PM મોદીએ ત્રિરંગો બતાવી વિશ્વના સૌથી ઊંચા ચિનાબ બ્રિજનું કર્યું ઉદ્ઘાટન : પેરિસના એફિલ ટાવર કરતા ઉંચાઇ વધારે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓપરેશન સિંદૂર બાદપહેલીવાર જમ્મુ-કાશ્મીરની મુલાકાતે છે. આજે જમ્મુ અને કાશ્મીરમાં ચિનાબ નદી પર બનેલો વિશ્વનો સૌથી ઊંચો રેલ પુલ ‘ચેનાબ રેલ્વે બ્રિજ’ દેશને સમર્પિત કર્યો હતો. વડાપ્રધાન મોદીએ ત્રિરંગો બતાવીને વિશ્વના સૌથી ઊંચા ચિનાબ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ઐતિહાસિક પુલ ફક્ત કાશ્મીર ખીણને સમગ્ર ભારત સાથે જોડશે નહીં, પરંતુ આ ક્ષેત્રમાં વેપાર, પર્યટન અને ઔદ્યોગિક વિકાસને પણ નવી ગતિ આપશે. ‘ચેનાબ રેલ પુલ’ને એન્જિનિયરિંગનો આધુનિક અજાયબી કહેવામાં આવી રહ્યો છે.

જમ્મુ અને કાશ્મીરમાં સ્થિત, ચેનાબ વિશ્વનો સૌથી ઊંચો રેલ્વે પુલ છે. ચેનાબ પુલ પેરિસના પ્રખ્યાત એફિલ ટાવર કરતા 35 મીટર ઉંચો અને દિલ્હીના પ્રખ્યાત કુતુબ મિનાર કરતા લગભગ 287 મીટર ઉંચો છે. આ જ કારણ છે કે તેની ગણતરી વિશ્વના સૌથી ઊંચા રેલ્વે પુલોમાં થાય છે.
રેલ્વે પુલ પેરિસના એફિલ ટાવર કરતા પણ ઊંચો
રેલ્વે મંત્રીના જણાવ્યા મુજબ ચિનાબ નદી પર બનેલો 1.3 કિમી લાંબો રેલ્વે પુલ 359 મીટર ઊંચો છે. જે પેરિસના એફિલ ટાવર કરતા 35 મીટર ઊંચો છે. આ પુલ 260 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન અને ભૂકંપ ઝોન-V માં પણ સ્થિર રહી શકે છે. તેના નિર્માણમાં 30000 ટન સ્ટીલ અને અડધા ફૂટબોલ મેદાન જેટલો પહોળો પાયો વાપરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : ભારે કરી ! AIએ રાજકોટના આધાર કેન્દ્રના બે ઓપરેટરને કરાવ્યા સસ્પેન્ડ, વાંચો શું છે સમગ્ર મામલો

અંજી બ્રિજ એ દેશનો પહેલો રેલ્વે બ્રિજ છે જેમાં કેબલ-સ્ટે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે આ ટેકનોલોજીનો ઉપયોગ હાઇવે પર થાય છે. પરંતુ અહીં તેને ખાસ કરીને 4,000 ટન સુધીના ટ્રેનના ભારને સહન કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અંજી બ્રિજનું ઉદ્ઘાટન કર્યું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતના પ્રથમ કેબલ રેલ બ્રિજ – અંજી બ્રિજનું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા, મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા અને કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ હાજર રહ્યા હતા.