અમે મધ્યસ્થી સ્વીકારી નથી અને સ્વીકારશું પણ નહીં…PM મોદીએ ડોનાલ્ડ ટ્ર્મ્પ સાથે ફોન પર 35 મિનિટ વાતચીત કરી
પહેલગામ આતંકી હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદુર ચલાવીને પાકિસ્તાનને વળતો જવાબ આપ્યો હતો ત્યારે યુદ્ધવિરામમાં ટ્રમ્પે મધ્યસ્થી કરી હોવાનો દાવો કર્યો હતો જે બાદ આજે વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ પીએમ મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચેના ફોન કોલ વિશે વિગતવાર માહિતી આપી હતી. તેમણે કહ્યું કે આ કોલમાં પીએમ મોદીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પને સ્પષ્ટપણે કહ્યું હતું કે ભારતે ક્યારેય ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈની મધ્યસ્થી સ્વીકારી નથી અને ભવિષ્યમાં પણ સ્વીકારશે નહીં. ભારત -પાક વચ્ચે સીઝફાયરમા અમેરિકાની કોઈ ભૂમિકા નથી.

PM મોદી અને ટ્રમ્પ વચ્ચે 35 મિનિટ થઈ વાતચીત
બુધવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાતચીત કરી હતી. બંને નેતાઓ વચ્ચે 35 મિનિટની વાતચીત થઈ હતી. માહિતી અનુસાર, પીએમ મોદી રાષ્ટ્રપતિ ટ્રમ્પને મળવાના હતા, જે ટ્રમ્પના અમેરિકા વહેલા પાછા ફરવાના કારણે થઈ શક્યા નહીં. ટ્રમ્પની વિનંતી પર, બંને નેતાઓએ આજે ફોન પર વાતચીત કરી હતી. માહિતી અનુસાર, પીએમ મોદીએ આતંકવાદ પર ભારતનો દ્રષ્ટિકોણ રજૂ કર્યો. પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ પર પણ બંને નેતાઓ વચ્ચે ચર્ચા થઈ. પીએમ મોદીએ ઓપરેશન સિંદૂર વિશે પણ વાત કરી.

પાકિસ્તાનની વિનંતી પર જ સિઝફાયર કરવામાં આવ્યું
વડા પ્રધાન મોદીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આ સમગ્ર ઘટના દરમિયાન, ક્યારેય, કોઈપણ સ્તરે, ભારત-અમેરિકા વેપાર સોદો અથવા ભારત અને પાકિસ્તાન વચ્ચે અમેરિકા દ્વારા મધ્યસ્થી જેવા વિષયો પર ચર્ચા થઈ નથી. તણાવ ઘટાડવા માટે ભારત અને પાકિસ્તાન વચ્ચે ચર્ચા થઈ હતી. અને પાકિસ્તાનની વિનંતી પર જ સિઝફાયર કરવામાં આવ્યું હતું. ભારતે ક્યારેય મધ્યસ્થી સ્વીકારી નથી, ન તો ક્યારેય સ્વીકારશે. ભારતના તમામ પક્ષોનો આ મુદ્દા પર એક સમાન અભિપ્રાય છે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પે પ્રધાનમંત્રી દ્વારા આપવામાં આવેલી વિગતો સમજી અને આતંકવાદ સામે ભારતની લડાઈને ટેકો વ્યક્ત કર્યો. પ્રધાનમંત્રી મોદીએ એમ પણ કહ્યું કે ભારત હવે આતંકવાદને એક પ્રોક્સી વોર તરીકે જુએ છે, અને ભારતનું ઓપરેશન સિંદૂર હજુ પણ ચાલુ છે.
આ પણ વાંચો : રાજ્યના 13 IAS અધિકારીઓની બદલી : રાજકોટ જિલ્લા કલેકટરની ગાંધીનગર બદલી, ઓમપ્રકાશ બન્યા નવા કલેકટર
વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ સંપૂર્ણ માહિતી આપી
આ મુદ્દે, ભારતના વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ કહ્યું કે પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચેની મુલાકાત G7 સમિટ દરમિયાન થવાની હતી. રાષ્ટ્રપતિ ટ્રમ્પને વહેલા અમેરિકા પાછા ફરવું પડ્યું, જેના કારણે આ મુલાકાત થઈ શકી નહીં. આ પછી, રાષ્ટ્રપતિ ટ્રમ્પની વિનંતી પર, બંને નેતાઓએ આજે ફોન પર વાતચીત કરી. બંને નેતાઓએ 35 મિનિટ સુધી વાત કરી.
પીએમ મોદીએ અમેરિકા આવવાની વિનંતી પર અસમર્થતા વ્યક્ત કરી
રાષ્ટ્રપતિ ટ્રમ્પે પ્રધાનમંત્રી મોદીને પૂછ્યું કે શું તેઓ કેનેડાથી પરત ફરતી વખતે અમેરિકા આવી શકે છે? જોકે, પૂર્વનિર્ધારિત કાર્યક્રમોને કારણે, પ્રધાનમંત્રી મોદીએ તેમની અસમર્થતા વ્યક્ત કરી. ત્યારબાદ બંને નેતાઓએ નક્કી કર્યું કે તેઓ નજીકના ભવિષ્યમાં મળવાનો પ્રયાસ કરશે.
ઓપરેશન સિંદૂર દરમિયાન ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ સાથે વાતચીત થઈ હતી
વિદેશ સચિવ વિક્રમ મિશ્રીના જણાવ્યા મુજબ, 9 મેની રાત્રે, યુએસ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સે વડા પ્રધાન મોદીને ફોન કર્યો હતો. ઉપરાષ્ટ્રપતિએ કહ્યું હતું કે પાકિસ્તાન ભારત પર મોટો હુમલો કરી શકે છે. વડા પ્રધાન મોદીએ તેમને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે જો આવું થશે, તો ભારત પાકિસ્તાનને વધુ મોટો જવાબ આપશે. 9-10 મેની રાત્રે પાકિસ્તાનના હુમલાનો ભારતે ખૂબ જ જોરદાર જવાબ આપ્યો હતો. પાકિસ્તાનની સેનાને ઘણું નુકસાન થયું હતું.