દારૂ નીતિથી રૂ.2 હજાર કરોડનું નુકસાન; દિલ્હી વિધનસભામાં રજૂ થયો કેગ રિપોર્ટ, આપના 21 ધારાસભ્યો 3 દિવસ માટે સસ્પેન્ડ
મંગળવારે દિલ્હી વિધાનસભામાં પાછલી આપ સરકારની દારૂ નીતિ સંબંધિત કેગ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી રેખા ગુપ્તા દ્વારા રિપોર્ટ રજૂ કરવામાં આવતા જ દેકારો મચી ગયો હતો. આ દરમિયાન સ્પીકર વિજેન્દ્ર ગુપ્તાએ કહ્યું કે પાછલી સરકારે રિપોર્ટ દબાવી દીધો હતો અને રિપોર્ટ અંગે ભ્રમ ફેલાવવામાં આવ્યો હતો.આમ ફરી કેજરીવાલ અને એમની ટીમ મુશ્કેલીમાં મુકાઇ શકે છે .
કેગના રિપોર્ટ મુજબ, 2021-2022ની એક્સાઇઝ પોલિસીને કારણે દિલ્હી સરકારને કુલ 2,000 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે. આ ખોટ વિવિધ કારણોસર થઈ છે, જેમાં નબળા નીતિ માળખાથી લઈને અપૂરતા અમલીકરણનો સમાવેશ થાય છે.
આ અહેવાલમાં લાઇસન્સ આપવાની પ્રક્રિયામાં થતા ઉલ્લંઘનો પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે દારૂ નીતિના નિર્માણમાં ફેરફારો સૂચવવા માટે રચાયેલી નિષ્ણાત પેનલની ભલામણોને તત્કાલીન નાયબ મુખ્યમંત્રી અને આબકારી મંત્રી મનીષ સિસોદિયાએ અવગણી હતી.
કોવિડ દરમિયાન ૧૪૪ કરોડ રૂપિયાનું નુકસાન
રિપોર્ટમાં ૯૪૧.૫૩ કરોડ રૂપિયાના મહેસૂલ નુકસાનનો દાવો કરવામાં આવ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે “બિન-અનુરૂપ મ્યુનિસિપલ વોર્ડ” માં દારૂની દુકાનો ખોલવા માટે સમયસર પરવાનગી લેવામાં આવી ન હતી.
બિન-અનુરૂપ વિસ્તારો એવા વિસ્તારો છે જે દારૂની દુકાનો ખોલવા માટે જમીન ઉપયોગના ધોરણોનું પાલન કરતા નથી. મુખ્યમંત્રી દ્વારા રજૂ કરાયેલા અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, ‘આબકારી વિભાગને આ વિસ્તારોમાંથી લાઇસન્સ ફીના રૂપમાં લગભગ 890.15 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે કારણ કે આ વિસ્તારો છોડી દેવામાં આવ્યા છે અને વિભાગ દ્વારા ફરીથી ટેન્ડર કરવામાં નિષ્ફળતા મળી છે.’ અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે કોવિડ રોગચાળાને લગતા બંધને કારણે, લાઇસન્સધારકોને ગેરકાયદે છૂટ અપાતાં રૂપિયા ૧૪૪ કરોડનું નુકસાન થયું છે .
આપના ૨૧ ધારાસભ્યો ૩ દિવસ માટે સસ્પેન્ડ
દરમિયાનમાં ગૃહમાં ભારે હંગામો અને ધમાલ કરીને શિસ્તનું પાલન નહિ કરવા બદલ આમ આદમી પાર્ટીના ૨૧ ધારાસભ્યોને સ્પીકરે સજા કરી હતી અને એમને ૩ દિવસ માટે સસ્પેન્ડ કરી દીધા હતા. ત્યારબાદ આપના સભ્યોએ ગૃહની બહાર પણ ધમાલ કરી હતી અને ધરણાં પર બેસી ગયા હતા. સીએમની ચેમ્બરમાંથી ભગતસિંહ અને બાબાસાહેબ આંબેડકરની તસવીરો શા માટે હટાવાઈ તે મુદ્દે એમણે દેખાવો કર્યા હતા. આ સાથે વિધાન સભાનું સત્ર બે દિવસ લંબાવી દેવાયું હતું.