હત્યાના પ્રયાસની ફરિયાદ પાછી ખેંચવાના મનદુ:ખમાં થઈ હત્યા
સહકારનગર રોડ ઉપર શનિવારે ખેલાયેલા ખૂની ખેલમાં ઘાયલ યુવકે સારવાર દરમિયાન દમ તોડ્યો
આરોપીના ભાઈએ મૃતક અને તેના પિતાની હત્યાનો પ્રયાસ કર્યો હોય તે કેસમાં સમાધાન કરવા બે વર્ષથી માથાકૂટ ચાલતી’તી
રાજકોટના જલારામ ચોકથી ભક્તિનગર સર્કલ તરફ જતા રસ્તા પર ધર્મજીવન એપાર્ટમેન્ટની નીચે પીજીવીસીએલના ટ્રાન્સફોર્મર સામે જ યુવકને છરીના છથી સાત ઘા ઝીકી દેવાતા ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલે ખસેડાયેલા યુવકે સારવાર દરમિયાન દમ તોડી દેતાં બનાવ હત્યામાં પલટાયો હતો. આ હત્યા પાછળ હત્યાના પ્રયાસની ફરિયાદ પાછી ખેંચવા મુદ્દે ચાલી રહેલુ મનદુ:ખ કારણભૂત હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. બીજી બાજુ હત્યાને અંજામ આપનાર આરોપીની ભક્તિનગર પોલીસે ધરપકડ કરી રિમાન્ડ પર લેવા તજવીજ આદરી છે.
આ અંગે સહકાર મેઈન રોડ પર રઘુવીર સોસાયટીમાં રહેતા અનુપસિંહ કેશુભા વાઘેલા (ઉ.વ.૭૦)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે બે વર્ષ પહેલાં નવરાત્રિમાં નવમા નોરતે નવમના દિવસે ફરિયાદી તેમજ તેમનો પુત્ર ઘનશ્યામસિંહ તેમના ધોરાજી તાલુકાના ભાડેર ગામે હતા ત્યારે ગામના જ ઘનશ્યામસિંહ મહેન્દ્રસિંહ વાઘેલા સાથે માથાકૂટ થઈ હોય ઘનશ્યામસિંહે અનુપસિંહ વાઘેલા અને તેમના પુત્ર ઘનશ્યામસિંહને છરીના ઘા ઝીકી દેતા ગત ૧૨-૧૦-૨૦૨૪ના તેમને રાજકોટની ખાનગી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. આ પછી ઘનશ્યામસિંહ સામે હત્યાના પ્રયાસની કલમાો હેઠળ પાટણવાવ પોલીસ મથકમાં ગુનો દાખલ થયો હતો. આ કેસ ધોરાજી સેશન્સ કોર્ટમાં ચાલવા ઉપર હોય કોર્ટે અનુપસિંહ તેમજ અન્ય વ્યક્તિઓના સમન્સ કાઢ્યા હતા.
આ પણ વાંચો: AI ની જાસૂસી અને ‘સર્વેલન્સ પ્રાઈસિંગ’ નો ભયજનક ખેલ
આ કેસ ધોરાજી કોર્ટમાં ચાલવા ઉપર હોવાથી ઘનશ્યામસિંહ મહેન્દ્રસિંહ વાઘેલા સાથે ફરિયાદીએ સમાધાન કર્યું ન હોય ઘનશ્યામસિંહ વાઘેલાનો ભાઈ ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને પિતા મહેન્દ્રસિંહ વાઘેલા સહિતના ઝઘડો કરવા માટે ભાડેર ગામ આવ્યા હતા.
દરમિયાન શનિવારે બપોરે ચારેક વાગ્યે અનુપસિંહ સહકાર રોડ ઉપર આવેલા અવધ મેડિકલ ગયા ત્યારે મેડિકલ સંચાલકે તેમને અને ઘનશ્યામસિંહને શોધવા માટે કોઈ આવ્યાનું કહેતા સીસીટીવી ચેક કર્યા હતા જેમાં ધર્મેન્દ્રસિંહ વાઘેલા કે જે રાજકોટના જામનગર રોડ પર કૃષ્ણનગરમાં રહે છે તેમજ તેની સાથે અંદાજે ૩૦ વર્ષની વ્યક્તિ સ્કૂટર પર આવ્યાનું દેખાઈ રહ્યું હતું.
આ પછી સાંજે છ વાગ્યે ફરિયાદીના પુત્ર ઘનશ્યામસિંહના મિત્ર પ્રહલાદસિંહ જાડેજાનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે જલારામ ચોકમાં ઘનશ્યામસિંહને ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ છરીના ઘા માર્યા હોય તમે તાત્કાલિક મંગળા મેઈન રોડ પર આવેલી ખાનગી હોસ્પિટલે પહોંચો. હોસ્પિટલે ગયા બાદ ઘનશ્યામસિંહને પૂછતાં તેણે કહ્યું હતું કે તેઓ પ્રહલાદસિંહની કારમાં બેઠા હતા ત્યારે એક વ્યક્તિ ધસી આવી હતી અને કારનો કાચ ખખડાવી બહાર આવવાનું કહ્યું હતું. ઘનશ્યામસિંહ જેવા કારમાંથી નીચે ઉતર્યા કે ધર્મેન્દ્રસિંહ તેના ઉપર છરીથી તૂટી પડ્યો હતો અને છાતી, હાથ, વાંસા, ખભા સહિતના અંગો ઉપર સાતેક ઘા મારી દઈ નાસી ગયો હતો.
ઘનશ્યામસિંહની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી પરંતુ તે કારગત ન નિવડતા તેમનું મોત નિપજ્યું હતું. મૃતક ઘનશ્યામસિંહ પિતા સાથે ઓઈલ એન્જિનને લગતું કામ કરતા હોવાનું જાણવા મળ્યું હતું.
