24 કલાકમાં 15 ઈંચ વરસાદથી નવસારી બેટમાં ફેરવાયું, અંબિકા-પૂર્ણા બે કાંઠે, લોકોનું રાત રેસ્ક્યુ
દક્ષિણ ગુજરાતમાં ચોમાસાએ પહેલા જ વરસાદે વિનાશ સર્જી દીધો છે. નવસારી જિલ્લામાં 24 કલાકમાં 15 ઈંચથી વધુ વરસાદ ખાબકતા પૂર્ણા અને અંબિકા નદી બે કાંઠે વહેવા લાગી છે. શહેરના કાશીવાડી સહિત નીચાણવાળા 500થી વધુ ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. લોકો આખી રાત પાણીમાં જાગતા રહ્યા. બીજી તરફ અંબિકા નદીનું જોખમી સ્તરને કારણે ગણદેવીના ગામો એલર્ટ પર છે. તંત્ર દ્વારા રેસ્ક્યુ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.
નવસારીમાં જળબંબાકાર, 500 ઘરોમાં પાણી ઘૂસ્યા
છેલ્લા 24 કલાકમાં નવસારી શહેર અને આસપાસના વિસ્તારોમાં 15.28 ઈંચ વરસાદ નોંધાયો છે. સત વરસાદના કારણે પૂર્ણા નદી ગઈકાલે 27 ફૂટની ભયજનક સપાટીએ પહોંચી ગઈ હતી. હાલ તે 25 ફૂટ પર સ્થિર છે, પરંતુ ખતરો હજુ ટળ્યો નથી.
નદીના પાણી શહેરના કાશીવાડી વિસ્તારમાં ઘૂસી જતા અંદાજે 500 ઘરો પાણીમાં ગરકાવ થઈ ગયા. લોકોની ઘરવખરી, અનાજ અને કીમતી સામાન પાણીમાં તણાઈ ગયો. અનેક પરિવારોએ આખી રાત છત પર કે સલામત જગ્યાએ વિતાવી. મહાનગરપાલિકા દ્વારા અસરગ્રસ્તો માટે તાત્કાલિક ભોજન અને આશ્રયની વ્યવસ્થા કરવામાં આવી છે.
જલાલપોર તાલુકામાં પણ 11.20 ઈંચ વરસાદ પડતા શહેર, સોસાયટીઓ અને બજારોમાં પાણી ભરાઈ જતા જનજીવન સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયું છે.
અંબિકા નદી ખતરનાક સ્તરે, ગામોને એલર્ટ
ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે બીલીમોરાથી પસાર થતી અંબિકા નદી પણ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી ચૂકી છે. નદીનું જળસ્તર 23 થી 25 ફૂટ સુધી પહોંચી ગયું છે અને તે બંને કાંઠે વહી રહી છે.
પ્રશાસને નદી કાંઠાના તમામ ગામોને એલર્ટ પર મૂકી દીધા છે. ગણદેવી તાલુકાના દેવધા ગામમાં નદીનું પાણી ઘરો અને મંદિર પરિસરમાં પ્રવેશ્યું છે. લોકોને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસી જવા સૂચના આપવામાં આવી છે. ડેમ અને નદી કાંઠાથી દૂર રહેવા માટે પણ જાહેર અપીલ કરવામાં આવી છે.
પૂરમાં ફસાયેલી કારમાંથી દિલધડક રેસ્ક્યુ
નવસારીથી ખારેલ તરફ જઈ રહેલી એક એર્ટિગા કાર અચાનક પૂર્ણા નદીના ધસમસતા પ્રવાહમાં ફસાઈ ગઈ હતી. પાણીનો વેગ એટલો હતો કે કાર તણાવા લાગી. ઘટનાની જાણ થતા જ ગણદેવી ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ. ફાયર ફાઇટરોએ જીવના જોખમે કામગીરી કરીને કારમાં ફસાયેલા ચાલકને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો. આ રેસ્ક્યુનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
સુરતમાં સ્થિતિ ગંભીર, 2 દિવસમાં 9ના મોત
નવસારીની જેમ સુરત જિલ્લામાં પણ ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ છે. છેલ્લા બે દિવસમાં વરસાદ સંબંધિત અલગ-અલગ અકસ્માતોમાં 9 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. હજારો લોકોને નીચાણવાળા વિસ્તારોમાંથી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
તંત્રની કામગીરી અને અપીલ
નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા NDRF અને સ્થાનિક ફાયરની ટીમોને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. લોકોને બિનજરૂરી ઘરની બહાર નીકળવા અને નદી-ડેમના વિસ્તારમાં ન જવાની સૂચના આપવામાં આવી છે.
હાલ વરસાદનું જોર યથાવત રહે તો આગામી 24 કલાક સ્થિતિ વધુ વણસી શકે છે. તંત્ર અને નાગરિકો બંને એલર્ટ મોડમાં છે.
