ભાવનગર મેડિકલ કોલેજમાં રેગીંગ પર આરોગ્ય મંત્રીનું કડક વલણ
6 સિનિયર સામે તપાસ, ‘દોષિતોને બક્ષવામાં નહીં આવે
ભાવનગર મેડિકલ કોલેજમાંથી રેગીંગની ફરિયાદ સામે આવતા રાજ્ય સરકાર સતર્ક બની છે. ઓર્થોપેડિક વિભાગના બીજા વર્ષના 6 વિદ્યાર્થીઓ દ્વારા પ્રથમ વર્ષના 13 જુનિયર સાથે રેગીંગ કરાયાની ફરિયાદ બાદ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ ગઈકાલે જ તાત્કાલિક પગલાં લેવા સૂચના આપી દીધી. મંત્રીએ સ્પષ્ટ કહ્યું છે કે શિક્ષણમાં શિસ્ત-સંસ્કાર અને વિદ્યાર્થી સુરક્ષા સર્વોપરી છે અને રેગીંગ જેવી અમાનવીય પ્રવૃત્તિ માટે ગુજરાતમાં કોઈ સ્થાન નથી. દોષિત સાબિત થનારાઓ સામે નિયમ મુજબ કડક કાર્યવાહી કરાશે.
ફરિયાદ શું છે?
ભાવનગર મેડિકલ કોલેજના ઓર્થોપેડિક વિભાગમાં અભ્યાસ કરતા બીજા વર્ષના 6 સિનિયર વિદ્યાર્થીઓ સામે પ્રથમ વર્ષના 13 વિદ્યાર્થીઓએ રેગીંગની લેખિત ફરિયાદ કરી છે. ફરિયાદમાં માનસિક અને શારીરિક હેરાનગતિના આક્ષેપ કરવામાં આવ્યા છે. ફરિયાદ મળતાં જ કોલેજ તંત્ર અને એન્ટી-રેગીંગ કમિટી હરકતમાં આવ્યા.
આ પણ વાંચો: NEET વધુ એકનો ભોગ લીધો: અમદાવાદમાં 17 વર્ષીય વિદ્યાર્થીએ કર્યો આપઘાત
આરોગ્ય મંત્રીની સૂચના
ગઈકાલે આ મામલાની જાણ થતાં જ રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ મેડિકલ એજ્યુકેશનના નિયામકને તાત્કાલિક સૂચના આપી હતી. મંત્રીએ કોલેજના ડીન અને એન્ટી-રેગીંગ કમિટીને આ સમગ્ર બનાવની વિગતવાર તપાસ કરીને 24 કલાકમાં પૂરો અહેવાલ રજૂ કરવા જણાવ્યું છે. મંત્રીએ ભાર મૂક્યો કે મેડિકલ કોલેજ જેવી સંસ્થામાં આવી ઘટના અત્યંત ગંભીર છે અને તેને કોઈપણ ભોગે સહન નહીં કરવામાં આવે.
‘રેગીંગ માટે ઝીરો ટોલરન્સ’
આરોગ્ય મંત્રીએ નિવેદન આપતાં કહ્યું કે “શિક્ષણ મેળવવા આવેલા વિદ્યાર્થીઓની સુરક્ષા અને ગૌરવ જાળવવું એ અમારી પ્રાથમિકતા છે. રેગીંગ એક ગુનો છે અને UGC તથા MCIના નિયમો મુજબ તેની સામે કડક કાર્યવાહીની જોગવાઈ છે. તપાસમાં જે દોષિત જણાશે તેમની સામે સસ્પેન્શનથી લઈને કોલેજમાંથી રસ્ટિકેશન સુધીની સજા કરવામાં આવશે.”
એન્ટી-રેગીંગ કમિટીની ભૂમિકા
UGCની માર્ગદર્શિકા મુજબ દરેક મેડિકલ કોલેજમાં એન્ટી-રેગીંગ કમિટી, સ્ક્વોડ અને હેલ્પલાઈન ફરજિયાત હોય છે. ભાવનગર કોલેજની કમિટીએ હવે વિદ્યાર્થીઓના નિવેદન, CCTV ફૂટેજ અને સાક્ષીઓના આધારે તપાસ શરૂ કરી દીધી છે. દોષિતો સામે પોલીસ ફરિયાદ પણ થઈ શકે છે.
રેગીંગની શિકાર બનનાર કોઈપણ વિદ્યાર્થી UGCની હેલ્પલાઈન 1800-180-5522 પર ફરિયાદ નોંધાવી શકે છે. કોલેજોને સૂચના છે કે નવા વિદ્યાર્થીઓને સિનિયરથી અલગ રાખવા અને કાઉન્સેલિંગની વ્યવસ્થા કરવી.
