ભાગવતની અમેરિકાની મુલાકાત દરમિયાન પ્રતિબંધો લાદવા માંગ
USCIRF સહિતના સંગઠનો મેદાને પડ્યા
નવી દિલ્હી: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના સરસંઘચાલક મોહન ભાગવતની આગામી અમેરિકાની મુલાકાત પહેલાં અમેરિકાની ધાર્મિક સ્વતંત્રતા અંગેની સંસ્થા USCIRF તથા કેટલાક અન્ય સંગઠનોએ ફરી ભારત વિરોધી અભિયાન તેજ કર્યું છે. USCIRFના કેટલાક અધિકારીઓએ અમેરિકી સરકારને આરએસએસ સામે પ્રતિબંધાત્મક પગલાં ભરવા અને તેના નેતાઓને રાજદ્વારી સન્માન કે ઉચ્ચસ્તરીય મુલાકાતો ન આપવાની માંગ કરી છે.
મોહન ભાગવત 29 ઓગસ્ટે ન્યૂયોર્કમાં યોજાનારા ‘યુનિવર્સલ વનનેસ સેલિબ્રેશન્સ’ કાર્યક્રમમાં ભાગ લેવા અમેરિકા જવાના છે. આ કાર્યક્રમ અમેરિકન હિન્દુઝ ફોર એન્ગેજમેન્ટ એન્ડ ડાયલોગ દ્વારા આયોજિત કરવામાં આવ્યો છે. તેમની મુલાકાત પહેલાં જ USCIRFના અધ્યક્ષ આસિફ મહમૂદ અને કમિશનર જીન મિલ્સે સોશિયલ મીડિયા પર નિવેદનો આપીને આરએસએસ સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.
આસિફ મહમૂદે દાવો કર્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આરએસએસ સાથે જોડાયેલા છે અને આરએસએસના કેટલાક સંગઠનો પર ધાર્મિક લઘુમતીઓ સામે હુમલાના આરોપો લાગ્યા છે. બીજી તરફ કમિશનર જીન મિલ્સે જણાવ્યું હતું કે જો આરએસએસના કોઈ સભ્ય ધાર્મિક સ્વતંત્રતાના ઉલ્લંઘન માટે જવાબદાર જણાય તો તેમના પર પ્રતિબંધો લાદવા જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે સરકાર સાથે સંકળાયેલા આરએસએસ નેતાઓને વિશેષ રાજદ્વારી સન્માન આપવામાં ન આવે.
આ પણ વાંચો: દિલ્હીમાં પાકિસ્તાન રાજદૂત કચેરીને પણ મળી ગયો બુલડોઝરનો પરચો !
આ દરમિયાન ‘હિન્દુઝ ફોર હ્યુમન રાઇટ્સ’ નામના સંગઠને પણ ભાગવતની મુલાકાતનો વિરોધ કર્યો છે. સંગઠને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને દાવો કર્યો હતો કે મુસ્લિમો અને ખ્રિસ્તીઓ સામેની હિંસાથી આરએસએસને અલગ કરીને જોઈ શકાય નહીં.
ભાગવતની મુલાકાત પહેલાં ઉઠેલા આ વિવાદથી ભારત-અમેરિકા સંબંધોની પૃષ્ઠભૂમિમાં નવો રાજકીય અને કૂટનીતિક વિવાદ ઉભો થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.
વાર્ષિક અહેવાલમાં પણ ઝેર ઓક્યું હતું…
માર્ચ મહિનામાં જાહેર કરાયેલા પોતાના વાર્ષિક અહેવાલમાં USCIRFએ ભારતમાં ધાર્મિક સ્વતંત્રતા અંગે ગંભીર આક્ષેપો કર્યા હતા અને આરએસએસ તથા રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW) જેવી સંસ્થાઓ સામે ‘ટાર્ગેટેડ સેન્ક્શન’ લાદવાની ભલામણ કરી હતી. અહેવાલમાં ધાર્મિક લઘુમતીઓના અધિકારો અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. જોકે ભારત સરકારે આ અહેવાલને સંપૂર્ણપણે ફગાવી દીધો હતો અને USCIRF પર પસંદગીયુક્ત ટીકા તથા ભારત વિરોધી વલણ અપનાવવાનો આરોપ મૂક્યો હતો. ભારતે કહ્યું હતું કે અમેરિકામાં હિન્દુ મંદિરો પર થતા હુમલા અને ભારતીય મૂળના લોકો સામે વધી રહેલી ધમકીઓ જેવા મુદ્દાઓ પર USCIRF મૌન રહે છે, જ્યારે ભારત અંગે સતત નકારાત્મક વાતાવરણ ઊભું કરવાનો પ્રયાસ કરે છે.
