અનિલ મેનનની ઉડાન અને ‘ગગનયાન’ ની તૈયારી વચ્ચે આકાર લેતું ભારતનું નવું સ્પેસ-વિઝન!
માનવજાતનું અંતિમ સપનું તો અવકાશ જ રહેવાનું. કારણ કે આપણા વડવાઓ પણ આકાશ સામે તાકીને તારાઓ અને ચંદ્ર જોતા અને ત્યાં જવાની ચાહના ધરાવતા. જ્યારે પણ કોઈ અવકાશયાન પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ તોડીને અંતરિક્ષ તરફ કૂદકો લગાવે છે, ત્યારે માત્ર એક મશીન ઉડે છે એવું નથી હોતું, પણ તે માનવજાતની અદમ્ય ઈચ્છાશક્તિનો વિજય હોય છે. આપણે ભારતીયો માટે આ રોમાંચ હંમેશા થોડો વધારે અંગત રહ્યો છે. રાકેશ શર્માની એ ઐતિહાસિક સ્પેસ જર્ની હોય, કલ્પના ચાવલાનું તારાઓમાં વિલીન થઇ જવાની દુર્ઘટના હોય કે પછી સુનિતા વિલિયમ્સની સિદ્ધિઓ હોય—ભારતીય મૂળના લોકોએ હંમેશા અનંત આકાશમાં પોતાનો ડંકો વગાડ્યો છે. હવે આ જ અવકાશી પંગતમાં એક નવું અને અત્યંત તેજસ્વી નામ ઉમેરાવા જઈ રહ્યું છે, ડૉક્ટર અનિલ મેનન. કઝાકિસ્તાનના બૈકાનુરથી આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન (ISS) તરફ રવાના થઈ રહેલા અનિલ મેનનનું આ આઠ મહિનાનું મિશન માત્ર એક અવકાશયાત્રીની સફર નથી, પણ આવનારા સમયના ગ્લોબલ સ્પેસ પોલિટિક્સ અને ‘બ્રાન્ડ ઇન્ડિયા’ ના ગગનચુંબી સપનાઓનું સૌથી મોટું પ્રતીક છે.
જરા વિચાર કરો, એક એવો માણસ જે વ્યવસાયે ઇમરજન્સી મેડિકલ ડોક્ટર છે, જેણે સ્પેસએક્સ જેવી કંપનીમાં પ્રથમ ફ્લાઇટ સર્જન તરીકે કામ કરીને અવકાશયાત્રીઓને દરિયામાંથી સહીસલામત બહાર કાઢ્યા છે અને જેના પિતા ભારતીય અને માતા યુક્રેનિયન-અમેરિકન મૂળના છે. અનિલ મેનનનો આ બાયોડેટા જ દર્શાવે છે કે ભવિષ્યના અવકાશ મિશનો હવે માત્ર એન્જિનિયરો કે ફાઈટર પાયલોટ્સનો ઈજારો નથી રહ્યા. લાંબા સમય સુધી અવકાશમાં રહેવાથી માનવ શરીર પર શું અસર થાય છે, શૂન્યાવકાશમાં સ્નાયુઓ કેવી રીતે નબળા પડે છે અને ડીએનએમાં કેવા ફેરફારો થાય છે, તેનું જીવંત સંશોધન હવે મેનન જેવા તબીબી નિષ્ણાતો કરશે. જ્યારે તેઓ ગુરુત્વાકર્ષણ વિના તરતા હશે, ત્યારે તેમની નસોમાં વહેતું ભારતીય લોહી આખી દુનિયાને એ મેસેજ આપી રહ્યું હશે કે ભવિષ્યની ટેકનોલોજી અને વૈજ્ઞાનિક સંશોધનોમાં ભારતીય જીનેટિક્સ અને બૌદ્ધિક ક્ષમતા હવે એક અનિવાર્ય હિસ્સો બની ગયા છે. આ કોઈ સામાન્ય સિદ્ધિ નથી, આ દેશના લાખો યુવાનોની એક આખી પેઢી માટે પ્રેરણાનું સૌથી મોટું રોકેટ ફ્યુઅલ છે. જેમ પ્રેરણાની નદીઓ હોય તો રોકેટ કેમ ન હોય?
