ચેતતુ તંત્ર સદા સુખી : રાજકોટમાં ગણેશની મૂર્તિ ફાયર બ્રિગેડને સોંપી દેવી પડશે, તેઓ જ કરશે વિસર્જન
ભાવિકો મંગળવારે ભારે હૈયે ગણપતિબાપ્પાને વિદાય આપવાના છે ત્યારે આ દિવસે કોઈ પ્રકારની કરુણાંતિકા ન સર્જાય તેમજ સલામત રીતે ગણેશજીની મૂર્તિનું વિસર્જન થાય તે માટે તંત્ર દ્વારા ખાસ તૈયારી કરી લેવામાં આવી છે. વળી, ગાંધીનગરના દહેગામમાં પાણીમાં ડૂબી જવાને કારણે થયેલી દૂર્ઘટના બાદ તંત્ર એલર્ટ થઈ ગયું છે અને આવું રાજકોટમાં ન બને તે માટે ખાસ તકેદારી પણ રાખવામાં આવશે. એકંદરે રાજકોટમાં કોઈને પણ પોતાના હાથે ગણેશ વિસર્જન કરવા દેવામાં આવશે નહીં.
મંગળવારે અલગ-અલગ આઠ સ્થળે ગણેશ વિસર્જન માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં સવારે ૭ વાગ્યાથી જ ફાયર બ્રિગેડનો સ્ટાફ ક્રેન, રેસ્ક્યુ બોટ, એમ્બ્યુલન્સ, લાઈફ બોટ, લાઈફ જેકેટ સાથે તૈનાત થઈ જશે. દરેક સ્થળે બેરિકેડ લગાવી ફાયર બ્રિગેડ દ્વારા વિસર્જન કરવામાં આવશે. ખાસ કરીને લોકોને તેમના હાથે વિસર્જન કરવા દેવામાં આવશે નહીં જેથી કરી ડૂબી જવા સહિતની ઘટના આકાર ન લઈ જાય. વિસર્જન સ્થળે મૂર્તિ પધરાવાની થાય ત્યારે સ્થળ પર પહોંચ્યા બાદ ફાયર સ્ટાફને મૂર્તિ સોંપી દેવાની રહેશે.
તંત્ર દ્વારા આજી ડેમ ઓવરફ્લો પાસે ખાણ નં.૧, ખાણ નં.૨, આજીડેમ ઓવરફ્લો-ચેકડેમ, પાળ ગામ, જખરાપીરની દરગાહ પાસે, મવડી ગામથી આગળ, ન્યારાના પાટિયા પાસે ન્યારા રોડ, ખાણમાં-જામનગર રોડ, રંગપર ડેમ પાસે આવેલ કોઝ-વે-જામનગર રોડ, બાલાજી વેફર્સની સામે વાગુદડ પાટિયા પછીના પુલ નીચે-કાલાવડ રોડ અને એચ.પી.ના પેટ્રોલ પંપ સામે, રવિવારી બજારવાળું ગ્રાઉન્ડ-ભાવનગર રોડ ખાતે ગણેશ વિસર્જન માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.