રાજકોટના અર્જુન જ્વેલર્સમાં ₹1.99 કરોડની ઉચાપત : ગ્રાહકોને સ્કીમ નામે લાલચાવી છેતરપિંડી આચરી, હેડ કેશિયરની ધરપકડ
રાજકોટના મવડી રોડ અને નાના મવા રોડ ઉપર આવેલા અર્જુન જ્વેલર્સનો હેડ કેશિયર કળા કરી ત્રણ ગ્રાહકના 1.74 કરોડ અને પોતાના જ શો-રૂમના 25.57 લાખ રૂપિયા ચાંઉ કરી જતાં નોંધાયેલી પોલીસ ફરિયાદ બાદ આરોપીની ધરપકડ કરી રિમાન્ડ પર લેવામાં આવ્યો હતો.
આ અંગે શો-રૂમના માલિક મનિષ નથુભાઈ ઘાડિયાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે તેમણે મુળ આણંદના બોરસદ અને છેલ્લા ત્રણેક વર્ષથી બાલાજી હોલ, 150 ફૂટ રિંગરોડ પર ભાડાના મકાનમાં રહેતા હિતેશ શૈલેશભાઈ પરમારને 2022માં કેશિયર તરીકે નોકરી પર રાખ્યો હતો. અનુભવના આધારે તેને હેડ કેશિયર તરીકે પ્રમોશન પણ આપવામાં આવ્યું હતું અને મવડી રોડ પરના શો-રૂમમાંથી તેની જામનગર ખાતે બદલી કરવામાં આવી હતી. જો કે 5 ઓગસ્ટ-2025માં હિતેશને ગેરવર્તણુકને કારણે નોકરી પરથી છૂટો કરાયા બાદ તેણે શો-રૂમ અને ગ્રાહકો પાસેથી પૈસા તેમજ સોનુ લીધું હોવાનું ધ્યાન પર આવ્યું હતું.
હિતેશે ઈશાબેન સોરઠિયા નામના ગ્રાહક પાસેથી 45.60 લાખ રૂપિયા લીધા બાદ તેમને છ સોનાના બિસ્કિટ આપવાના છે તેવું બનાવટી વાઉચર બનાવ્યું હતું. આ ઉપરાંત અંકિતાબેન રૈયાણી પાસેથી કુલ 1.20 કરોડ રૂપિયા લઈ 500 ગ્રામ સોનુ આપ્યું હતું અને 450 ગ્રામ સોનુ આપવાનું બાકી છે તેવું અર્જુન જ્વેલર્સ પ્રા.લિ. નામનું વાઉચર પણ બનાવ્યું હતું. જો કે અંકિતાબેનને આપવા માટે હિતેશે 450 ગ્રામના સોનાના બિસ્કિટ જ્વેલર્સમાંથી લઈ લીધા હતા પરંતુ તે આપ્યા ન્હોતા.
આ પણ વાંચો :ચાંદીની કિંમતમાં મોટી ઉથલપાથલ : આંખના પલકારામાં ભાવમાં થયો ઘટાડો, સવારે ઓલ ટાઈમ હાઇ, જાણો કેમ થયો એકાએક ઘટાડો
આ ઉપરાંત ચિરાગ વલ્લભભાઈ ખુંટ નામના વ્યક્તિ પાસેથી 1,99,800 વિમલ ધીરૂભાઈ ખૂંટ પાસેથી 7.70 લાખ રૂપિયા લીધા હોવા છતાં તેને સોનુ આપ્યું ન્હોતું અને માત્ર વાઉચર જ આપી દીધા હતા. એકંદરે સમગ્ર ભોપાળું બહાર આવતાં હિતેશ પરમારને શો-રૂમ ખાતે રૂબરૂ બોલાવવામાં આવ્યો હતો પરંતુ તેણે કોઈ જ પ્રકારની ચોખવટ ન કરતા આખરે તેણે ગ્રાહકો તેમજ શો-રૂમ સાથે વિશ્વાસઘાત કર્યો હોવાથી પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે તાલુકા પોલીસ મથકે હિતેશ પરમારની ધરપકડ કરી રિમાન્ડ પર લીધો હતો.
