સંસદનું ચોમાસું સત્ર: ‘વંદે માતરમ’ના અપમાન સામે કડક કાયદો મંજૂર, જ્યારે ‘એક દેશ, એક ચૂંટણી’ બિલ પર મોટો નિર્ણય
સંસદના ચોમાસું સત્રમાં રાષ્ટ્રગીત ‘વંદે માતરમ’નું અપમાન અટકાવવા માટેનું ઐતિહાસિક બિલ બંને ગૃહોમાં પાસ થઈ ગયું છે. બીજી તરફ, ચર્ચિત ‘એક દેશ, એક ચૂંટણી’ બિલ આ સત્રમાં રજૂ નહીં થાય અને સંયુક્ત સંસદીય સમિતિ (JPC) નો કાર્યકાળ શિયાળુ સત્ર સુધી લંબાવવામાં આવ્યો છે. સંસદના ચાલી રહેલા ચોમાસું સત્રમાંથી રાજકારણ અને દેશના હિતને લગતા બે મોટા અને મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. એક તરફ જ્યાં સરકારે રાષ્ટ્રગાન બાદ હવે રાષ્ટ્રગીત ‘વંદે માતરમ’ને પણ સમાન કાનૂની સુરક્ષા આપવા માટેનું મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે, તો બીજી બાજુ ‘વન નેશન, વન ઈલેક્શન’ (એક દેશ, એક ચૂંટણી) ની પ્રક્રિયાને વધુ વ્યાપક અને ચકાસણી હેઠળ રાખવા માટે તેનો સમયગાળો લંબાવ્યો છે.
‘વંદે માતરમ’નું અપમાન હવે બનશે ગંભીર ગુનો
કાનૂની અપરાધ ગણાવતું સંશોધન બિલ પસાર કરી દેવામાં આવ્યું છે. સંસદના બંને ગૃહોમાં ‘વંદે માતરમ’ના અપમાનને કાનૂની અપરાધ ગણાવતું સંશોધન બિલ પસાર કરી દેવામાં આવ્યું છે.
કાયદાકીય જોગવાઈ: આ બિલ હેઠળ ‘વંદે માતરમ’ રાષ્ટ્રગીતનું જાનબૂઝીને અપમાન કરવું, તેના ગાનમાં અડચણ ઊભી કરવી કે અવરોધ પેદા કરવો એ એક દંડનીય ગુનો બનશે.
સજા અને દંડ: દોષિત સાબિત થનાર વ્યક્તિને આ કાયદા હેઠળ ત્રણ વર્ષ સુધીની જેલ, દંડ અથવા બંનેની સજા થઈ શકે છે.
મહત્વ: આ કાયદા દ્વારા રાષ્ટ્રગીત ‘વંદે માતરમ’ને રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગાન (‘જન ગણ મન’) ની સમકક્ષ વૈધાનિક દરજ્જો અને રક્ષણ પ્રાપ્ત થયું છે.
હાલ ચોમાસું સત્રમાં નહીં આવે ‘એક દેશ, એક ચૂંટણી’ બિલ
વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદ (EAC-PM) ના માર્ચ ૨૦૨૬ના રિપોર્ટ બાદ દેશભરમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજાવાની અટકળો તેજ થઈ હતી. પરંતુ વર્તમાન ચોમાસું સત્રમાં ‘એક દેશ, એક ચૂંટણી’ સાથે જોડાયેલું વિધેયક રજૂ કરવામાં નહીં આવે.
JPCનો કાર્યકાળ લંબાયો: આ બંધારણીય સુધારા વિધેયકની બારીકાઈથી સમીક્ષા કરી રહેલી સંયુક્ત સંસદીય સમિતિ (JPC) ની મુદત વધારી દેવામાં આવી છે.
શિયાળુ સત્રમાં રિપોર્ટ: હવે આ સમિતિએ સંસદના આગામી શિયાળુ સત્રના છેલ્લા અઠવાડિયાના પહેલા દિવસે પોતાનો વિસ્તૃત રિપોર્ટ સંસદમાં સોંપવાનો રહેશે. આ રિપોર્ટ રજૂ થયા બાદ જ આગળની કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
એકસાથે ચૂંટણી યોજાવાના સંભવિત ફાયદાસરકાર અને નિષ્ણાતોના મતે, જો દેશમાં એકસાથે ચૂંટણીઓ યોજાય તો વહીવટી અને નાણાકીય સ્તરે મોટા ફાયદા થઈ શકે છે:
| મુદો | ફાયદો / બચતનું પ્રમાણ |
| કર્મચારીઓનું ભારણ | ૫ વર્ષમાં ચૂંટણી ડ્યુટીમાં રોકાતા કર્મચારીઓની સંખ્યામાં આશરે ૨૬ લાખ (૨૮%) નો ઘટાડો થશે. |
| સમયની બચત | ચૂંટણી પ્રક્રિયામાં વપરાતા કુલ કામકાજના દિવસોમાંથી આશરે ૧.૦૪ કરોડ દિવસો બચશે. |
| શિક્ષણ અને સુરક્ષા | વારંવાર શાળાઓ બંધ રહેવાથી બાળકોના શિક્ષણને થતું નુકસાન અટકશે અને સુરક્ષાદળો પરનો વહીવટી બોજ ઘટશે. |
