જગન્નાથ રથયાત્રાનો પ્રારંભ : અમદાવાદમાં ગજરાજ બેકાબૂ થતાં નાસભાગ,રાજકોટવાસીઓ રંગાયા ભગવાન જગન્નાથના રંગમાં
આજે અષાઢીબીજનું પર્વ છે. ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રા, ભાઈ બલરામ સાથે નગરચર્યા પર નીકળ્યા છે.અમદાવાદની સાથે રાજકોટમાં પણ ભવ્ય અને પરંપરાગત રથયાત્રા નીકળી છે.”જય જગન્નાથ” નાં જયઘોષ સાથે આજે રાજમાર્ગો પરથી ભવ્ય રથયાત્રા નીકળી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદમાં અખાડા, ભજન મંડળી અને શણગારેલી ટ્રકો સાથે રથયાત્રા નીકળી છે.

ત્યારે CM ભૂપેન્દ્ર પટેલે પહિંદવિધિ કરી કરીને રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. અષાઢી બીજના પાવન અવસરે અમદાવાદ ખાતે ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાને પ્રસ્થાન કરાવતા પૂર્વે વહેલી સવારે મંદિર પરિસરમાં ભગવાન જગન્નાથજીના રથનું અને ભગવાનનું પૂજન-અર્ચન કર્યું હતું. આજના આ પાવન અવસરે, ભગવાન જગન્નાથજીના રથની સોનાની સાવરણીથી સફાઈ કરી પહિંદ વિધિ સંપન્ન કરવાનું સૌભાગ્ય ભૂપેન્દ્ર પટેલને પ્રાપ્ત થયું હતું. પૂજ્ય સંતો અને શ્રદ્ધાળુઓની ઉપસ્થિતિમાં આ અવસર આસ્થાના રંગે રંગાઈ ગયો હતો.
અમદાવાદ ખાતે પ્રભુ શ્રી જગન્નાથજીની 148 મી રથયાત્રા પૂર્વે પ્રાતઃકાળ કેન્દ્રીય ગૃહ અમિત શાહ અને રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ પ્રભુની મંગળા આરતીનો લીધો લ્હાવો લીધો હતો.
અમદાવાદની રથયાત્રાને લઈને ભાવિકોમાં ઉત્સાહનો માહોલ છે. રથયાત્રામાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યા છે. આજની રથયાત્રાને પહિંદવિધિ કરી પ્રસ્થાન કરાવ્યું. સાથે જ પ્રથમવાર ભગવાનને ગાર્ડ ઓફ ઓનર પણ અપાયું હતું. રથયાત્રાને લઇને આજે સવારના 4 વાગ્યાથી ભક્તોની ભીડ જોવા મળી રહી છે. રથયાત્રાના 18 ગજરાજ, ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી 101 ટ્રક, અંગ કસરતના પ્રયોગો સાથે 30 અખાડા, 18 ભજન મંડળીઓ અને 3 બેન્ડવાજાવાળા જોડાયા છે. હરિદ્વાર, અયોધ્યા, નાસિક, ઉજ્જૈન, જગન્નાથપુરી તથા સૌરાષ્ટ્રમાંથી 2500 જેટલા સાધુ-સંતો પણ મોટી સંખ્યામાં જોડાયા છે. આ સાથે www.jagannathjiahd.org વેબસાઇટ પર ભક્તો ઓનલાઈન રથયાત્રાના દર્શનનો પણ લાભ લઈ શકશે.
અમદાવાદ રથયાત્રામાં ગજરાજ થયા બેકાબૂ

અમદાવાદ રથયાત્રામાં ગજરાજ બેકાબૂ થયાની ઘટના સામે આવી હતી જે બાદ ભાવિકોના જીવ તાળવે ચોંટયા હતા. જે બાદ કોઈ જાનહાનિ ન થાય તે માટે મ્યુઝિક અને ડી.જે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પોલીસ હાલ તમામ ટ્રકને અને અન્ય ડી.જેની ગાડીઓને મ્યુઝિક બંધ કરવા અનુરોધ કરી રહી છે. રથયાત્રા દરમિયાન ખાડિયા વિસ્તારમાં એક હાથી બેકાબુ થતા નાસભાગ મચી હતી ત્યારે વન વિભાગ અને ડોક્ટરોએ ઇન્જેક્શન આપી ગજરાજને કાબુમાં લીધો હતો. પોલીસ અને સ્વયંસેવકોને સિટી ન વગાડવા સૂચના આપવામાં આવી છે.
રાજકોટમાં રથયાત્રા નીકળી
આજે “જય જગન્નાથ” નાં જયઘોષ સાથે રાજકોટમાં ભવ્ય રથયાત્રા નીકળી છે. નાના મવા પર આવેલાં કૈલાસધામ આશ્રમ ખાતેથી સવારે રથયાત્રા શરૂ થઈ છે.જ્યારે ઇસ્કોન મંદિર દ્વારા સાંજે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે.
અષાઢીબીજનું પર્વ એટલે ધાર્મિક સાથે વણજોયું મુહૂર્ત ગણાય છે.આજનાં દિવસે રથયાત્રા સાથે નવી ખરીદી કરેલી જમીન પર ભૂમિપૂજન, વાસ્તુ સહિતનાં પ્રસંગો સાથે વાહનોની ખરીદી માટેનાં બુકીંગ થયા છે.જયારે ખેડૂતો માટે પણ વાવણીનો અવસર એટલે આ પર્વ કૃષિજગત માટે મહત્વ ધરાવે છે.
આ પણ વાંચો : ફાસ્ટેગ બનશે મલ્ટી-યુઝ પ્લેટફોર્મ : વાહન ચાલકો મેમો અને પાર્કિંગ ચાર્જ, EV ચાર્જિંગ પણ ફાસ્ટેગ કાર્ડથી કરી શકશે
હરે કૃષ્ણ મહામંત્રનાં મધુર કીર્તન સાથે સાંજે કોટેચા ચોકથી રથયાત્રા: 5000 કિલો બુંદી પ્રસાદ વિતરણ
રાજકોટમાં પણ ઇસ્કોન મંદિર દ્વારા વર્ષ 2003 થી દર વર્ષે ભગવાન શ્રી શ્રી જગન્નાથ, બળદેવ, સુભદ્રા ને નગરચર્યા એ નીકળશે. શહેર ભર માં રથયાત્રા કાઢવામાં આવે છે. આ અંગે વધુ માહિતી આપતા ઇસ્કોન મંદિર રાજકોટ ના પ્રમુખ વૈષ્ણવસેવા પ્રભુજી જણાવે છે કે ,રથયાત્રા સાંજે 5 કલાકે રામકૃપા ડેરી કોટેચા ચોક ખાતે થી શરુ થશે અને ઇન્દિરા સર્કલ, પંચાયત ચોક, આકાશવાણી ચોક, જે કે ચોક, એજી ચોક થી કાલાવડ રોડ પર જડ્ડુસ ચોક, કટારીયા સર્કલ થઇ ઇસ્કોન મંદિર એ આવશે. રાત્રે 8 વાગેથી સૌ દર્શનાર્થીઓ માટે મંદિરે ભંડારા પ્રસાદ નું આયોજન કરવામાં આવેલ છે.