ગાંધીનગરમાં મહાનગરપાલિકાની ચૂંટણીનું બ્યૂગલ વાગ્યું! 44 બેઠક પર કોનો ડંકો વાગશે ??
ગાંધીનગરના રાજકારણમાં આખરે એ ઘડી આવી ગઈ છે જેની સૌ કોઈ રાહ જોઈ રહ્યા હતા. રાજ્ય ચૂંટણી પંચે બુધવારે સાંજે પત્રકાર પરિષદ યોજીને ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. જાહેરાતની સાથે જ સમગ્ર મહાનગરપાલિકા વિસ્તારમાં તાત્કાલિક અસરથી આચારસંહિતા લાગુ કરી દેવામાં આવી છે.
ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા કાર્યક્રમ મુજબ ગાંધીનગર મહાનગરપાલિકાની 44 બેઠકો માટે ચૂંટણી યોજાશે. ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 26 સપ્ટેમ્બર રાખવામાં આવી છે, જ્યારે 29 સપ્ટેમ્બરે ફોર્મ પરત ખેંચી શકાશે. ત્યારબાદ 11 ઓક્ટોબરે મતદાન યોજાશે અને 13 ઓક્ટોબરે મતગણતરી હાથ ધરીને પરિણામ જાહેર કરવામાં આવશે. ટૂંકા ગાળાના આ કાર્યક્રમને કારણે રાજકીય પક્ષો પાસે તૈયારીઓ માટે બહુ ઓછો સમય બચ્યો છે.
આ પણ વાંચો : રાજકોટમાં હ્રદયરોગના કેસ વધ્યા: આઠ મહિનામાં 4298 કેસ નોંધાયા
તારીખો જાહેર થતાંની સાથે જ ગાંધીનગરનું રાજકીય વાતાવરણ ગરમાયું છે. ભાજપ અને કોંગ્રેસ સહિતના તમામ પક્ષોએ પોતાની ચૂંટણીલક્ષી તૈયારીઓને આખરી ઓપ આપવાનું શરૂ કરી દીધું છે. ટિકિટના દાવેદારોમાં દોડધામ વધી ગઈ છે અને આગામી દિવસોમાં ફોર્મ ભરવાથી લઈને જોરશોરથી પ્રચાર સુધીની પ્રક્રિયા તેજ ગતિએ આગળ વધશે. પાટનગરની આ ચૂંટણી સત્તાધારી પક્ષ માટે પ્રતિષ્ઠાનો જંગ માનવામાં આવી રહી છે.
