જંગલેશ્વર પાસેની ૩૦ સોસાયટીમાં અશાંતધારાની અવધિ પૂર્ણ: મુદત વધારવા કલેક્ટરની દરખાસ્ત
અશાંતધારાના અમલથી કોમી તોફાનો અને કોમી વૈમનસ્ય પર કાબુ આવ્યો છે: ગૃહ વિભાગ અને મહેસુલ વિભાગને નવી દરખાસ્ત કરાઇ
રાજકોટના કોઠારિયા રોડ પર ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારની ૩૦ જેટલી સોસાયટીમાં સૌપ્રથમ વખત અશાંતધારો લાગુ કરાયો હતો જેની આગામી તા.૨૭ જૂનના રોજ મુદત પૂર્ણ થતી હોય જિલ્લા કલેક્ટરે રાજ્યના ગૃહ વિભાગ અને મહેસુલ વિભાગને દરખાસ્ત મોકલી કોઠારિયા રોડની ૩૦ સોસાયટીમાં અશાંતધારાની મુદત લંબાવવા માંગણી કરવામાં આવી છે.
રાજકોટના કોઠારિયા રોડ પર જંગલેશ્વર નજીક આવેલી ૩૦ જેટલી સોસાયટીમાં લઘુમતી જૂથના માથાભારે શખસોએ પગપેસારો કરી ન્યુસન્સ ફેલાવતા હોય તેમજ સોસાયટીમાં રહેલા મકાનો સસ્તા ભાવે પડાવી લેતા હોય જે બાબતે રહેવાસીઓએ રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્ર સમક્ષ ઉગ્ર રજૂઆત કરી આ વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તે માટે અશાંતધારો લાગુ કરવા માંગણી કરી હતી.
સ્થાનિક રહેવાસીઓની રજૂઆતોને ધ્યાને લઈ રાજ્ય સરકારના આદેશથી જિલ્લા વહીવટી તંત્રએ ૨૭ જૂન ૨૦૨૨ના રોજ જંગલેશ્વરની આજુબાજુમાં આવેલ ૩૦ જેટલી સોસાયટીઓમાં અશાંતધારો લાગુ કરી કોઈને પણ મિલકત ખરીદવી હોય કે વહેંચવી હોય જિલ્લા વહીવટીતંત્રની મંજૂરી ફરજિયાત કરાઈ હતી.
કોઠારિયા રોડની ૩૦ જેટલી સોસાયટી જેમાં તિરૂપતિ સોસાયટી, નિલકંઠ પાર્ક, મેહુલનગર, દેવપરા, ગોકુલનગર, મેઘારીનગર, કેદારનાથ સોસાયટી, સૂર્યોદય સોસાયટી, સોરઠિયાવાડી, વિવેકાનંદનગર, સાગર સોસાયટી, પુનિત સોસાયટી, પટેલનગર, મહેશ્વરી સોસાયટી, પરસાણા સોસાયટી, નવદુર્ગા સાસાયટી, રાધાકૃષ્ણનગર, મારૂતિનગરનો સમાવેશ થાય છે જેમાં છેલ્લા ચાર વર્ષથી અશાંતધારો અમલમાં હતો.
આગામી તા.૨૭ જૂને અશાંતધારાની મુદત પૂર્ણ થતી હોય અને આ વિસ્તારમાં હજુ અશાંતધારો અમલમાં રહે તેવી સ્થાનિક કક્ષાએ રજૂઆત થતાં જિલ્લા કલેક્ટર ડો.ઓમપ્રકાશે અશાંતધારાની મુદત લંબાવવા રાજ્ય ગૃહ વિભાગ અને મહેસુલ વિભાગને દરખાસ્ત મોકલી આપી છે.
જિલ્લા કલેક્ટરની દરખાસ્ત પર ગૃહ વિભાગ અને મહેસુલ વિભાગ મંજૂરીની મહોર માર્યા બાદ જંગલેશ્વર પાસે આવેલી ૩૦ જેટલી સોસાયટીમાં અશાંતધારાની મુદતમાં વધારો કરવામાં આવશે. વધુમાં જાણવા મળ્યા પ્રમારે અશાંતધારાની અમલથી કોમી વૈમનસ્ય પર તંત્રનો ક્નટ્રોલ રહે છે. કોમી તોફાનો બાદ આ વિસ્તારમાં મિલકત ખરીદવી કે મિલકતોના વેચાણ પર અંકુશ આવ્યો છે.
