મોદીએ બાળકોને માફ કર્યા, 15 વર્ષની બાળકીએ બે હાથ જોડીને માફી માંગી
બાળકીએ કહ્યું,” હું માત્ર 15 વર્ષની છું,આ પહેલી અને છેલ્લી ભૂલ, હું સમગ્ર દેશની માફી માંગુ છું.”
જંતર મંતર ખાતે CJPના આંદોલન દરમિયાન વડાપ્રધાન મોદી માટે અભદ્ર ભાષા પ્રયોગ કરનાર બાળકોને વડાપ્રધાને માફ કરી દીધા છે. શુક્રવારે રાત્રે instagram પર એક વીડિયો જાહેર કરી વડાપ્રધાને આ જાહેરાત કરી હતી.તેમના એ વીડિયો બાદ, અભદ્ર ભાષા પ્રયોગ બદલ જેની સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે એ 15 વર્ષની બાળકી એ પણ વિડીયો જારી કરી વડાપ્રધાનની માફી માગી હતી.
જંતર-મંતર ખાતે 23 જુલાઈના રોજ CJPના વિરોધ પ્રદર્શન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે અભદ્ર ભાષાનો ઉપયોગ કરવાના આરોપોનો સામનો કરી રહેલી 15 વર્ષની બાળકીનો માફી માગતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં બાળકીએ બંને હાથ જોડીને કહ્યું કે, “હું માત્ર 15 વર્ષની છું. મિત્રો સાથે કનોટ પ્લેસ ગઈ હતી અને ત્યાંથી પ્રદર્શનમાં પહોંચી હતી. આસપાસના લોકો અભદ્ર સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા અને હું પણ તેમના પ્રભાવમાં આવી ગઈ.”
બાળકીએ કહ્યું કે, “મેં જે કર્યું તે માફી લાયક નથી. મેં ઘણી ખરાબ વાતો કહી. આ મારી પહેલી અને છેલ્લી ભૂલ છે. હું સમગ્ર દેશની માફી માગું છું. મને મારી જાત સામે પણ શરમ આવે છે. કૃપા કરીને મને માફ કરો.”
આ વીડિયો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇન્સ્ટાગ્રામ પર વીડિયો સંદેશ જાહેર કરીને વિદ્યાર્થીઓને માફ કરવાની વાત કહી તેના થોડા કલાકો બાદ સામે આવ્યો હતો. જોકે, આ વીડિયો ખરેખર બાળકીએ જ બનાવ્યો છે કે નહીં તેની સ્વતંત્ર પુષ્ટિ થઈ શકી નથી.
આ પણ વાંચો: વિરોધ પ્રદર્શનની આશંકા વચ્ચે TISSનો દીક્ષાંત સમારોહ મોકૂફ
બાળકી સામે ફરિયાદ નોંધાઈ છે
આ દરમિયાન બાળકી સામે નોંધાયેલી ઝીરો એફઆઈઆરની તપાસ ચાલુ છે. 29 જુલાઈએ ઉત્તર પ્રદેશના નોઇડા એક્સપ્રેસવે પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ બાદ કેસ દિલ્હીના પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. ફરિયાદમાં વડાપ્રધાન સામે અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને બંધારણીય પદની ગરિમા ભંગ કરવાનો તથા જાહેર શાંતિ ભંગ થાય તેવો પ્રયાસ કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પોલીસ ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ તપાસ આગળ ધપાવી રહી છે. મળતી માહિતી મુજબ બાળકી તેની માતા સાથે નોઇડાની એક હાઉસિંગ સોસાયટીમાં રહેતી હતી. હાલ તેનો ફ્લેટ બંધ છે અને પોલીસ આસપાસના રહેવાસીઓની પૂછપરછ પણ કરી રહી છે.
શું કહ્યું વડાપ્રધાન મોદીએ…
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે રાત્રે ઇન્સ્ટાગ્રામ પર વીડિયો સંદેશ જાહેર કરીને કહ્યું કે તેમના અને તેમના સ્વર્ગસ્થ માતા વિશે અપમાનજનક ભાષાનો ઉપયોગ થયો હતો, જે દુઃખદ અને અસ્વીકાર્ય છે. તેમ છતાં, યુવાનોને તેમની ભૂલમાંથી શીખવાની તક મળવી જોઈએ. મોદીએ ખેદ વ્યક્ત કરતાં કહ્યું કે તેમના સ્વર્ગસ્થ માતા માટે પણ અભદ્ર શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો. તેમણે કહ્યું કે ગાળો આપવાથી કોઈ સમસ્યાનું સમાધાન આવતું નથી. માત્ર સજા, કોર્ટના કેસો કે હેરાનગતિથી પણ પરિસ્થિતિ બદલાશે નહીં. આવા યુવાનોને માર્ગદર્શન આપવાની જરૂર છે. “હું તેમને માફ કરું છું. તેઓ ભટકી ગયા છે, તેમને સાચો માર્ગ બતાવીએ,” એમ કહી વડાપ્રધાને સમાજને દંડ કરતાં સંવાદ અને માર્ગદર્શનનો માર્ગ અપનાવવાની અપીલ કરી હતી.
“રીલમાં જ માફી કે કેસ પણ પાછા ખેંચશો?” – અભિજીત દીપકે કટાક્ષ કર્યો
વડાપ્રધાનના માફીના વીડિયો બાદ CJPના સ્થાપક અભિજીત દીપકે ઇન્સ્ટાગ્રામ પર ટિપ્પણી કરતાં પ્રશ્ન કર્યો કે, “માફી માત્ર રીલમાં જ છે કે પછી વિદ્યાર્થીઓ સામે નોંધાયેલા કેસો પણ પાછા ખેંચવામાં આવશે?” તેમણે વડાપ્રધાનના વીડિયો પર કટાક્ષ કરતાં લખ્યું કે દેશના ભવિષ્ય કરતાં તેમની ત્વચા વધુ ચમકી રહી છે. બીજી તરફ CJPના પ્રવક્તા સૌરવ દાસે કહ્યું કે અભદ્ર ભાષાનું સમર્થન થઈ શકે નહીં, પરંતુ આવા નિવેદનો બદલ ફોજદારી કાર્યવાહી કરવાથી અભિવ્યક્તિની સ્વતંત્રતા પર નકારાત્મક અસર પડશે. દીપકે એવો પણ સવાલ ઉઠાવ્યો કે ઉતર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ સહિત ભાજપના કેટલાક નેતાઓ અથવા આઈટી સેલ દ્વારા અગાઉ કરવામાં આવેલી વાંધાજનક ટિપ્પણીઓ સામે સમાન પ્રકારની કાર્યવાહી કેમ કરવામાં આવી નથી.
