ગુંદાવાડી વિસ્તારમાં બનેલી ઘટના,પત્નીએ વહેલી સવારે બીજા માળેથી ઝંપલાવ્યું, બપોરે પતિએ પણ પત્નીની પાછળ અનંતની વાટ પકડી
શહેરના ગુંદાવાડી વિસ્તારમાં વૃદ્ધ દંપતીએ ગણતરીના કલાકોના અંતરે મોતને વહાલું કર્યું છે. ગુંદાવાડી શેરી નંબર ૧૫માં આવેલા શ્રીરામ ફ્લેટમાં રહેતા જાડેજા દંપતીએ બીમારીની હતાશામાં આપઘાત કરી લેતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ, ગુંદાવાડીમાં રામજી મંદિરના ચોરા પાસે રહેતા કમળાબા બળવંતસિહ જાડેજા (ઉ.વ. ૬૫) એ આજે વહેલી સવારે સાડા ચાર વાગ્યાના અરસામાં પોતાના ફ્લેટના બીજા માળેથી નીચે પડતું મૂકી આપઘાત કરી લીધો હતો. આ ઘટનાથી પરિવાર અને આસપાસના લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. પત્નીના અવસાન બાદ બપોરે અઢી વાગ્યાની આસપાસ કમળાબાની અંતિમક્રિયા પતાવીને ઘરે પરત ફરેલા પતિ બળવંતસિહ ભગુભા જાડેજા (ઉં.વ. ૭૨) એ પણ પત્નીના વિયોગમાં ઝેરી દવા ગટગટાવી લીધી હતી. ગંભીર હાલતમાં પરિવારજનોએ તેમને તાત્કાલિક સિવિલહોસ્પિટલ ખસેડ્યા હતા, પરંતુ ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યો હતા.
બનાવની જાણ થતાં ભક્તિનગર પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ નરેન્દ્ર ગઢવી સહિતના સ્ટાફે હોસ્પિટલ પહોંચી તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, દંપતીને કોઈ સંતાન નહોતું. એક મહિના પૂર્વે જ બળવંતસિહને કેન્સર હોવાનું જાણવા મળ્યું હતું.ત્યારથી પતિ-પત્ની બંને ગુમસુમ અને માનસિક રીતે હતાશ રહેતા હતા. પત્નીએ વહેલી સવારે આપઘાત કર્યો અને પતિએ પત્નીને મુખાગ્નિ આપ્યા બાદ પતિએ પણ ઘરે આવી ઝેર પીને પોતાની જીવનલીલા સંકેલી લીધી હતી.
