોષ કોઈને કહ્યા વગર પોતાના બંને બાળકોને ઘરે મૂકીને ચાલી ગઈ હતી. બાદમાં જ્ઞાતિના આગેવાન સાથે ફોન પર વાત થતાં ફિરદોષે સ્પષ્ટ કહી દીધું હતું કે, તે ફયાજ સાથે રહેવા માંગતી નથી અને લાલ સાથે જતી રહી છે તેમજ હવે તેની સાથે જ રહેશે અને લગ્ન કરી લેશે.બે-ત્રણ દિવસ પછી લાલાએ ફયાજ સાથે વાત કરી ધમકી આપી હતી કે, “તારી દીકરી નૂરફાતેમા મારી અને ફિરદોષની દીકરી છે, તેને મારી પાસે મોકલી આપ, નહિતર તને જીવતો નહીં રહેવા દઉં.” બીજા દિવસે ફિરદોષે પણ ફયાજને ફોન કરીને દીકરી સોંપી દેવા દબાણ કર્યું હતું અને જો નહિ સોંપે તો ખોટા કેસમાં ફસાવી દઈ પતાવી દેવાની ધમકી આપી હતી.
પત્ની અને તેના પ્રેમીની આ સતત ધમકીઓથી ફયાજ ખૂબ જ ડરી ગયો હતો અને માનસિક રીતે ભાંગી પડ્યો હતો. તેણે પોતાની માતાને કહ્યું હતું કે, “મારી દીકરી હું એ લોકોને કેમ સોંપી દઉં? આ બંને મને ખૂબ ત્રાસ આપે છે અને મારાથી આ સહન થતું નથી.”ગત તા. 22મીની રાત્રે દીકરી નૂરફાતેમા ખૂબ જ રડતી હતી, જેથી ફયાજ અને તેની માતા આખી રાત જાગ્યા હતા. સવારે સાત વાગ્યે દીકરી સૂઈ ગયા બાદ, ફયાજે માતાને આરામ કરવા કહ્યું હતું. થોડીવાર પછી જ્યારે હસીનાબેનની ઉંઘ ઉડતા ઘરમાં ફયાજ અને નૂરફાતેમા જોવા મળ્યા ન હતા. શોધખોળ કરતાં અગાસી પર આવેલા પાણીના ટાંકામાંથી પિતા અને પુત્રી બંનેના મૃતદેહ મળી આવ્યા હતા.આ બનાવ અંગે હસીનાબેનની ફરિયાદના આધારે જસદણ પોલીસે પુત્રવધૂ ફિરદોષ મુંઢવા અને તેના પ્રેમી હુસેન ઉર્ફે લાલા અસલમ ખિયાણી સામે મરવા મજબૂર કરવાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
