દર વર્ષે ચાર હજાર આવાસ તૈયાર કરવા કવાયત: આવાસ બનાવવા બિલ્ડર્સને ૪૫ પ્લોટ અપાશે, મહાપાલિકાને કોઈ ખર્ચ નહીં થાય
જરૂરિયાતમંદ લોકોને સસ્તા ભાવે ઘરનું ઘર મળી રહે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકારના સહયોગથી મહાપાલિકા દ્વારા એક બાદ એક આવાસ યોજના તૈયાર કરવામાં આવી રહી છે. જો કે વસતીમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો હોય બનાવેલા આવાસ પૂરા પડી રહ્યા ન હોવાથી આવનારા દિવસોમાં એક-બે નહીં પરંતુ ૧૫,૦૦૦ આવાસ બનાવવાના લક્ષ્યાંક સાથે તંત્ર આગળ વધી રહ્યું છે. આ આવાસ બનાવવા પાછળ અંદાજે બે હજાર કરોડ રૂપિયાનો ખર્ચ પણ થશે.
મહાપાલિકા દ્વારા આગામી પાંચ વર્ષની અંદર રાજકોટમાં ૩૦,૦૦૦ આવાસ બનાવવાની બ્લુપ્રિન્ટ તૈયાર કરી મંજૂરી અર્થે કેન્દ્ર અને રાજ્ય સરકારને મોકલવામાં આવી હતી. જેમાંથી ૫૦% એટલે કે ૧૫,૦૦૦ આવાસ બનાવવાની મંજૂરી મળી ગયાનું જાણવા મળ્યું હતું. ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા અંગત રસ લઈને ૧૫,૦૦૦ આવાસ બનાવવા લીલીઝંડી આપી દેવામાં આવતા તંત્રએ પણ પૂરપાટ ઝડપે પ્રોજેક્ટની ડિઝાઈન તૈયાર કરવા સહિતની પ્રક્રિયા આગળ ધપાવી છે.
મહાપાલિકા પાસે પોતાની માલિકીના અંદાજે ૧૪,૦૦૦ કરોડ રૂપિયાની કિંમતના પ્લોટ ઉપલબ્ધ છે. આ પૈકી અમુક પ્લોટ ઉપર દબાણો હોય તેને દૂર કરવા જરૂરી છે. જો કે આવાસ યોજના તૈયાર કરવા માટે પ્લોટ ખાલી હોવો જરૂરી હોય તેની ઓળખ કર્યા બાદ જ મંજૂરી અર્થે મોકલવાના હોવાથી તંત્ર દ્વારા આવાસ યોજના માટે ૪૫ પ્લોટને ચિન્હીત કરી લેવામાં આવ્યા છે. આ પ્લોટ ખાલી પડ્યા હોવાથી ત્યાં આવાસ યોજના બની શકે તેમ હોય તંત્ર દ્વારા પ્લોટનું ક્ષેત્રફળ, આસપાસના વિસ્તાર સહિતની માહિતી સાથે મંજૂરી અર્થે સરકારને મોકલવામાં આવ્યા હતા જેની મંજૂરી મળી જવા પામી છે.
આ પણ વાંચો: પેલેટ ગનના ઉપયોગ અંગે RTI હેઠળ માહિતી આપવાનો CRPFનો ઇનકાર
બીજી બાજુ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા દ્વારા ૨૦૨૬-૨૭ના બજેટમાં પણ જાહેરાત કરવામાં આવી હતી કે મહાપાલિકા દ્વારા આવાસ યોજના નિર્માણના ખર્ચને પહોંચી વળવા માટે બીઓટી (બિલ્ડ ઓપરેટ ટ્રાન્સફર) ધોરણે ટેન્ડર પ્રક્રિયા કરાશે. ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી મંજૂર થયેલ આવાસ યોજના માટે બાંધકામની સામે મહાપાલિકા હસ્તના રેસિડેન્સીયલ ફોર સેલ અને કોમર્શિયલ ફોર સેલના પ્લોટ બિલ્ડરને આપશે. આ પછી જે બિલ્ડર દ્વારા સૌથી વધુ બોલી લગાવાશે તેને પ્લોટ આપવામાં આવશે અને તેના ઉપર બિલ્ડરે આવાસ યોજના તૈયાર કરવાની રહેશે. આમ થવાથી મહાપાલિકા ઉપર આવાસ યોજના નિર્માણનું કોઈ જ આર્થિક ભારણ રહેશે નહીં.
૩૧૭૦ આવાસનું ટેન્ડર મંજૂરીની પ્રક્રિયા હેઠળ…
૨૦૨૬-૨૭ના બજેટમાં મ્યુનિસિપલ કમિશનર દ્વારા ૪૬૪ કરોડના ખર્ચે અલગ-અલગ સાત આવાસ યોજના બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. આ આવાસ માટે ટેન્ડર પ્રસિદ્ધ કરાયા બાદ તેમાં એજન્સીએ રસ પણ દાખવ્યો હોય હાલ આ પ્રક્રિયા ટેન્ડર મુલ્યાંકન સમિતિ સમક્ષ કાર્યરત હોવાનું જાણવા મળ્યું છે. ટેન્ડર મંજૂર થયા બાદ જે તે એજન્સીને કામ આપવાની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મંજૂરી અર્થે રવાના કરવામાં આવશે. મંજૂરી મળી ગયા બાદ કામ શરૂ કરી દેવામાં આવશે.
જથ્થાબંધ આવાસની જાહેરાત વચ્ચે એક જ વ્યક્તિને બબ્બે આવાસ આપવાનો ખેલ !
મહાપાલિકા દ્વારા આવનારા સમયમાં ૧૫,૦૦૦ આવાસ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે જે આવકારદાયક બાબત છે પરંતુ બીજી બાજુ એક જ વ્યક્તિને બબ્બે આવાસ ફાળવી દેવાયાનો ખેલ પણ પકડાયો છે. વિવાદોનું કેન્દ્ર બની ગયેલા આવાસ વિભાગમાં અગાઉના સમયમાં કોર્પોરેટર સહિતના પદાધિકારીઓ દ્વારા ભલામણ કરવામાં આવી હોય ૧૧ લોકોને બબ્બે આવાસ ફાળવી દેવામાં આવ્યા છે. એક જ વ્યક્તિને બબ્બે આવાસ આપવામાં આવ્યા હોય તેમાં જયેશ વસંતરાય નાગવદરિયા, કમલજીતસિંહ ભૂપતસંહ ઝાલા, મનિષાબેન વિનોદભાઈ જોટંગીયા, બીના ભીખુભાઈ જેઠવા, ગગજી જાગાભાઈ મીઠાપરા, પ્રતાપસિંહ જોરુભા ગોહિલ, હાર્દિક અશોકભાઈ જોષી, અલ્કાબેન ભાવેશભાઈ કોટક, ભાવનાબેન ભરતભાઈ ઉપાધ્યાય, વાલીબેન પ્રવિણભાઈ મકવાણા અને રચના હિરેનભાઈ શેઠનો સમાવેશ થાય છે. હવે આ તમામને આવાસ ખાલી કરવા માટેની નોટિસ મહાપાલિકા દ્વારા ફટકારવામાં આવશે.
