આજે રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્ડમાં 60 ફૂટ ઉંચા રાવણનું દહન : લેસર શો યોજાશે
વર્ષે દશેરાના પાવન પર્વ નિમિતે વર્ષોની પરંપરા મુજબ વિ.હિ.૫. બજરંગદળ દુર્ગાવાહીની દ્વારા વિજયાદશમીની ખૂબ ભાવભેર, ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે. જેના સંદર્ભમાં આ વર્ષે પણ તા. ૧૨ના આજરોજ રેસકોર્ષ મેદાન ખાતે સાંજે ૭-૦૦ કલાકે અનેકવિધ કાર્યક્રમોની હારમાળ સર્જાવાની છે. આ વર્ષે પૂતળા દહન શસ્ત્ર પૂજન – આતશબાજી સાથે નવીનતમ ફલેસર શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ લેસર શોમાં અદ્યતન લાઈટ એન્ડ સાઉન્ડ ઈફેકટ દ્વારા ધર્મભકિત અને રાષ્ટ્રશકિતનો સમન્વય યોજી ઉપસ્થિત તમામ લોકોને પસંદ પડે તેવો શો યોજાવાનો છે. આ શો જોવા દર વર્ષે વધુને વધુ લોકો જોડાતા જાય છે તેમજ આ શો માં અનેકવિધ ગીતોનો સમાવેશ કરવામાં આવશે. આમ એક નવુ આકર્ષણ ઉમેરાતા પ્રજાજનોને દર વર્ષ કરતાં પણ વિશેષ આનંદ આવશે અને લોકો બહોળી સંખ્યામાં જોડાશે.
આ વર્ષે પણ ગુજરાતના સૌથી ઉંચા પૂતળા બનાવવાનો રાજકોટનો રેકોર્ડ અકબંધ રહયો છે. આ વખતે ગુજરાતના સૌથી ઉચો ૬૦ ફુટનો રાક્ષસ રૂપી રાવણ તથા અન્ય ૩૦-૩૦ ફૂટ ઉંચા પૂતળા બનાવવામાં આવ્યા છે. આ પૂતળાઓ બનાવવા માટે ખાસ આગ્રા (યુ.પી.) થી તેના સ્પેશ્યાલીસ્ટ કારીગરોને રાજકોટ બોલાવવામાં આવ્યા છે જેમની ૨૫ થી વધુ લોકોની ટીમ દ્વારા મહિનાઓની જહેમત બાદ આ પુતળા તૈયાર થાય છે.
દર વર્ષની માફક આ વર્ષે પણ રાક્ષસ દહન વખતે અવનવા રંગબેરંગી પ્રકારના ફટાકડાઓની આતશબાજીથી કાર્યક્રમ સ્થળે દિવાળી જેવો માહોલ રચાશે. આ વર્ષે ખાસ તામીલનાડુથી મંગાવવામાં આવેલ ફટાકડાની આતશબાજી જોઈને બાળકો સહિત મોટેરા તમામ આનંદિત થઈને જુમી ઉઠશે. દર વર્ષે પ્રજાજનો સ્વયંભૂ રીતે જ પૂતળાદહન અને આતશબાજી જોવા માટે ઉમટી પડે છે. આ વર્ષે તેમાં એક નવા નજરાણાનો સમાવેશ કરી લાઈટ એન્ડ સાઉન્ડ પર આધારીત થીમ બેઈઝ લેસર શો નું આયોજન કરવામાં આવ્યું છે.
આ લેસર શો ના સંચાલક ડી.જે. અમર ઠાકર કરશે. આ તકે સંચાલક દ્વારા માહિતી આપતા જણાવવામાં આવ્યું છે કે, તેઓ દ્વારા દશેરા નિમિતે અલગ-અલગ પ્રકારની લાઈટ એન્ડ સાઉન્ડ સીસ્ટમના ઉપયોગ થકી લેસર શો કરવામાં આવશે જેમા ખાસ કરીને બાળકોને મજા પડી જાય તે રીતના ડી.જે. વીથ લેસર શો કરવામાં આવશે અને આ લેસર શો માં ધર્મભકિતથી રાષ્ટ્રભકિત સુધીના ગીતોની સફર સાથે અધ્યતન ટેકનોલોજીના માધ્યમથી લેસર એન્ડ સાઉન્ડ શો સાથે ભવ્ય આતશબાજી કરવામાં આવશે.
આ વખતે પ્રથમવાર સામાજીક જવાબદારીના ભાગ રૂપે એક રકતદાન શીબીરનું આયોજન કરવામાં આવ્યું છે. રકતદાતાઓ રાક્ષસ દહનના કાર્યક્રમ સ્થળે બનાવવામાં આવેલ એક વિશેષ મંડપમાં રકતદાન કરી શકે તેવી અલાયદી વ્યવસ્થા તજજ્ઞોની દેખરેખમાં કરવામાં આવી છે. આ કેમ્પ ખાતેથી રકતદાન કરનાર રકતદાતાને પોતાનું બ્લડગ્રુપ સહિતની માહિતી મળી શકશે. તો આ સેવા કાર્યમાં જોડાવવા અનુરોધ કરવામાં આવ્યો છે.
આ રાક્ષસ દહન કાર્યક્રમમાં રાજકોટ શહેરના તમામ નાગરીકો ઉપસ્થિત રહેતા હોય જેથી તેમની કાર્યક્રમ સ્થળે વાહન પાર્ક ન કરતા રેસકોર્ષ ગ્રાઉન્ડની બાજુમાં ક્રિકેટ સ્ટેડીયમ પાસે, ચૌધરી હાઈસ્કૂલના મેદાનમાં તથા પાર્કિગ વાળી જાહેર જગ્યા હોય ત્યાં વ્યવસ્થા કરવામાં આવી છે જેથી તમામ નાગરીકોને આ સ્થળોએ પોતાના વાહનો પાર્ક કરી અને કાર્યક્રમ સ્થળે આવવા વિ.હિ.૫. દ્વારા
અનુરોધ કરવામાં આવ્યો છે જેથી કરીને ટ્રાફીક વ્યવસ્થા જળવાઈ રહે.