ગૌવધ પર સંપૂર્ણ પ્રતિબંધના આદેશ સામે તમિલનાડુ સરકાર સુપ્રીમ કોર્ટમાં
હાઇકોર્ટે કાયદાની મર્યાદા વટાવી હોવાનો દાવો
તમિલનાડુ સરકારે રાજ્યમાં ગૌવધ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવાના મદ્રાસ હાઇકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. રાજ્ય સરકારે પોતાની અરજીમાં દલીલ કરી છે કે હાઇકોર્ટે 1958ના તમિલનાડુ એનિમલ પ્રિઝર્વેશન એક્ટની જોગવાઈઓથી આગળ જઈને સંપૂર્ણ પ્રતિબંધનો આદેશ આપ્યો છે, જે કાયદાકીય માળખા સાથે સુસંગત નથી.
રાજ્ય સરકારે જણાવ્યું છે કે કાયદા મુજબ ચોક્કસ પરિસ્થિતિઓમાં જ ગાયના વધને મંજૂરી આપી શકાય છે, પરંતુ હાઇકોર્ટે બકરી ઈદ જ નહીં, અન્ય કોઈપણ દિવસે ગાય કે વાછરડાના વધ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો આદેશ આપીને કાયદાની વ્યાખ્યાનો વિસ્તાર કરી દીધો છે. સરકારના મતે ચુકાદામાં આંતરિક વિરોધાભાસ પણ જોવા મળે છે.
આ સમગ્ર વિવાદ એક અરજી પરથી શરૂ થયો હતો, જેમાં જાહેર સ્થળોએ કથિત ગેરકાયદે ગૌવધ રોકવાની માંગ કરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન હાઇકોર્ટે બંધારણના અનુચ્છેદ-48નો ઉલ્લેખ કરી અને ગાય, વાછરડા તથા દૂધાળ અને ખેતીમાં ઉપયોગી પશુઓના સંરક્ષણને મહત્વ આપ્યું હતું. સાથે જ કોર્ટે અગાઉના સુપ્રીમ કોર્ટના ચુકાદાઓનો પણ ઉલ્લેખ કરીને કહ્યું હતું કે બકરી ઈદ પર ગાયનું બલિદાન ઇસ્લામમાં અનિવાર્ય ધાર્મિક પ્રથા નથી.
આ પણ વાંચો: બંગાળની ખાડીનું લો પ્રેશર આગામી એક અઠવાડિયા સુધી વરસાદ લાવશે આમ છતાં
શું છે આખો મામલો…?
27 મેના રોજ મદ્રાસ હાઇકોર્ટની ડિવિઝન બેન્ચે રાજ્યના મુખ્ય સચિવ અને પોલીસ અધિકારીઓને રાજ્યમાં બકરી ઈદ સહિત કોઈપણ દિવસે ગાય અથવા વાછરડાનું વધ ન થાય તેની ખાતરી કરવા સૂચના આપી હતી. કોર્ટે કહ્યું હતું કે પશુવધ માત્ર અધિકૃત કતલખાનાઓમાં જ થઈ શકે અને 1958ના તમિલનાડુ એનિમલ પ્રિઝર્વેશન એક્ટની કલમ-4 મુજબ 10 વર્ષથી વધુ ઉંમરની, કામ અથવા પ્રજનન માટે અયોગ્ય જાહેર કરાયેલી તથા સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર ધરાવતી ગાયના વધને જ મંજૂરી મળી શકે. કોર્ટે આ જોગવાઈનું કડક પાલન કરવાની સાથે સમગ્ર રાજ્યમાં તેનો અમલ સુનિશ્ચિત કરવા પણ સરકારને આદેશ આપ્યો હતો. સાથે જ અગાઉના સુપ્રીમ કોર્ટના ચુકાદાઓનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે બકરી ઈદ પર ગાયનું બલિદાન ઇસ્લામની આવશ્યક ધાર્મિક પ્રથા નથી, તેથી ગૌવધ પર નિયંત્રણ ધાર્મિક સ્વતંત્રતાનું ઉલ્લંઘન ગણાવી શકાય નહીં.
