વરસાદ-પૂર વચ્ચે સરકાર એલર્ટ: મુખ્યપ્રધાન કાલે પહોંચશે સુરત-વલસાડ, નુકસાન અને રાહત કામોનું રૂબરૂ મૂલ્યાંકન
દક્ષિણ ગુજરાતમાં ચોમાસાના પ્રારંભે જ ભારે વરસાદે તબાહી મચાવી છે. સુરત અને વલસાડ જિલ્લામાં રોડ-રસ્તા ધોવાયા છે અને પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. આ ગંભીર સંજોગો વચ્ચે રાજ્ય સરકાર સક્રિય બની છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે ગુરુવારે પૂરગ્રસ્ત વિસ્તારોની રૂબરૂ મુલાકાત લેશે. તે દરમિયાન તેઓ રાહત-બચાવ કામગીરી, પાણીના સ્તર અને તંત્રની તૈયારીઓની વિગતવાર સમીક્ષા કરશે.
CM કાલે સુરત અને વલસાડના પ્રવાસે, સ્થળ પર કરીને સ્થિતિનો તાગ લેશે
રાજ્યમાં ચોમાસાની શરૂઆત સાથે જ દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડ્યો છે. જેના કારણે સુરત અને વલસાડના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે બંને જિલ્લાની મુલાકાતે જવાના છે.
તેમનો મુખ્ય ઉદ્દેશ અસરગ્રસ્ત ગામો અને શહેરી વિસ્તારોની સ્થિતિનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરવાનો અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા હાથ ધરાયેલી કામગીરીનું મૂલ્યાંકન કરવાનો છે.
રાહત કામો અને મોનીટરીંગની કરશે સમીક્ષા, મંત્રીઓને પણ આદેશ
મુલાકાત દરમિયાન CM ભૂપેન્દ્ર પટેલ કંટ્રોલ રૂમ અને રાહત શિબિરોની પણ મુલાકાત લઈ શકે છે. તેઓ છેલ્લા 24 કલાકમાં થયેલા વરસાદ, નદીઓની સપાટી અને સરકાર દ્વારા કરવામાં આવી રહેલા મોનીટરીંગની સંપૂર્ણ માહિતી લેશે.
આ સાથે તેમણે રાજ્યના તમામ વરસાદગ્રસ્ત જિલ્લાઓના પ્રભારી અને સ્થાનિક મંત્રીઓને પણ તાત્કાલિક તેમના વિસ્તારમાં પહોંચીને પાણી ભરાવાના સ્થળોની મુલાકાત લેવા અને તાત્કાલિક પગલાં લેવા સૂચના આપી છે. કોઈપણ નાગરિકને તાત્કાલિક મદ મળે તે સુનિશ્ચિત કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે.
કેન્દ્ર પણ સતર્ક, નુકસાની બાદ જ સહાયની જાહેરાત
ઉલ્લેખનીય છે કે ગુજરાતની વરસાદી પરિસ્થિતિ અંગે કેન્દ્રીય ગૃહમંત્રીએ પણ મુખ્યપ્રધાન સાથે ટેલિફોન પર ચર્ચા કરીને સ્થિતિની જાણકારી મેળવી હતી. જેનાથી સ્પષ્ટ છે કે કેન્દ્ર સરકાર પણ આ મુદ્દે સત નજર રાખી રહી છે.
સહાયની જાહેરાત અંગે પૂછતા અધિકારીઓનું કહેવું છે કે હાલ વરસાદ ચાલુ હોવાથી તરત કોઈ જાહેરાત કરવી મુશ્કેલ છે. પહેલા નુકસાનીનું ચોક્કસ મૂલ્યાંકન કરવામાં આવશે. CM સ્થાનિક ધારાસભ્યો, મંત્રીઓ અને જિલ્લા વહીવટી તંત્ર સાથે બેઠક કરીને આગામી રણનીતિ નક્કી કરશે.
“ક્યાંય બેદરકારી ન ચાલે” – CMની સ્પષ્ટ સૂચના
મુખ્યપ્રધાને અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી છે કે વરસાદ દરમિયાન કોઈપણ પ્રકારની જાનહાનિ કે અકસ્માત ન થવો જોઈએ. તંત્ર દ્વારા સમયસર રેસ્ક્યુ, રાહત સામગ્રીની વહેંચણી અને પાણીના નિકાલની કામગીરી થવી જોઈએ.
આ મુલાકાત બાદ તંત્રની કામગીરી કેટલી અસરકારક રહી અને ભવિષ્યમાં વધુ વરસાદની સ્થિતિમાં કેવા પગલાં લેવાના છે તેની રૂપરેખા પણ તૈયાર કરવામાં આવશે. ટૂંકમાં, CMની આ મુલાકાત દક્ષિણ ગુજરાતના લોકો માટે સરકારના સહકારનું સૌથી મોટું આશ્વાસન બનશે.
