દિલ્હીમાં પાકિસ્તાન રાજદૂત કચેરીને પણ મળી ગયો બુલડોઝરનો પરચો !
ઇસ્લામાબાદમાં ભારતીય કચેરીને ‘છંછેડવા’ની હરકતનો ત્રણ દિવસમાં જ જડબાતોડ જવાબ
ભારત અને પાકિસ્તાન વચ્ચે રાજદ્વારી સ્તરે ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે ગુરુવારે નવી દિલ્હીમાં આવેલી પાકિસ્તાન હાઇકમિશનની બહારનું ગેરકાયદે બાંધકામ અને અતિક્રમણ તોડી પાડવામાં આવ્યું હતું. સંબંધિત સરકારી એજન્સીઓએ જેસીબી મશીનની મદદથી હાઇકમિશન પરિસરની બહાર રસ્તા પર ઊભા કરાયેલા વિવિધ માળખાં, બેરિકેડ્સ અને વિઝા વિભાગ પાસે બનાવાયેલી કતાર વ્યવસ્થાપન સુવિધાઓ દૂર કરી દીધી હતી.
આ કાર્યવાહીમાં સુરક્ષા પરિઘ તરીકે કામ કરતાં ટ્રાફિક બોલાર્ડ્સ અને બેરિકેડ્સ પણ હટાવી દેવામાં આવ્યા હતા, જેના કારણે હાઇકમિશનની બહારનો વિસ્તાર સંપૂર્ણપણે ખુલ્લો દેખાવા લાગ્યો હતો.
મહત્ત્વની બાબત એ છે કે પાકિસ્તાન દ્વારા ઇસ્લામાબાદ સ્થિત ભારતીય હાઇકમિશનની બહાર લગાવવામાં આવેલા સુરક્ષા બેરિકેડ્સ દૂર કરાયાના માત્ર ત્રણ દિવસ બાદ જ ભારતે આ કાર્યવાહી કરી છે. તેથી આ ઘટનાને પાકિસ્તાનની હરકતનો વળતો જવાબ માનવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો: છરીના 27 ઘા – તેલંગાણામાં 16 વર્ષના વિદ્યાર્થીએ કરી આચાર્યાની ઘાતકી હત્યા
કાર્યવાહી બાદના દૃશ્યોમાં પાકિસ્તાન હાઇકમિશનની બહાર તૂટેલા લોખંડના ગેટ, વાંકાચૂકા થયેલા મેટલ ફ્રેમ, કોન્ક્રિટના કાટમાળ અને અન્ય બાંધકામ સામગ્રી વિખરાયેલી જોવા મળી હતી. કેટલાક ભાગોમાં લગાવવામાં આવેલી સફેદ મેટલ ફેન્સિંગ અને ટીનના શેડ પણ સંપૂર્ણપણે દૂર કરી દેવામાં આવ્યા હતા.હાઇકમિશનના સેવા કાઉન્ટરો નજીકની દીવાલો અને પ્લાસ્ટરનો અમુક ભાગ પણ નુકસાનગ્રસ્ત દેખાતો હતો. જોકે ભારત સરકાર તરફથી આ કાર્યવાહી અંગે કોઈ સત્તાવાર રાજકીય નિવેદન આપવામાં આવ્યું નથી.
કાશ્મીર મુદ્દે નાપાક અકળામણ…
જમ્મુ-કાશ્મીર મુદ્દે પાકિસ્તાનની અકળામણ પણ આ ઘટનાની પૃષ્ઠભૂમિમાં ચર્ચાનો વિષય બની છે. અમેરિકાના ભારત સ્થિત રાજદૂત સર્જિયો ગોરએ તાજેતરમાં શ્રીનગરની મુલાકાત દરમિયાન ગોરે જમ્મુ-કાશ્મીરને ભારતનો અભિન્ન અને મહત્ત્વપૂર્ણ ભાગ ગણાવ્યો હતો તેમજ ખીણમાં સુધરેલી સુરક્ષા સ્થિતિની પ્રશંસા કરી હતી.બાદમાં બુધવારે પાકિસ્તાને અમેરિકી રાજદૂતાવાસના કાર્યકારી વડા નેટાલી બેકરને ઇસ્લામાબાદમાં બોલાવી વિરોધ નોંધાવ્યો હતો. જોકે પાકિસ્તાન હાઇકમિશન બહારની કાર્યવાહી અને કાશ્મીર મુદ્દે પાકિસ્તાનની પ્રતિક્રિયા વચ્ચે સીધો સંબંધ હોવાની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
