અગ્નિકાંડનાં પીડિત પરિવારે કન્ઝ્યુમર કાયદા હેઠળ ૨૦ લાખનું વળતર માગ્યુ
રેસ-વે એન્ટરપ્રાઇઝ નામની ભાગીદારી પેઢી, ભાગીદારો/મિલ્કત ના માલીકો સહીત રાજકોટ કલેકટર, પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનરને પક્ષકાર બનાવાયા
રાજકોટ
રાજકોટના અગ્નિકાંડનાં પીડિત પરિવારોને રાજ્ય અને કેન્દ્ર સરકારે વળતર ચુકવ્યુ છે પણ કન્ઝ્યુમર પ્રોટેક્શન એકટ હેઠળ પણ વળતર મળી શકે છે. રાજકોટની આ દુર્ઘટનામાં દર્શન એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થી અને જાણીતા વેપારી અગ્રણી રસિકભાઈ વેકરીયાએ તેમના પુત્ર નિરવના મૃત્યુ બદલ રેસ-વે એન્ટરપ્રાઇઝ નામની ભાગીદારી પેઢી, તેના ભાગીદારો, મિલકતના માલિકો વિરુદ્ધ કન્ઝ્યુમર કાયદાના નિષ્ણાંત એડવોકેટ ગજેન્દ્ર જાની મારફત રાજકોટ જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગ (અધિક) સમક્ષ ફરિયાદ દાખલ કરી છે અને ૨૦ લાખ રૂપિયાનું વળતર માગ્યુ છે. આ ફરિયાદ બાદ આયોગ દ્વારા તમામ પક્ષકારોને નોટીસ ફટકારવામા આવી છે. આ કામના કરિયાદીએ પોતાના પૂત્ર નિરવ કે જે દર્શન એન્જિનિયરિંગ કોલેજ ખાતે એન્જિનિયરિંગ ના બીજા વર્ષમા અભ્યાસ કરતો હતો તેની ઉજ્જવળ શૈક્ષણિક કારકિર્દી ધ્યાને લઈ રેસ-વે એન્ટરપ્રાઇઝ નામની ભાગીદારી પેઢી તથા તેના ભાગીદારો, મિલ્કત ના માલિકો પાસેથી 20 લાખના વળતરની માંગણી કરી છે.
આ ફરિયાદ અનુસાર, રેસ-વે એન્ટરપ્રાઇઝ એક ભાગીદારી પેઢી છે. આ પેઢી દ્વારા TRP ગેઈમ ઝોનના નામથી ગેમ્સ, એમ્યુઝમેન્ટ, સ્પોર્ટસ અને રેસીંગ જેવી અનેકવિધ એક્ટિવિટી થઈ શકે તેવી પોતાની પ્રોડક્ટ વિવિધ પ્રકારે જાહેરાતના માધ્યમથી ઓફર કરેલ હતી.
તારીખ 25/5/24 ના રોજ ગેમઝોન ખાતે અચાનક આગ ફાટી નીકળતા ગેમઝોનમા રમતગમત એમ્યુઝમેન્ટનો લાભ લઈ રહેલ નિરવભાઈ તથા અન્ય ગ્રાહકો ગેમઝોનમાથી બહાર નીકળી શક્યા ન હતા અને અગ્નિજ્વાળા ની લપેટમા આવી અકાળે મૃત્યુ પામ્યા હતા.
ફરિયાદમા સ્પષ્ટ આક્ષેપ કરવામા આવેલ છે કે પેઢી દ્વારા પોતાના ગ્રાહકો માટે સુરક્ષા વિષયક બાબતો અન્વયે બેદરકારી દાખવવામા આવેલ, અગ્નિશામક સાધનો ઉપલબ્ધ રાખવામા આવેલ નહી, ગ્રાહકો માટે કોઈપણ પ્રકારની વિમા સુરક્ષા પણ લેવામા આવેલ નહી જેને પરિણામે પેઢીના ગ્રાહક એવા નિરવ વેકરીયાનુ પેઢીના સ્થળે પેઢીની ખામીયુક્ત સેવા તથા બેદરકારીને કારણે મૃત્યુ થયેલ છે.
કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટના સ્ટેચ્યુટરી પ્રોવિઝન હેઠળ કોમ્પનસેશન તથા પ્યુનિટીવ ડેમેજીસ હેઠળ પ્રોડક્ટ લાયેબિલિટી અને પ્રોડક્ટ લાયેબિલિટી એક્શનના મુદાઓ નક્કી કરી અને દાદ મંજૂર કરવા આ રજૂઆત કરાઈ છે.
આ ફરિયાદ ને લગતુ તમામ સાધનિક રેકર્ડ કે જે રાજકોટ કલેકટર કચેરી, પોલીસ કમિશનર કચેરી અને મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તક હોય અને તે તમામ દસ્તાવેજી પુરાવાઓ આયોગ સમક્ષ રેકર્ડ ઉપર લઈ આવી શકાય તે હેતુથી રાજકોટ ના કલેકટર, પોલીસ કમિશનર તથા મ્યુનિસિપલ કમિશનરને પણ પક્ષકાર તરીકે જોડવામા આવ્યા છે.
એડવોકેટ ગજેન્દ્ર જાનીએ વોઈસ ઓફ ડેને કહ્યું હતું કે, દુર્ઘટનાના કોઈપણ મૃતકના પરિવારજનો ગ્રાહક સુરક્ષા અંતર્ગત ફરિયાદ કરવા ઈચ્છશે તો તેઓ પાસેથી પણ કોઈ ફી લેવામા આવશે નહી. મોબાઈલ નંબર 7016663799, 9909785651 ઉપર એડવોકેટ ગજેન્દ્રભાઈ જાનીનો સંપર્ક થઈ શકશે.