પાકિસ્તાનનું અફઘાન સરહદ પર મોટું લશ્કરી ઓપરેશન : 29 આતંકી ઠાર
કરાચીમાં રેન્જર્સ મુખ્યાલય પર થયેલા હુમલા બાદ પાકિસ્તાનના જમીની અને હવાઈ હુમલા: ભારે તણાવ
કરાચીમાં રેન્જર્સના મુખ્યાલય પર થયેલા આતંકી હુમલાના બીજા જ દિવસે પાકિસ્તાની સુરક્ષા દળોએ અફઘાનિસ્તાનની સરહદે વ્યાપક જમીની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારબાદ સરહદ પાર આવેલા આતંકી ઠેકાણાઓ પર ‘કેલિબ્રેટેડ’ હવાઈ હુમલા કરતાં કુલ 29 આતંકવાદી માર્યા ગયા હોવાનો પાકિસ્તાન સરકારે દાવો કર્યો છે. આ કાર્યવાહીથી પહેલેથી જ તંગ બનેલા પાક-અફઘાન સંબંધોમાં વધુ કડવાશ આવવાની આશંકા વ્યક્ત થઈ રહી છે.
પાકિસ્તાનના માહિતી પ્રધાન અત્તાઉલ્લાહ તરારે દેશભરમાં સુરક્ષા દળો પર વધતા આતંકી હુમલાઓના જવાબમાં આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. હુમલાનું મુખ્ય નિશાન તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (ટીટીપી) અને તેના સાથી સંગઠનોના સરહદી ઠેકાણાઓ હતા. જોકે અફઘાનિસ્તાન તરફથી આ અંગે તાત્કાલિક કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
આ અગાઉ શનિવારે કરાચીમાં પેરામિલિટરી રેન્જર્સના પ્રાદેશિક મુખ્યાલય પર સશસ્ત્ર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો, જેમાં ત્રણ જવાનો શહીદ થયા હતા. સુરક્ષા દળોએ ત્રણ હુમલાખોરોને ઠાર કર્યા હતા, જ્યારે એક ઘાયલ હુમલાખોરની ધરપકડ કરવામાં આવી હતી. પાકિસ્તાની સેનાના જણાવ્યા મુજબ તે અફઘાન નાગરિક છે. આ હુમલાની જવાબદારી ટીટીપીના અલગ થયેલા જૂથ જમાત-ઉલ-અહરારે સ્વીકારી હતી.
તાલિબાન સરકારનું સમર્થન હોવાનો પાકિસ્તાનનો આક્ષેપ
પાકિસ્તાન સતત આરોપ લગાવતું રહ્યું છે કે અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકાર ટીટીપીના આતંકવાદીઓને આશ્રય આપે છે, જ્યારે કાબુલ આ આરોપોને સતત નકારી રહ્યું છે. છેલ્લા કેટલાક મહિનાઓથી બંને દેશો વચ્ચે સરહદ પાર હવાઈ હુમલા અને જવાબી કાર્યવાહીનો સિલસિલો ચાલુ છે. અનેક વખત આંતરરાષ્ટ્રીય સ્તરે મધ્યસ્થીના પ્રયાસો છતાં સ્થાયી યુદ્ધવિરામ સ્થાપિત થઈ શક્યો નથી, જેના કારણે સમગ્ર સરહદી વિસ્તાર ફરી એકવાર હિંસાની આગમાં ધકેલાયો છે.
હિંસા સામે હિંસા: બન્ને દેશમાં હજારો લોકોનો ભોગ લેવાયો
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાક મહિનાથી ચાલી રહેલી સરહદી અથડામણો સતત વધુ ઉગ્ર બની રહી છે. પાકિસ્તાન દ્વારા ટીટીપીના ઠેકાણાઓને નિશાન બનાવી કરવામાં આવતા હવાઈ હુમલાઓ અને તેના જવાબમાં અફઘાનિસ્તાનની કાર્યવાહીથી બંને દેશોમાં ભારે જાનહાનિ થઈ છે. ફેબ્રુઆરીથી શરૂ થયેલી આ હિંસામાં સૈનિકો ઉપરાંત મોટી સંખ્યામાં સામાન્ય નાગરિકો પણ ભોગ બન્યા છે. અનેક વખત શાંતિ વાટાઘાટો અને આંતરરાષ્ટ્રીય મધ્યસ્થી છતાં હિંસા અટકી નથી, જેના કારણે સમગ્ર સરહદી વિસ્તાર અસુરક્ષા અને અસ્થિરતાના દોરમાંથી પસાર થઈ રહ્યો છે.
