ચાંદીનો ભાવ ભલે પોણા બે લાખ થયો, સોસાયટીના સભ્યોને 100 ગ્રામ ચાંદીના સિક્કાની ભેટ: અમદાવાદની 96 વર્ષ જૂની સોસાયટીએ પરંપરા જાળવી
પુષ્યનક્ષત્ર પૂર્વે જ સોના ચાંદીના ભાવમાં જબરો ઉછાળો આવ્યો હતો અને ભાવ આસમાને પહોંચ્યા છે. દિવાળીના તહેવારો પણ આંગળીના વેઢે ગણાય એટલા જ દિવસ દુર છે ત્યારે આવા તહેવારોમાં સોના-ચાંદીની ખરીદી વધી જાય છે.આવા સમયમાં કોઈ સોના ચાંદીની દિવાળી ગીફ્ટ આપે તે આશ્ચર્ય જન્માવે તેવી ઘટના કહેવાય..પણ અમદાવાદની એક રહેણાંક સોસાયટીમાં ખરાઅર્થમાં આવું થયુ છે. આ સોસાયટીએ પોતાના 21 સભ્યોને દિવાળીની ખુશીમાં 100 ગ્રામ ચાંદી ભેટ તરીકે આપી, જે એકતા અને સમૃદ્ધિનું પ્રતીક બની રહી છે.
પ્રાપ્ત થતી માહિતી અનુસાર, અમદાવાદમાં આવેલી અને લગભગ 96 વર્ષ જૂની કૃષ્ણ કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીએ તેના 21 સભ્યોને દિવાળીના તહેવાર નિમિત્તે 100 ગ્રામ ચાંદી ભેટમાં આપવાની જાહેરાત કરી છે. સોસાયટીના ચેરમેન શૈલેષ પટવારીએ જણાવ્યું કે, “અમે સભ્યો પાસેથી મેઈટેન્સ ફી પણ નથી લેતા,કારણ કે જૂની આવકને લીધે સોસાયટી પાસે પુરતું ફંડ છે. આ અગાઉ પણ 1994માં પણ દરેક સભ્યોને 400 ગ્રામ સોનું આપ્યું હતું.
શાંતિનિકેતન કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી, જે 100 વર્ષથી વધુ જૂની છે, તેને 2020થી 2022 સુધી ત્રણ વર્ષ સુધી 20 સભ્યોને ચાંદી આપી હતી. ત્યાના ચેરમેનનું કહેવું છે કે ભેટ સોગાદોના બદલે અમે રોકડ આપવી ઈચ્છા રાખીએ છીએ જેથી સંપત્તિમાં વધારો થાય છે.
આ પણ વાંચો :વારંવાર ટ્રાફિક રૂલ્સ તોડનારા અને ઈ-ચલણ નહી ભરનારના વાહન જપ્ત થશે : ગુજરાત રોડ સેફટી ઓથોરિટી દ્વારા હાથ ધરાઈ કવાયત
આ અગાઉ નેહરુનગરમાં પણ એક સોસાયટીએ ચાંદીની ભેટ આપી હતી, પરંતુ આવક ઘટવાને કારણે તે પ્રથા બંધ કરી દીધી. આર્થિક નિષ્ણાંતોનું કહેવું છે કે, ઇન્કમ ટેક્સ અધિનિયમ હેઠળ ભેટમાં પૈસા કે સંપત્તિ આપવામાં આવે તો તે રૂ. 50,000 સુધી કરમુક્ત છે. અને જો નોન-રિલેટિવ્સથી મળે તો ટેક્સ લાગે છે, જ્યારે નજીકના સબંધીઓથી મળે તો ટેક્સ મુક્ત છે.”
આ પણ વાંચો :દિવાળીની મીઠાશ ચોકલેટમાં: આ વર્ષે રોસ્ટેડ અને ડેટ આલમન્ડ ચોકલેટની માંગ,બાળકોમાં ફટાકડા શેપની ચોકલેટ ફેવરિટ
પરંપરાગત સોસાયટીઓ પાસે હોલ, ખુલ્લી જમીન કે દુકાનો ભાડે આપવાની જેવા બહુવિધ આવકના સ્ત્રોતો હોય છે, જેનાથી તેમની સરપ્લસ રકમ બની શકે છે. જોકે, નવી સર્વિસ સોસાયટીઓ માટે આ સંભવ નથી, કારણ કે તેમની આવકના સ્ત્રોતો મર્યાદિત હોય છે.
