ચંદા ચોરોએ 3 થી 4 કરોડની રોકડ રકમ ચોરી ગયા હોવાની આપી કથિત કબૂલાત
ટ્રસ્ટી અનિલ મિશ્રા ઉપર પણ તોળાતી ધરપકડની તલવાર
અયોધ્યાના રામ મંદિરના દાન કાઉન્ટિંગ સેન્ટરમાં થયેલા કરોડો રૂપિયાના ગોટાળાની તપાસમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. SITની તપાસ મુજબ શરૂઆતમાં 500 રૂપિયાની એક બે નોટ કપડાંમાં સંતાડીને બહાર કાઢનારા કર્મચારીઓ બાદમાં નોટોના બંડલો સુધી પહોંચ્યા અને અંતે કરોડો રૂપિયાની રોકડની કથિત ઉચાપત કરી. આરોપીઓએ પૂછપરછ દરમિયાન અંદાજે રૂપિયા 2થી 3 કરોડ (કેટલાક તપાસ સ્ત્રોતો મુજબ 3થી 4 કરોડ રૂપિયા સુધી)ની ચોરીની કથિત કબૂલાત કરી હોવાનો તપાસ એજન્સીઓનો દાવો છે. હવે આ કેસમાં પૂર્વ ટ્રસ્ટી અનિલ મિશ્રાનું નામ પણ ઉમેરવાની તૈયારી ચાલી રહી છે.
રામ મંદિરના દાન કાઉન્ટિંગ વિભાગમાં કામ કરતા છ કર્મચારીઓએ નોકરીમાં જોડાયાના બે-ત્રણ મહિનામાં જ ચોરી શરૂ કરી હતી, એવો SITનો દાવો છે. શરૂઆતમાં તેઓ કપડાંમાં 500 રૂપિયાની એક-બે નોટ સંતાડીને બહાર લઈ જતા હતા. કોઈને શંકા ન જતાં તેમનો આત્મવિશ્વાસ વધતો ગયો અને ત્યારબાદ તેઓ નોટોના બંડલો બહાર કાઢવા લાગ્યા. તપાસ અનુસાર, આ જ રીત ધીમે ધીમે કરોડો રૂપિયાની કથિત ઉચાપત સુધી પહોંચી હતી
તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે દાન કાઉન્ટિંગ રૂમમાં લગાવેલા CCTV કેમેરા હોવા છતાં તેની અસરકારક દેખરેખ રાખવામાં આવતી નહોતી. ઘણી વખત કંટ્રોલ રૂમ ખાલી રહેતો હોવાથી કર્મચારીઓને રોકડ બહાર કાઢવામાં સરળતા રહેતી હતી. SITનું માનવું છે કે સુરક્ષા વ્યવસ્થા નહોતી એવું નહીં, પરંતુ પહેલેથી બનાવવામાં આવેલા નિયમોનો યોગ્ય અમલ જ થયો નહોતો.
આ પણ વાંચો: શરદ પવારની એનસીપી એનડીએમાં જોડાઈ શકે તેવી શક્યતા
પૂછપરછ દરમિયાન આરોપીઓએ કથિત રીતે સ્વીકાર્યું છે કે ચોરીમાંથી મળેલી રકમનો ઉપયોગ કરીને અયોધ્યા સહિત અન્ય સ્થળોએ મિલકતો ખરીદવામાં આવી હતી. તપાસ દરમિયાન આરોપીઓ સાથે જોડાયેલા સ્થળોએથી આશરે 79 લાખની રોકડ અને દાગીનાની પણ જપ્તી કરવામાં આવી છે. તપાસ એજન્સીઓ હવે આ ઘરેણાં અને મિલકતોની ખરીદીનો નાણાકીય ટ્રેલ ચકાસી રહી છે.
બીજ તરફ તપાસ હવે માત્ર ચોરી કરનારા કર્મચારીઓ પૂરતી મર્યાદિત રહી નથી. SITના પ્રાથમિક અહેવાલના આધારે પૂર્વ ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ આરોપી બનાવવાની તૈયારી ચાલી રહી છે. તપાસ એજન્સીઓનો દાવો છે કે તેમની સામે મહત્વના પુરાવા મળ્યા છે અને કથિત ગેરરીતિની જાણ હોવા છતાં તેને રોકવા માટે અસરકારક પગલાં લેવામાં આવ્યા નહોતા. તેથી તેમની સામે કાવતરામાં સંડોવણીનો આરોપ પણ ઉમેરાઈ શકે છે.
