16 દવાઓ પર સરકારનો તાત્કાલિક પ્રતિબંધ
તમારી ઘરની દવાપેટીમાં રાખેલી પેનકિલર કે એન્ટિબાયોટિક હવે જોખમી બની શકે છે! કેન્દ્ર સરકારે દર્દીની સલામતીને ધ્યાને રાખીને 16 ફિક્સ્ડ-ડોઝ કોમ્બિનેશન FDC દવાઓ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકી દીધો છે. આ દવાઓમાં એન્ટિબાયોટિક, પેટના દુખાવા અને ડાયાબિટીસની ગોળીઓનો સમાવેશ થાય છે. નિષ્ણાત સમિતિના રિપોર્ટ મુજબ આ દવાઓમાં કોઈ વૈજ્ઞાનિક ફાયદો જ સાબિત થયો નથી, માત્ર સાઇડ ઇફેક્ટનું જોખમ વધે છે.
16 FDC દવાઓ બેન, ડ્રગ્સ એક્ટ હેઠળ કાર્યવાહી
ડ્રગ્સ અને કોસ્મેટિક્સ એક્ટ, 1940ની કલમ 26A હેઠળ કેન્દ્ર સરકારે આ 16 દવાઓના ઉત્પાદન, વેચાણ અને વિતરણ પર તરત જ રોક લગાવી દીધી છે. ડ્રગ્સ ટેકનિકલ એડવાઇઝરી બોર્ડ DTAB અને તેની પેટા-સમિતિએ 2021થી ચાલતી સમીક્ષા બાદ ડિસેમ્બર 2024માં ભલામણ કરી હતી કે આ કોમ્બિનેશનમાં કોઈ મજબૂત ઉપચારાત્મક આધાર નથી. ફાર્મા કંપનીઓને તક આપવામાં આવી હતી, પણ નિષ્ણાતો તેમની દલીલથી સંતુષ્ટ ન થયા.
આ પણ વાંચો: ગાઝિયાબાદમાં વિદ્યાર્થીએ સ્યુસાઇડ નોટ વીડિયો સાથે જીવન ટૂંકાવ્યું
કઈ દવાઓ પર પડ્યો બેન?
પ્રતિબંધિત યાદીમાં મોટાભાગે એન્ટિબાયોટિક કોમ્બો છે:
1. એમોક્સિસિલિન + સેરાટીયોપેપ્ટિડેઝ અને એમોક્સિસિલિન + સેરાટીયોપેપ્ટિડેઝ + લેક્ટોબેસિલસ સ્પોરોજેન્સ
2. સેફ્યુરોક્સાઇમ + સેરાટીયોપેપ્ટિડેઝ, સેફાડ્રોક્સિલ + પ્રોબેનેસીડ
3. ડાયસાયક્લોમાઇન + પેરાસીટામોલ + ક્લિડીનિયમ બ્રોમાઇડ – પેટના દુખાવા-સ્પાઝમ માટે વપરાતી કોમ્બો
4. ગ્લિક્લેઝાઇડ + ક્રોમિયમ પિકોલિનેટ – ડાયાબિટીસની દવા. નિષ્ણાતો કહે છે કે ડાયાબિટીસની કોઈપણ માનક ગાઇડલાઇનમાં ક્રોમિયમ પિકોલિનેટની ભલામણ નથી.
આ ઉપરાંત કેટલાક કોસ્મેટિક ઉત્પાદનો પણ યાદીમાં છે.
કેમ મૂક્યો પ્રતિબંધ?
સરકારનું કહેવું છે કે આ દવાઓ દર્દીને કોઈ વધારાનો ફાયદો આપતી નથી. ઉલ્ટું બે કે ત્રણ દવાનું મિશ્રણ કરવાથી લીવર-કિડની પર ભાર વધે અને સાઇડ ઇફેક્ટનું જોખમ વધી જાય. DTABની સમીક્ષામાં પુરાવા મળ્યા કે કંપનીઓએ આ કોમ્બોની અસરકારકતા સાબિત કરવા માટે પૂરતા ક્લિનિકલ ટ્રાયલ કર્યા નથી. સરકારે સ્પષ્ટ કર્યું કે દવા માત્ર વૈજ્ઞાનિક આધાર અને મેડિકલ જરૂરિયાતના આધારે જ મળવી જોઈએ.
તમે શું કરો?
જો તમે લાંબા સમયથી આમાંની કોઈ દવા લઈ રહ્યા છો તો તરત જ બંધ ન કરો. તમારા ડૉક્ટરને બતાવીને વૈકલ્પિક સિંગલ દવા લેવા અંગે સલાહ લો. ડૉક્ટરની પ્રિસ્ક્રિપ્શન વગર એન્ટિબાયોટિક કે પેનકિલરનો કોમ્બો ન લો. ઘરની દવાપેટી એકવાર ચેક કરી લો અને પ્રતિબંધિત દવા મળે તો ડિસ્પોઝ કરી દો.
સરકારનો આ નિર્ણય દર્દીની સલામતીને પ્રાથમિકતા આપવાનો છે. બિનજરૂરી કોમ્બો દવાઓ બંધ થતા સારવાર વધુ સુરક્ષિત અને સચોટ બનશે.
