રાજકોટ અગ્નિકાંડ: યુવરાજસિંહ સહિત ચારના રિમાન્ડ આજે પૂરા
પોલીસ વધુ રિમાન્ડ નહીં માંગે એટલે ચારેય થશે જેલહવાલે: સાગઠિયા સહિતના રિમાન્ડ મંગળવારે પૂરા થશે
રાજકોટના ટીઆરપી ગેઈમ ઝોન અગ્નિકાંડના પડઘા હજુ સુધી શમ્યા નથી. લોકો આ કાંડને ક્યારેય ભૂલી શકશે નહીં કેમ કે સંચાલકો અને તંત્રના ભ્રષ્ટ અધિકારીઓની લાપરવાહીને કારણે ૨૭ લોકોએ જીવ ગુમાવવા પડ્યા છે. દરમિયાન આ કાંડના મુખ્ય જવાબદાર એવા ગેઈમ ઝોનના સંચાલક યુવરાજસિંહ સહિત ચારેય આરોપીના રિમાન્ડ આજે પૂરા થઈ રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
પોલીસે ગેઈમ ઝોન સંચાલક યુવરાજસિંહ સોલંકી ઉપરાંત મેનેજર નીતિન જૈન તેમજ રાહુલ રાઠોડને ૧૪ દિવસના રિમાન્ડ ઉપર લીધા બાદ ધવલ ઠક્કરની આબુથી ધરપકડ થયા બાદ તેને પણ રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કરાતાં કોર્ટે તેના ૧૩ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા.
આ તમામ પાસેથી સઘળી વિગત ઓકાવ્યા બાદ પોલીસે મહાપાલિકાના તત્કાલિન ટીપીઓ એમ.ડી.સાગઠિયા, તત્કાલિન એટીપીઓ ગૌતમ જોષી, તત્કાલિન એટીપીઓ મુકેશ મકવાણા અને તત્કાલિન ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરાની ધરપકડ કરી તેમને પણ રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કર્યા હતા. આ તમામના રિમાન્ડ આવતીકાલે એટલે કે મંગળવારે પૂરા થઈ રહ્યા છે.
દરમિયાન પોલીસ સૂત્રોએ જણાવ્યું કે યુવરાજસિંહ સહિતના ચારેય આરોપીના આજે રિમાન્ડ પૂરા થઈ રહ્યા હોય વધારાના રિમાન્ડ માંગવામાં આવશે નહીં એટલા માટે ચારેયને આજે જેલ હવાલે કરી દેવાશે. આ પછી પોલીસ દ્વારા અગ્નિકાંડની આગળની તપાસ યથાવત રહેશે અને તેમાં ઝીણામાં ઝીણા પૂરાવા એકઠા કરી મજબૂત ચાર્જશીટ તૈયાર કરવામાં આવશે.
સાગઠિયાએ કર્યું ગાંડપણ’ને ફસાયા
તત્કાલિન ટીપીઓ સાગઠિયા સામે નકલી મિનિટ બુક બનાવવાનો વધુ એક ગુનો નોંધાયો છે ત્યારે આ અંગે એવું જાણવા મળ્યું છે કે નકલી બુક બનાવવાથી સાગઠિયાને કશો જ ફાયદો થવાનો ન્હોતો આમ છતાં તેણે ગાંડપણ કર્યું હતું. નકલી મિનિટસ બુક બનાવવાથી સાગઠિયાએ પોતે સુપરવિઝન કર્યું છે એવું દર્શાવી શકાય એટલા માટે જ તેણે આ હરકત કરી હતી અને હવે તેના સામે વધુ એક ગુનો નોંધાઈ ગયો છે.
