પહલગામ આતંકી હુમલા બાદ મોટી કાર્યવાહી: પાક.એક્ટર ફવાદ ખાનની ફિલ્મ ‘અબીર ગુલાલ’ ભારતમાં નહીં થાય રીલીઝ
કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાના પડઘા માત્ર ભારતમાં જ નહીં સમગ્ર વિશ્વમાં પડ્યા છે. સમગ્ર વિશ્વના નેતાઓ દ્વારા પાકિસ્તાન પર ફિટકાર વરસાવવામાં આવી રહ્યો છે ત્યારે સૂચના અને પ્રસારણ મંત્રાલયના સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ પાકિસ્તાની એક્ટર ફવાદ ખાનની મુખ્ય ભૂમિકાવાળી ફિલ્મ ‘અબીર ગુલાલ’ ભારતમાં રીલીઝ નહીં થાય. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મમાં ભારતીય અભિનેત્રી વાણી કપૂરની પણ ભૂમિકા છે.

પહેલગામમાં આતંકી હુમલો થયા બાદ મોદી સરકાર દ્વારા પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે. ત્યારે હવે પહેલગામ આતંકવાદી હુમલાને ધ્યાનમાં રાખીને અબીર ગુલાલ’ ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાની અભિનેતા ફવાદ ખાનની ફિલ્મ અબીર ગુલાલ ભારતમાં રિલીઝ થવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
યુટ્યુબ પરથી ફિલ્મનું ગીત હટાવાયું
સોશિયલ મીડિયા પર લોકો સતત આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી રહ્યા હતા. આ ફિલ્મ 9 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી. જોકે, વિરોધની વધતી જતી જ્વાળાને જોઈને નિર્માતાઓએ ફિલ્મની રિલીઝ પહેલાથી જ મુલતવી રાખી હતી. સૂચના અને પ્રસારણ મંત્રાલયના સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ ફિલ્મ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તાજેતરમાં, ફિલ્મનું રોમેન્ટિક ગીત ‘ઇશ્ક’ પણ અ રિચ લેન્સ એન્ટરટેઈનમેન્ટના યુટ્યુબ ચેનલ પરથી દૂર કરવામાં આવ્યું હતું. ચેનલ પર ફિલ્મ અને ગીતના ટીઝરનો કોમેન્ટ સેક્શન પણ બંધ કરી દેવામાં આવ્યો છે.

ફવાદે દુઃખ વ્યક્ત કર્યું
તાજેતરમાં, ફવાદે એક પોસ્ટ શેર કરી હતી અને હુમલા પર દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે લખ્યું હતું- પહેલગામમાં થયેલા જઘન્ય હુમલાના સમાચાર સાંભળીને મને ખૂબ જ દુઃખ થયું છે. અમારા વિચારો અને પ્રાર્થનાઓ આ ભયાનક ઘટનાના પીડિતો સાથે છે. આ મુશ્કેલ સમયમાં અમે તેમના પરિવારો માટે હિંમત માટે પ્રાર્થના કરીએ છીએ.
ફિલ્મમાં બોલિવૂડ અભિનેત્રી વાણી કપૂર મુખ્ય ભૂમિકામાં
વર્ષો પછી, ફવાદ અબીર ગુલાલ સાથે વાપસી કરવા જઈ રહ્યો હતો. આ ફિલ્મમાં તેમની સાથે બોલિવૂડ અભિનેત્રી વાણી કપૂર મુખ્ય ભૂમિકામાં છે. જોકે, આ ફિલ્મનું શૂટિંગ સંપૂર્ણપણે વિદેશમાં થયું હતું. આમ છતાં, ફિલ્મનું ટીઝર રિલીઝ થયું ત્યારથી જ તેનો વિરોધ થઈ રહ્યો હતો. ફિલ્મની રિલીઝ રોકવાની માંગ કરવામાં આવી હતી. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ તો ચેતવણી પણ આપી હતી કે જો ફિલ્મ રિલીઝ થશે તો કોઈને પણ બક્ષવામાં આવશે નહીં.આવી સ્થિતિમાં, જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલી આતંકવાદી ઘટનાઓએ આ વિરોધને વધુ વેગ આપ્યો છે..