દેશના લાખો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકો લાંબા સમયથી જેની રાહ જોઈ રહ્યા હતા તે આઠમા કેન્દ્રીય પગાર પંચની કવાયત હવે વેગવંતી બની ગઈ છે. દિલ્હી ખાતે મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકે સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સમાં નવી આશા જગાવી છે. મોંઘવારીના આજના યુગમાં કર્મચારીઓની આર્થિક સુરક્ષા અને જીવન ધોરણ ઊંચું લાવવા માટે વિવિધ સંગઠનો દ્વારા રજૂ કરાયેલા પ્રસ્તાવો જો સ્વીકારવામાં આવે, તો તે આઝાદી પછીનો સૌથી મોટો પગાર વધારો સાબિત થઈ શકે છે.
ન્યૂનતમ પગાર અને ફિટમેન્ટ ફેક્ટર અંગેના પ્રસ્તાવો
દિલ્હીમાં જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં મળેલી આઠમા પગાર પંચની બેઠકમાં નેશનલ કાઉન્સિલ-જેસીએમ (NC-JCM) સહિત અનેક કર્મચારી સંગઠનોએ મહત્ત્વપૂર્ણ માંગણીઓ મૂકી છે:
ફિટમેન્ટ ફેક્ટર: કર્મચારીઓ માટે ૩.૮૩ ના ફિટમેન્ટ ફેક્ટરનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે.
બેઝિક સેલેરીમાં વધારો: હાલના સાતમા પગાર પંચ હેઠળનો ૧૮,૦૦૦ રૂપિયાનો ન્યૂનતમ બેઝિક પગાર સીધો વધારીને ૬૯,૦૦૦ રૂપિયા કરવાની માંગ કરાઈ છે.
મહત્તમ પગાર: કેન્દ્રીય કર્મચારીઓ માટે મહત્તમ પગાર મર્યાદા ૨,૧૫,૦٠૦ રૂપિયા રાખવાનું સૂચન કરાયું છે.
વાર્ષિક ઇન્ક્રીમેન્ટ: અત્યાર સુધી મળતા ૩ ટકા વાર્ષિક ઇન્ક્રીમેન્ટને વધારીને ડબલ એટલે કે ૬ ટકા કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે.
આ પણ વાંચો: ભાગવતની અમેરિકાની મુલાકાત દરમિયાન પ્રતિબંધો લાદવા માંગ
AINPSEF દ્વારા રજૂ કરાયેલા ૩ મુખ્ય મુદ્દાઓ
ઓલ ઈન્ડિયા એનપીએસ એમ્પ્લોઈઝ ફેડરેશન (AINPSEF) ના નેશનલ પ્રેસિડેન્ટ ડૉ. મંજિત સિંહ પટેલે અન્ય માંગણીઓ સાથે નીચે મુજબના ૩ મુખ્ય મુદ્દાઓ પર વિશેષ ભાર મૂક્યો છે:
જૂની પેન્શન યોજના (OPS): વર્ષ ૨૦૦૩ પછી સેવામાં આવેલા તમામ NPS કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવામાં આવે તેમજ જીપીએફ (GPF) ની સુવિધા પુનઃ શરૂ કરવામાં આવે.
કેન્દ્રશાસિત પ્રદેશો (UTs) માટે સમાન નિયમો: કેન્દ્ર સરકારના તમામ આદેશો અને નોટિફિકેશનો સીધા કેન્દ્રશાસિત પ્રદેશો તેમજ સ્વાયત્ત સંસ્થાઓ પર લાગુ થાય, તથા કર્મચારીઓ માટે ઇન્ટર-ટ્રાન્સફર અને નિવૃત્તિ બાદ સીજીએચએસ (CGHS) ની સુવિધા મળે.
શિક્ષકોના સેવા નિયમો: સ્કૂલના શિક્ષકોની નિવૃત્તિ વય યુજીસી (UGC) અને મેડિકલ પ્રેક્ટિશનર્સની તર્જ પર વધારીને ૬૫ વર્ષ કરવામાં આવે. સાથે જ દર વર્ષે ૧૪ કેઝ્યુઅલ લીવ (CL), ૨૦ મેડિકલ લીવ અને ૩૦ અર્નિંગ લીવ (EL) આપવાની માંગ કરાઈ છે.
પેન્શનર્સ માટે વિશેષ પ્રસ્તાવો અને કલ્યાણકારી ફેરફારો
વિવિધ સંગઠનો દ્વારા નિવૃત્ત કર્મચારીઓની સામાજિક સુરક્ષાને ધ્યાનમાં રાખીને નીચે મુજબના પ્રસ્તાવો રજૂ કરાયા છે:
ફેમિલી યુનિટનો વ્યાપ: પરિવારની વ્યાખ્યામાં ‘ફેમિલી યુનિટ’ની સંખ્યા ૩ થી વધારીને ૫ કરવામાં આવે અને તેમાં માતા-પિતાનો પણ સમાવેશ થાય.
પેન્શનની ટકાવારી: નિવૃત્તિ સમયે છેલ્લે મેળવેલા પગારના (Last Drawn Pay) ૬૭% રકમ પેન્શન તરીકે મળે.
ફેમિલી પેન્શન: છેલ્લે મેળવેલા પગારના ૫૦% ફેમિલી પેન્શન નક્કી કરવામાં આવે.
પેન્શન રિવિઝન: અગાઉના ૧૦ વર્ષના બદલે હવે દર ૫ વર્ષે પેન્શનનું રિવિઝન કરવામાં આવે.
અન્ય લાભો: ન્યૂનતમ એચઆરએ (HRA) વધારીને ૩૦% કરવા તથા લીવ એનકેશમેન્ટની સીમા સંપૂર્ણપણે હટાવી દેવાની માંગ કરાઈ છે.
આઠમા પગાર પંચની આ પ્રારંભિક બેઠક અને તેમાં રજૂ થયેલા પ્રસ્તાવો સ્પષ્ટ કરે છે કે આગામી સમયમાં કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકોની નાણાકીય સ્થિતિમાં મોટો બદલાવ આવી શકે છે. જો સરકાર આ ભલામણોનો સ્વીકાર કરશે, તો તે લાખો કર્મચારીઓના જીવનધોરણને ઊંચું લાવવાની સાથે દેશના આર્થિક પરિદ્રશ્ય પર પણ સકારાત્મક પ્રભાવ પાડશે.
