મ્યાનમાર સાથે જમીનની અદલાબદલીની ચર્ચા: કેન્દ્ર સરકારે કહ્યું ,” વિચારણા ચાલુ”
સરહદના કેટલાક ભાગો હજુ અનિર્ધારિત હોવાનો સ્વીકાર
ભારત અને મ્યાનમાર વચ્ચે મણિપુરની સરહદ પર વર્ષોથી અનિર્ધારિત રહેલા ભાગનું સરહદ નિર્ધારણ પૂર્ણ કરવા માટે મર્યાદિત વિસ્તારની અદલાબદલી (ટેરિટોરિયલ એક્સચેન્જ) અંગે વિચારણા ચાલી રહી હોવાનું વિદેશ મંત્રાલયે સ્વીકાર્યું છે. જોકે કેન્દ્ર સરકારે કોઈ અંતિમ નિર્ણય લેવાયો હોવાનો ઇનકાર કરતાં માત્ર એટલું જ કહ્યું છે કે સરહદના કેટલાક વિસ્તારો હજુ બાકી છે અને તેના ઉકેલ માટે બંને દેશો વચ્ચે ચર્ચા ચાલુ છે.
મીડિયા અહેવાલો અનુસાર મણિપુરના ચંદેલ જિલ્લામાં મ્યાનમારની કબાવ ખીણને અડીને આવેલા બોર્ડર પિલર નંબર 65થી 68 વચ્ચેના લગભગ 2.8 કિલોમીટર લાંબા અનિર્ધારિત સરહદી વિસ્તારને સ્પષ્ટ કરવા માટે આશરે 1.4 ચોરસ માઇલ જમીનની અદલાબદલીનો પ્રસ્તાવ વિચારાધીન છે. ભારત અને મ્યાનમાર વચ્ચે કુલ 1,643 કિલોમીટર લાંબી આંતરરાષ્ટ્રીય સરહદ છે, જે અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર અને મિઝોરમમાંથી પસાર થાય છે. તેમાં અંદાજે 171 કિલોમીટર સરહદ હજુ સંપૂર્ણ રીતે નિર્ધારિત થઈ નથી.
આ પણ વાંચો: દેશમાં 1.25 કરોડ કરદાતાઓએ આઇટીઆરમાં ભૂલ સુધારી
ભારતે 2024માં સમગ્ર ભારત-મ્યાનમાર સરહદ પર ફેન્સિંગ કરવાની યોજના જાહેર કરી હતી તેમજ ફ્રી મૂવમેન્ટ રેજિમ (FMR) સમાપ્ત કરવાનો નિર્ણય લીધો હતો. સરહદનું નિર્ધારણ પૂર્ણ થતાં ગેરકાયદે ઘૂસણખોરી, આતંકી પ્રવૃત્તિઓ, હથિયારો અને ડ્રગ્સની હેરાફેરી જેવા સરહદી ગુનાઓ પર વધુ અસરકારક નિયંત્રણ મેળવી શકાશે તેવી સરકારની માન્યતા છે.
શા માટે વિચારણા હેઠળ?
ભારત-મ્યાનમાર સરહદના કેટલાક ભાગો દાયકાઓથી સંપૂર્ણ રીતે નિર્ધારિત થયા નથી. સરહદ સ્પષ્ટ ન હોવાને કારણે ગેરકાયદે ઘૂસણખોરી, આતંકવાદી સંગઠનોની અવરજવર, ડ્રગ્સ અને હથિયારોની હેરાફેરી જેવી સમસ્યાઓ સામે અસરકારક કાર્યવાહી મુશ્કેલ બને છે. કેન્દ્ર સરકાર સમગ્ર 1,643 કિલોમીટર સરહદ પર ફેન્સિંગ પૂર્ણ કરવા માંગે છે, પરંતુ અનિર્ધારિત વિસ્તારોને કારણે તેમાં અડચણો આવી રહી છે. આથી મર્યાદિત વિસ્તારની અદલાબદલી દ્વારા સરહદનું અંતિમ નિર્ધારણ કરી સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવાનો વિકલ્પ વિચારાધીન હોવાનું માનવામાં આવે છે. ભારત અગાઉ 2015માં બાંગ્લાદેશ સાથે જમીનની અદલાબદલી કરીને લાંબા સમયથી ચાલતા સરહદી વિવાદનો સફળતાપૂર્વક અંત લાવી ચૂક્યું છે.
મણિપુરમાં વિરોધનો સૂર
મણિપુરની વિવિધ મૈતેઈ નાગરિક સંસ્થાઓના સંયુક્ત મંચ COCOMIએ સંભવિત જમીનની અદલાબદલીનો ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો છે. સંગઠને ચેતવણી આપી છે કે રાજ્યની એક ઇંચ જમીન પણ મ્યાનમારને સોંપવાનો કોઈ નિર્ણય લેવામાં આવશે તો વ્યાપક લોકઆંદોલન શરૂ કરવામાં આવશે. COCOMIનું કહેવું છે કે મણિપુરની ભૌગોલિક અખંડિતતા સાથે કોઈ સમાધાન થઈ શકે નહીં અને રાજ્યની સરહદોને અસર કરતો કોઈપણ નિર્ણય સ્થાનિક લોકોની સંમતિ વિના લેવો યોગ્ય નથી. સંગઠને કેન્દ્ર સરકારને મણિપુરની પ્રાદેશિક અખંડિતતા સાથે “રમત ન રમવા”ની પણ ચેતવણી આપી છે.
