અટકળોનો અંત : અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા રંગેચંગે જ નીકળશે, અધિકારીઓએ કર્યું રૂટનું નિરીક્ષણ
અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ એવી અટકળો ચાલી રહી હતી કે ભગવાન જગન્નાથજીની રથયાત્રા સાદાઈથી કાઢવામાં આવી શકે છે ત્યારે આજે તમામ અટકળોનો અંત આવી ગયો છે. ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા પરંપરાગત રીતે જ નીકળશે.

વર્ષ 1869થી અમદાવાદમાં રથયાત્રાની શરૂઆત કરવામાં આવી હતી ત્યારથી લઈને આજ દિવસ સુધી ધામધૂમથી અમદાવાદના માર્ગો પરથી રથયાત્રા નીકળે છે ત્યારે આ વર્ષે પણ અમદાવાદમાં રથયાત્રા રંગેચંગે જ નીકળશે. 27જૂનના રોજ અષાઢી બીજ છે ત્યારે રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે ત્યારે તૈયારીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે. આજે નેતા-અધિકારીઓએ રૂટનું નિરીક્ષણ કર્યું હતું. રથયાત્રાના રુટમાં આવતા ભયજનક મકાનો સામે એક્શન લેવામાં આવશે તેમજ રવિવારે આખો દિવસ મામેરાનાં દર્શન થશે.
ઉલ્લેખનીય છે કે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના જેના પડઘા સમગ્ર ભારતમાં પડ્યા છે. આ દુર્ઘટનામાં 250થી વધુ લોકોના મૃત્યુ થયા છે. ત્યારે આ વર્ષે અમદાવાદમાં યોજાનારી ભગવાન જગન્નાથની રથયાત્રા સાદગીપૂર્ણ રીતે કાઢવામાં આવે તેવી અટકળો વહેતી થઈ હતી ત્યારે આજે તમામ અટકળોનો અંત લાવતા જગન્નાથ મંદિરના ટ્રસ્ટ્રી મહેન્દ્ર ઝા અને મંદિરના મહંત જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે જણાવ્યું હતું કે, ‘દર વર્ષે જે રીતે પરંપરા મુજબ રથયાત્રા નીકળે તે પ્રમાણે તૈયારી કરવામાં આવી છે.’
આ પણ વાંચો : વિસાવદરમાં શાંતિપૂર્ણ 60% મતદાન : EVMમાં ઉમેદવારોનું ભાવિ કેદ, 4% જેવો વોટિંગમાં વધારો કોને ફળશે અને કોને નડશે?
રથયાત્રાના રુટનું નિરીક્ષણ
રથયાત્રાની તૈયારીઓને અનુસંધાને આજે અધિકારીઓએ અને ભાજપના પદાધિકારીઓએ રુટનું નિરક્ષણ કર્યુ હતું. અમદાવાદ શહેરનાં મેયર પ્રતિભા જૈન, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી, ડેપ્યુટી મેયર જતીન પટેલ સહિતના ભાજપના પદાધિકારીઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ મંદિરના મહેન્દ્ર ઝા સાથે રૂટ નિરીક્ષણ કર્યું હતું.
રથયાત્રાનો રુટ આ મુજબ છે
સવારના નિજ મંદિરેથી રથયાત્રાની શરુઆત થયા બાદ ખમાસા ગેટ, મ્યુનિસિપલ કચેરી, આસ્ટોડિયા ચકલા, રાયપુર, ખાડિયા ચાર રસ્તા, પાંચકુવા, કાલુપુર સર્કલ, ડૉ. આંબેડકર હોલ, સરસપુર ચાર રસ્તાથી વિરામ સ્થળે પહોંચે છે. અહીંયા થોડો સમય વિરામ લીધા પછી રથયાત્રીઓ જય જગન્નાથજીના ગગનભેદી નારાઓ સાથે આગળની પરિક્રમા શરૂ કરે છે. સરસપુર ચાર રસ્તાથી ડૉ.આંબેડકર હોલ, કાલપુર સર્કલ, જોર્ડન રોડ, દિલ્હી ચકલા, હલીમની ખડકી, શાહપુર દરવાજા, શાહપુર ચકલા, રંગીલા ચોકી, ઘીકાંટા રોડ, પાનકોરનાકા, ફુવારા, આર.સી. હાઇસ્કૂલ, માણેકચોક, ગોળલીમડા, દાણાપીઠ, ખમાસા થઈને ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિજ મંદિરે પરત ફરશે.