આ પણ વાંચો: વૈષ્ણોદેવી મંદિરમાં રૂપિયા 550 કરોડની નકલી ચાંદીનું કૌભાંડ
આપણે સૌ જાણીએ છીએ કે દુનિયા હવે બદલાઈ ચૂકી છે. અવકાશ હવે માત્ર વૈજ્ઞાનિક કુતૂહલનો વિષય નથી રહ્યો, પણ તે એક નવો આર્થિક અને લશ્કરી મોરચો બની ગયો છે. એક જમાનો હતો જ્યારે અમેરિકા અને રશિયા વચ્ચે જ સ્પેસ-રેસ ચાલતી હતી. આજે એ રેસમાં ચીન બહુ મોટી છલાંગ લગાવી ચૂક્યું છે અને પોતાનું અલગ સ્પેસ સ્ટેશન બનાવીને અંતરિક્ષમાં બેઠું છે. આવા સમયે આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનમાં અમેરિકન એજન્સી એટલે મેં નાસા દ્વારા એક ભારતીય મૂળના નિષ્ણાતને આટલી મોટી જવાબદારી સોંપવી, તે વૈશ્વિક કૂટનીતિનો જ એક અદ્રશ્ય ભાગ છે. પૃથ્વી પર ભલે દેશો વચ્ચે સરહદના વિવાદો ચાલતા હોય, પણ પૃથ્વીની ભ્રમણકક્ષામાં હવે જે દેશ પોતાનું વર્ચસ્વ જમાવશે, આવનારા સો વર્ષો સુધી કોમ્યુનિકેશન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને સંરક્ષણ ક્ષેત્રે તેની જ મોનોપોલી ચાલવાની છે.
અનિલ મેનનની આ ઉડાનને આપણે ભારતના પોતાના અંતરિક્ષ સપનાઓ એટલે કે ‘ગગનયાન’ ની સાથે જોડીને જોઈ શકીએ. એક તરફ નાસાના બેનર હેઠળ એક ભારતીય મૂળનો દીકરો અવકાશમાં સંશોધનો કરવા જઈ રહ્યો છે, અને બરાબર એ જ સમયે શ્રીહરિકોટામાં ઈસરોના વૈજ્ઞાનિકો આપણા પોતાના સ્વદેશી અવકાશયાત્રીઓને અવકાશમાં મોકલવાની અંતિમ તૈયારીઓ કરી રહ્યા છે. અત્યાર સુધી આપણે વિદેશી રોકેટ અને વિદેશી સિસ્ટમ પર નિર્ભર હતા. પણ હવે ભારત પોતાનું સ્વતંત્ર ‘ભારતીય અંતરિક્ષ સ્ટેશન’ સ્થાપિત કરવાના વિઝન સાથે મેદાનમાં ઉતરી ચૂક્યું છે. અનિલ મેનન જેવા નિષ્ણાતોનો વૈશ્વિક અનુભવ અને તેમની આ સિદ્ધિઓ આડકતરી રીતે ભારતના સ્પેસ પ્રોગ્રામ માટે એક મોટો વૈચારિક સેતુ પૂરો પાડે છે, જે આપણને યાદ અપાવે છે કે સ્પેસ સાયન્સમાં આપણે કોઈનાથી પાછળ નથી.
આખરે આ બધી ઉથલપાથલ સામાન્ય માણસના જીવનને ક્યાં સ્પર્શે છે? જ્યારે પૃથ્વીની ભ્રમણકક્ષામાં કોઈ ભારતીય ચહેરો મક્કમતાથી કામ કરતો દેખાય છે, ત્યારે તેનો સીધો અને સૌથી મોટો ફાયદો ‘બ્રાન્ડ ઇન્ડિયા’ ને થાય છે. દુનિયાભરના રોકાણકારો, ટેક કંપનીઓ અને મહાસત્તાઓને હવે એ વાત ગોખાઈ ગઈ છે કે ભારત હવે માત્ર સસ્તું મજૂરકામ કરતો કે અન્ય દેશોની ટેકનોલોજીની નકલ કરતો દેશ નથી રહ્યો. આ દેશ પાસે હવે એવી બૌદ્ધિક મૂડી છે જે ગુરુત્વાકર્ષણના નિયમોને પણ માત આપી શકે છે. અનિલ મેનનનું આ મિશન ભલે આઠ મહિનાનું હોય, પણ તે ભારતની આવનારી અનેક પેઢીઓ માટે એક એવો રસ્તો ખોલી રહ્યું છે, જેની મંઝિલ તારાઓથી પણ ક્યાંય આગળ છે. આકાશમાં ગુંજતો આ નવો ભારતીય ધબકાર એ વાતની સાબિતી છે કે આપણી અસલી ઉડાનની તો હજુ માત્ર શરૂઆત થઈ છે.