સુરક્ષા વ્યવસ્થાના નિયમો જડબેસલાક, પણ અમલમાં મોટા છીંડા
રામ મંદિર ટ્રસ્ટ અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા વચ્ચે દાનની ગણતરી અને બેંકમાં જમા કરવાની સમગ્ર પ્રક્રિયા માટે વિગતવાર MoU અને SOP તૈયાર કરવામાં આવ્યા હતા. તેના મુજબ દાનપેટી માત્ર ટ્રસ્ટ અને SBIના અધિકૃત પ્રતિનિધિઓની હાજરીમાં જ ખોલવાની હતી, દરેક દાનપેટીની રકમ અલગથી ગણવાની હતી, બાયોમેટ્રિક હાજરી ફરજિયાત હતી, યુનિફોર્મ પહેરવું જરૂરી હતું, કાઉન્ટિંગ રૂમમાં વ્યક્તિગત સામાન લઈ જવાની મનાઈ હતી તેમજ પ્રવેશ અને બહાર નીકળતી વખતે ફરજિયાત ચેકિંગ કરવાનું હતું. CCTV મોનિટરિંગ, દૈનિક રિપોર્ટિંગ અને તમામ રેકોર્ડ જાળવવાની પણ સ્પષ્ટ જોગવાઈ હતી. છતાં SITના જણાવ્યા મુજબ આમાંથી અનેક નિયમોનો કડક અમલ થયો નહોતો. ખાસ કરીને નિયમિત અને અચાનક થતી શારીરિક તપાસ (ફ્રિસ્કિંગ), CCTVની સતત દેખરેખ અને સુપરવિઝનમાં ગંભીર બેદરકારી જોવા મળી, જેના કારણે ચોરી લાંબા સમય સુધી પકડાઈ નહીં.
કાઉન્ટિંગ સ્ટાફની ભરતીમાં ટ્રસ્ટની શંકાસ્પદ ભૂમિકા
SITના પ્રાથમિક અહેવાલમાં જણાવાયું છે કે અવિનાશ શુક્લા, અનુકલ્પ મિશ્રા, લવકુશ મિશ્રા, મનીષ કુમાર યાદવ, કરુણેશ પાંડે અને રામાશંકર મિશ્રા સહિતના કર્મચારીઓ SBIની આઉટસોર્સ એજન્સી મારફતે કાઉન્ટિંગ સ્ટાફમાં જોડાયા હતા, પરંતુ તેમની નિમણૂકમાં ટ્રસ્ટ સાથે સંકળાયેલા લોકોની ભલામણ મહત્વની રહી હતી. તપાસ મુજબ મનીષ કુમાર યાદવને તેના કાકા રામાશંકર યાદવ ઉર્ફે ટિન્નુની ભલામણથી કામ મળ્યું હતું. ટિન્નુએ તેને જરૂરી દસ્તાવેજો SBIના કર્મચારીને સોંપવા જણાવ્યું હતું અને ત્યારબાદ 15 એપ્રિલ, 2026થી તે કાઉન્ટિંગ રૂમમાં જોડાયો હતો. SITનો દાવો છે કે 11 મે પછીના CCTV ફૂટેજમાં મનીષ વારંવાર દાનની રકમ ચોરી કરતો દેખાય છે. તપાસમાં ભરતી પ્રક્રિયા, ભલામણો અને સમગ્ર વ્યવસ્થામાં સંભવિત સાંઠગાંઠની પણ ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે.
હે રામ! ખોટી પહોંચબુક બનાવી ભોળા ભાવિકોને પણ લૂંટી લીધા
રામ મંદિરના કથિત ચંદા કૌભાંડની તપાસમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. SITની તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના નામ અને લોગો ધરાવતી નકલી દાન પહોંચબુકો મળી આવી છે. પૂછપરછ દરમિયાન આરોપીઓએ કથિત રીતે સ્વીકાર્યું કે આ બનાવટી પહોંચો આપીને તેઓ ભાવિકો પાસેથી રોકડ દાન ઉઘરાવતા હતા. તપાસ મુજબ નકલી પહોંચો અસલી જેવી જ દેખાતી હોવાથી ભાવિકોને છેતરપિંડીની શંકા જતી નહોતી. SIT હવે આ નકલી પહોંચબુકોના આધારે કેટલા રૂપિયા ઉઘરાવવામાં આવ્યા તેની તપાસ કરી રહી છે. તપાસ એજન્સીઓના જણાવ્યા મુજબ મંદિર પ્રશાસને બાદમાં ઓનલાઈન રસીદ વ્યવસ્થા શરૂ કર્યા પછી આ કથિત ગેરરીતિ પર અંકુશ આવ્યો હતો. ત્યારબાદ મોટાભાગના ભાવિકો મંદિરના અધિકૃત કાઉન્ટર પરથી પહોંચ લેવા લાગ્યા અથવા સીધા મંદિરના બેંક ખાતામાં દાન જમા કરાવવા લાગ્યા હતા.
