‘મમતા ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ’ હવે દીદીની પાર્ટીનું નવું નામ : ફૂટબોલ ચુંટણી ચિહ્ન
ભારતના ચૂંટણી પંચએ તૃણમૂલ કોંગ્રેસના બે હરીફ જૂથોને નવા નામ અને ચૂંટણી ચિહ્નો ફાળવ્યા છે. પંચે મમતા બેનર્જીના જૂથને ‘મમતા ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ’ નામ અને ‘ફૂટબોલ ખેલાડી’નું ચિહ્ન ફાળવ્યું છે, જ્યારે હરિફ જૂથને ‘ડેમોક્રેટિક તૃણમૂલ કોંગ્રેસ’ નામ અને ‘પરબીડિયું’ (એન્વલપ)નું ચિહ્ન ફાળવવામાં આવ્યું છે.
ચૂંટણી પંચના આદેશ મુજબ, મમતા બેનર્જી દ્વારા અધિકૃત ‘ફોર્મ-બી’ હેઠળ દાખલ કરાયેલા ઉમેદવારી પત્રોને ‘મમતા ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ’ના ઉમેદવારો તરીકે માન્યતા આપવામાં આવશે. આ ઉમેદવારોમાં રબિઉલ આલમ ચૌધરી, નંદીગ્રામના સંચિતા પ્રધાન (ડે) અને આસામના નાગાંવ સંસદીય મતવિસ્તારના અબ્દુલ સલામનો સમાવેશ થાય છે. ‘રિપ્રેઝન્ટેશન ઓફ ધ પીપલ્સ એક્ટ, 1951’ની કલમ 36 ની કાયદાકીય જોગવાઈઓને આધીન રહીને તેમને ચૂંટણી પંચ દ્વારા ‘ફૂટબોલ ખેલાડી’નું ચિહ્ન ફાળવવામાં આવ્યું છે.
બીજી તરફ, અરુપ રોય દ્વારા અધિકૃત ‘ફોર્મ-બી’ના આધારે ઉમેદવારી નોંધાવનારા ઉમેદવારોને ‘ડેમોક્રેટિક તૃણમૂલ કોંગ્રેસ’ના ઉમેદવારો ગણવામાં આવશે. આ વ્યવસ્થા હેઠળ, સફિયુજ્જમાન શેખ અને એહતેશમુલ હક (નંદીગ્રામ વિધાનસભા મતવિસ્તારમાંથી)ની ઉમેદવારી ‘પરબીડિયું’ ચિહ્ન હેઠળ ચૂંટણી લડતા ઉમેદવારો તરીકે નોંધવામાં આવશે.
પંચે સ્પષ્ટ કર્યું છે કે આ વ્યવસ્થાઓ તમામ કાયદાકીય જરૂરિયાતો પૂરી થયા પછી જ લાગુ થશે. પાર્ટીનું નામ અને મૂળ ચૂંટણી ચિહ્ન સ્થગિત (ફ્રીઝ) કરવામાં આવ્યા બાદ આ આદેશ જારી કરવામાં આવ્યો હતો. વધુમાં, ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળની રેજીનગર (70) અને નંદીગ્રામ (210) વિધાનસભા બેઠકો તેમજ આસામની નાગાંવ (9) લોકસભા બેઠકના રિટર્નિંગ ઓફિસરોને આ આદેશનું ચુસ્તપણે પાલન કરવાનો નિર્દેશ આપ્યો છે. પંચના સચિવ અશ્વિની કુમાર મોહલ દ્વારા જારી કરાયેલા આદેશમાં જણાવવામાં આવ્યું છે કે ચકાસણી દરમિયાન ઉમેદવારી પત્રોની માન્યતાની તપાસ માત્ર ‘રિપ્રેઝન્ટેશન ઓફ ધ પીપલ્સ એક્ટ’ની કલમ 36 હેઠળ જ કરવામાં આવશે.
