પાવાગઢમાં પથ્થર ખાબકતા 2 યાત્રિકોના મોત: અનેક ઘાયલ
માતાજીના દર્શને નીકળેલા ભક્તો પર આભ તૂટી પડ્યું! ગુજરાતના આસ્થાના શિખર સમાન પાવાગઢ ડુંગર પર આજે વહેલી સવારે ધોધમાર વરસાદ વચ્ચે મોટી દુર્ઘટના સર્જાઈ. પાટિયાપુલ નજીક પગથિયાં પર અચાનક પથ્થરો ગબડતા 4થી વધુ યાત્રિકો દબાયા, જેમાંથી 2ના કમકમાટીભર્યા મોત નીપજ્યા. વરસાદી માહોલ વચ્ચે રોપ-વે ટીમ અને પોલીસ યુદ્ધના ધોરણે બચાવ કામગીરી કરી રહી છે.
સવારે 5 વાગ્યે કાળો કેર: પથ્થરો પગથિયાં પર ખાબક્યા
આજે વહેલી સવારે આશરે 5 વાગ્યાની આસપાસ પાવાગઢ ડુંગર પર ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો. ઉપરવાસના પાણીના પ્રવાહને કારણે પાટિયાપુલ નજીક અચાનક ડુંગર પરથી મોટા પથ્થરો ધરાશાયી થયા અને સીધા પગથિયાં પર પટકાયા. તે સમયે માતાજીના દર્શન માટે જઈ રહેલા યાત્રિકો આકસ્મિક કાળના ભોગ બન્યા. વિશાળ પથ્થરો નીચે 4થી વધુ ભક્તો દબાઈ ગયા.
2ના મોત, 3 ઇજાગ્રસ્ત હોસ્પિટલમાં
સ્થાનિક સૂત્રો અને પ્રાથમિક માહિતી મુજબ આ દુર્ઘટનામાં ગંભીર ઇજાને કારણે 2 યાત્રિકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. તેમના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. અન્ય 3 ઇજાગ્રસ્ત યાત્રિકોને તાત્કાલિક હાલોલ રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. મૃતકોની ઓળખ હજુ પ્રક્રિયામાં છે.
રોપ-વે ટીમ અને પોલીસનું રેસ્ક્યુ ઓપરેશન
ઘટનાની જાણ થતાં જ વહીવટી તંત્ર દોડતું થયું. પાવાગઢ ખાતે કાર્યરત રોપ-વેની ટેકનિકલ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ અને સ્થાનિકોની મદથી રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું. ભારે પથ્થરો હટાવી દબાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી હજુ ચાલુ છે. ચોમાસાના વરસાદ અને કાદવવાળા રસ્તાને કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે, પરંતુ ટીમ યુદ્ધના ધોરણે પ્રયાસો કરી રહી છે.
પાવાગઢ પોલીસને પણ જાણ કરાતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે. કાયદેસરની કાર્યવાહી સાથે રાહત અને બચાવ કાર્યમાં મદ કરી રહ્યા છે. વહીવટી તંત્રએ ચોમાસા દરમિયાન ડુંગર પર આવતા યાત્રિકોને સાવચેતી રાખવા અને વહીવટની સૂચનાનું પાલન કરવા અપીલ કરી છે.
