ગુજરાતનો આત્મા જાગવો જોઈએ…અમરેલીની યુવતીને પોલીસે માર માર્યા મામલે ગોપાલ ઈટાલીયાએ પોતાના શરીર ઉપર પટ્ટા માર્યા
અમરેલીની પાટીદાર યુવતી સાથે પોલીસે કરેલી કથિત સખ્તાઈનો મામલો હવે રાજકીય બની ગયો છે. કોંગ્રેસે વિરોધ નોંધાવ્યા બાદ હવે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયા આક્રમક મોડમાં આવી ગયા છે અને પોલીસે આ પાટીદાર યુવતીને પટ્ટા માર્યા હોવાથી ગોપાલ ઈટાલિયાએ પણ પોતાની જાતે શરીર પર જાહેરમાં પટ્ટા માર્યા હતા. ઈટાલિયાએ કહ્યું, પોલીસે દીકરીને પટ્ટા માર્યા તો હું પોતાને પટ્ટા મારીશ. ગુજરાતનો આત્મા જાગવો જોઈએ…દીકરીને પોલીસે કેવી રીતે પટ્ટા મારી શકે. તેમણે કહ્યું, ગુજરાતમાં દીકરીઓ પર અત્યાચાર સાંખી નહીં લેવાય.
અમરેલી લેટરકાંડની પીડિતા સાથે કોંગ્રેસ નેતાઓએ ઘરે જઇને મુલાકાત કરી હતી. આ દરમિયાન પીડિતાએ 3 દિવસ દરમિયાન પોલીસે તેની સાથે શું કર્યું તેની આપવીતી જણાવી હતી. આ દરમિયાન પીડિત દીકરીએ કહ્યું કે, પોલીસે તેને ડરાવી હતી અને પગમાં પટ્ટા માર્યા હતા. આ નિવેદન બાદ આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ એક કાર્યક્રમમાં જાહેર મંચ પરથી પોતાની જાતને જ પટ્ટા મારીને કહ્યું, કે ગુજરાતનો આત્મા જાગવો જોઈએ.
આ સમગ્ર પ્રકરણની શરૂઆત એક નકલી લેટરપેડથી થઈ હતી, જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ લેટરપેડમાં ધારાસભ્ય કૌશિક વેકરીયા પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા, જેના કારણે તેમના સમર્થકો ગાંધીનગર સુધી રજૂઆત કરવા પહોંચ્યા હતા. આ મામલો જિલ્લા પોલીસ વડા સુધી પહોંચતા લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને સાયબર ક્રાઈમ સહિતની ટીમોએ તપાસ શરૂ કરી હતી અને ધારાસભ્યને બદનામ કરવાનું કાવતરું ઘડનારા ભાજપના પૂર્વ હોદ્દેદાર સહિત ચાર લોકોની ધરપકડ કરી હતી. પોલીસ પાયલ ગોટીને લઈ ગઈ હતી અને તેને માર મારવામાં આવ્યો હોવાનો આરોપ છે.