હોર્મુઝ સુરક્ષિત રહે તે જરૂરી, કેટલાક ભારતીયોનો પણ ભોગ લેવાયો : મોદી
G7માં ટ્રમ્પની ઉપસ્થિતિમાં વડાપ્રધાનનું સંબોધન
ફ્રાન્સના એવિયન ખાતે યોજાયેલી G7 સમિટના આઉટરીચ સત્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ એશિયાના સંઘર્ષથી સર્જાયેલી માનવીય અને આર્થિક અસર અંગે ચિંતા વ્યક્ત કરતાં હોર્મુઝની ખાડીમાંથી પસાર થતા સમુદ્રી વેપાર માર્ગોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સહિત G7 દેશોના નેતાઓની હાજરીમાં મોદીએ જણાવ્યું હતું કે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષના કારણે મિત્ર દેશોમાં જાનહાનિ અને સંપત્તિનું નુકસાન થયું છે તેમજ હોર્મુઝની ખાડીમાં સમુદ્રી વેપારમાં આવેલા વિક્ષેપથી વૈશ્વિક અર્થતંત્રને પણ ફટકો પડ્યો છે.
આ પણ વાંચો: રશિયન તેલ પર ફરી પ્રતિબંધોની ટ્રમ્પની ચેતવણી; ભારત માટે મોંઘા ક્રૂડનું જોખમ
વડાપ્રધાને કહ્યું કે આ સંઘર્ષમાં ભારતના કેટલાક નાગરિકોએ પણ જીવ ગુમાવ્યા છે. વૈશ્વિક સમુદ્રી વેપાર દ્વારા દેશોને જોડતા ખલાસીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવી તમામ દેશોની જવાબદારી છે અને સમુદ્રી માર્ગો એવા સુરક્ષિત રહેવા જોઈએ કે ખલાસીઓ કોઈપણ ભય વિના પોતાની ફરજ બજાવી શકે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે સંઘર્ષોના કાયમી ઉકેલ માટે સંવાદ, રાજદ્વારી અને આંતરરાષ્ટ્રીય સહકાર જ સૌથી અસરકારક માર્ગ છે.
મોદીના નિવેદનને ગયા અઠવાડિયે ઓમાનના કિનારા નજીક અમેરિકી સૈન્ય કાર્યવાહીમાં ત્રણ ભારતીય ખલાસીઓના મોતની ઘટનાના સંદર્ભમાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. જોકે વડાપ્રધાને પોતાના સંબોધનમાં આ ઘટનાનો સીધો ઉલ્લેખ કર્યો નહોતો, તેમ છતાં તેમના નિવેદનમાંથી સંઘર્ષગ્રસ્ત વિસ્તારોમાં કાર્યરત નાગરિક ખલાસીઓની સુરક્ષા અને સમુદ્રી વેપાર પર પડતા પ્રભાવ અંગે ભારતની ચિંતા સ્પષ્ટપણે પ્રતિબિંબિત થઈ હતી.
