રાજકોટમાં ‘મીઠો’ વિવાદ, 40 પત્રકારોનું ભોજન કે 4800 સ્ટાફનું બિલ?”
રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો તોડવાની કામગીરી તો ચર્ચામાં રહી જ, પણ તેની સાથે પીરસાયેલી કાજુ કતરીએ નવો વિવાદ જન્માવ્યો છે. 3 દિવસ સુધી ચાલેલી ડીમોલેશન ડ્રાઇવ દરમિયાન પ્રેસ કોન્ફરન્સમાં પીરસાયેલી 34 હજારની કાજુ કતરીને લઈને સવાલો ઊઠ્યા છે. મનપા આરોગ્ય અધિકારી ડો. જયેશ વકાણીએ સ્પષ્ટતા કરી કે 4800થી વધુ સ્ટાફ માટે નાસ્તાની વ્યવસ્થા હતી, પણ મુદ્દો તો એ છે કે માત્ર 40-50 પત્રકારો માટે આટલો ખર્ચ કેમ?
4800 સ્ટાફ, 7 ઝોન, 3 દિવસની કામગીરી
રાજકોટ મનપાએ જંગલેશ્વર વિસ્તારમાં 3 દિવસ સુધી મેગા ડીમોલેશન ડ્રાઇવ હાથ ધરી. આ કામગીરીમાં ફાયર, PGVCL, આરોગ્ય, પોલીસ, મેડિકલ સહિતના વિભાગોનો મોટો સ્ટાફ ઉતારવામાં આવ્યો. કુલ 4800થી વધુ કર્મચારીઓ તૈનાત હતા જેમાં 2300 પોલીસ કર્મી, 25 મેડિકલ ટીમ, 100 વીડિયોગ્રાફર અને મોટી સંખ્યામાં મજૂરો સામેલ હતા. 7 ઝોનમાં કામ ડિવાઇડ કરીને ચલાવવામાં આવ્યું હતું. મશીનો અને અન્ય સાધનો સ્ટાફ પણ મોટા પ્રમાણમાં હાજર હતો.
કોન્ટ્રાક્ટથી નાસ્તાની વ્યવસ્થા, પ્રેસ કોન્ફરન્સમાં કાજુ કતરી
આરોગ્ય અધિકારી ડો. જયેશ વકાણીના જણાવ્યા મુજબ 4800થી વધુ સ્ટાફ માટે રિફ્રેશમેન્ટ અને નાસ્તાની વ્યવસ્થા માન્ય સંસ્થાને કોન્ટ્રાક્ટ આપીને કરવામાં આવી હતી. ડે વાઇઝ ચા, પાણી અને નાસ્તો આપવામાં આવતો હતો. ડીમોલેશન દરમિયાન મીડિયા બ્રીફિંગ માટે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કાજુ કતરી અને સમોસાની વ્યવસ્થા રાખવામાં આવી હતી.
34 હજારનું બિલ અને સૌથી મોટો સવાલ
હવે વિવાદનું મૂળ એ જ છે. 40 થી 50 પત્રકારો માટે 34 હજારની કાજુ કતરી કેવી રીતે? જો 4800 સ્ટાફનું બિલ હોય તો વાત અલગ, પણ પ્રેસ કોન્ફરન્સના નામે માત્ર મીડિયા માટે આટલો ખર્ચ વાજબી છે ખરો? જનતાના ટેક્સના પૈસે પીરસાયેલી ‘મીઠી’ જીયાફતથી લોકોમાં રોષ છે. સોશિયલ મીડિયામાં પણ સવાલો થઈ રહ્યા છે કે કામગીરીના નામે આલીશાન નાસ્તો જરૂરી હતો ખરો?
મામલો હવે રાજકીય રંગ પણ પકડી રહ્યો છે. પારદર્શિતાના નામે મનપાએ ખર્ચની વિગતો જાહેર કરવી જોઈએ એવી માંગ ઉઠી છે.
