લેબેનોન ઉપર ઇઝરાયેલનો વધુ એક હુમલો: 15 લોકોનાં મોત
શાંતિ સમજૂતીમાં વિઘ્ન સર્જવાનો ખતરો
અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ સમજૂતી પર હસ્તાક્ષર કરાયાના બીજા જ દિવસે ઇઝરાયેલે ફરી એક વખત લેબેનોન ઉપર હુમલો કરી 15 લોકોને મારી નાખ્યા હતા. આ પહેલાં અમેરિકાએ ઈઝરાયેલને લેબેનોન ઉપરના હુમલાઓ બંધ કરવા અત્યંત કડક ભાષામાં ચેતવણી આપી હતી પરંતુ તેની પણ ઐસી તૈસી કરી ઈઝરાયલે કરેલા આ હુમલાને કારણે શાંતિ સમજૂતીમાં પણ વિઘ્ન સર્જવાનો ખતરો ઉભો થયો છે.
અમેરિકા અને ઈરાન વચ્ચે ફ્રાન્સના વર્સેલ્સમાં હસ્તાક્ષર કરાયેલી શાંતિ સમજૂતી પછી પશ્ચિમ એશિયામાં તણાવ ઘટશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી હતી, પરંતુ ઇઝરાયેલે દક્ષિણ લેબેનોનમાં ફરી હવાઈ હુમલાઓ કરીને સ્થિતિને વધુ જટિલ બનાવી દીધી છે.
આ પણ વાંચો: મારી શક્તિની કોઈ મર્યાદા નથી, વૈશ્વિક મંદી ટાળવા માટે યુદ્ધ રોક્યું: ટ્રમ્પનો દાવો
અહેવાલો મુજબ દક્ષિણ લેબેનોનના અનેક વિસ્તારોમાં રાતોરાત હુમલાઓ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ પણ કાર્યવાહી ચાલુ રાખવામાં આવી હતી. નોંધનીય છે કે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સમજૂતી બાદ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે ઈરાન, લેબેનોન, હિઝબુલ્લાહ અને ઇઝરાયેલ સહિત તમામ મોરચાઓ પર સંપૂર્ણ યુદ્ધવિરામ જળવાઈ રહે તેવી અમેરિકાની અપેક્ષા છે. તેમણે તમામ પક્ષોને શાંતિ પ્રક્રિયાને સફળ બનાવવા સંયમ રાખવાની અપીલ પણ કરી હતી.
ઇરાનની વળતી ચેતવણી
બીજી તરફ ઈરાનના મુખ્ય વાટાઘાટકાર મોહમ્મદ-બાઘેર ઘાલીબાફે ચેતવણી આપી હતી કે સમજૂતીની કોઈપણ શરતનું ઉલ્લંઘન થશે તો તેનો જોરદાર જવાબ આપવામાં આવશે.અમેરિકા અને ઈરાન વચ્ચેની નવી શાંતિ સમજૂતી અમલમાં આવ્યાના થોડા જ સમયમાં થયેલા આ હુમલાઓએ સમગ્ર ક્ષેત્રમાં ફરીથી અનિશ્ચિતતા અને તણાવનું વાતાવરણ ઊભું કર્યું છે. જો હુમલાઓ અને પ્રતિક્રિયાઓનો સિલસિલો ચાલુ રહેશે તો તાજેતરમાં થયેલી શાંતિ પહેલને ગંભીર ફટકો પડી શકે છે.
