રાજ્ય સરકારના કર્મચારીઓ-પેન્શનર્સને દિવાળીની ભેટ : કેન્દ્રના ધોરણે જ ડી.એ.ચુકવાશે, મોંઘવારી ભથ્થામાં 3 થી 5 ટકાનો વધારો આપવાનો નિર્ણય
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે જ ડી.એ.ચુકવાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓના વ્યાપક હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. છઠ્ઠા તેમજ સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં વધારાનો લાભ તા.1 જુલાઈ, 2025થી આપવાનો નિર્ણય કર્યો છે.
હજુ ગઇકાલે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્ગ-4ના કર્મચારીઓ માટે હિતલક્ષી નિર્ણય કર્યો હતો ત્યારે આજે રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે જ ડી.એ. ચૂકવવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આ કર્મયોગી હિતકારી નિર્ણય અંતર્ગત સાતમા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ૩ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના જે કર્મયોગીઓ છઠ્ઠા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 5 ટકાનો વધારો કરવામાં આવેલ છે.
આ પણ વાંચો :રાજય સરકારના વર્ગ-4ના કર્મચારીઓને દિવાળીની ભેટ: મળશે આટલા હજાર બોનસ, જાણો કોને-કોને મળશે આ લાભ
આ મોંઘવારી ભથ્થાની 3 માસની એટલે કે 1 જુલાઈ 2025 થી 30 સપ્ટેમ્બર 2025 સુધીની તફાવતની રકમ એક હપ્તામાં ચૂકવવામાં આવશે. આ મોંઘવારી ભથ્થાના વધારાનો લાભ રાજ્ય સરકારના, પંચાયત સેવાના તથા અન્ય એમ કુલ 4.69 લાખ કર્મયોગીઓ અને અંદાજે 4.82 લાખ જેટલા નિવૃત્ત કર્મચારીઓ એટલે કે પેન્શનર્સને મળવાપાત્ર થશે.
આ પણ વાંચો :રાજકોટ બસ સ્ટેન્ડમાં સર્જાયો અકસ્માત : ST બસના ચાલકે ઠોકર મારતા રાહદારીનું મોત, બસની બ્રેક ફેલ થયાનું પ્રાથમિક તારણ
એટલું જ નહિ, રાજ્ય સરકાર આ એરિયર્સ પેટે કુલ મળીને રૂ.483.24 કરોડ રૂપિયાની કર્મચારીઓને ચુકવણી કરશે તથા વધારાના વાર્ષિક રૂ.1932.92 કરોડની ચુકવણી પગારભથ્થા-પેન્શન પેટે કરાશે. મુખ્યમંત્રીએ કરેલા આ કર્મચારી હિતકારી નિર્ણયના અમલ માટે નાણાં વિભાગ દ્વારા જરૂરી આદેશો કરવા અંગેની સૂચનાઓ પણ આપી છે.
