ભારતમાં લગ્નજીવનના કલેશ વચ્ચે પુરુષોમાં આત્મહત્યાના બનાવોમાં તોતિંગ વધારો
ભારતમાં બદલાતી સામાજિક પરિસ્થિતિઓ, કૌટુંબિક તણાવ અને બદલાતા સંબંધો વચ્ચે એક અત્યંત ચોંકાવનારો અને ચિંતાજનક ટ્રેન્ડ સામે આવ્યો છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB)ના તાજેતરના આંકડા દર્શાવે છે કે દેશમાં લગ્ન સંબંધિત વિવાદો અથવા પત્ની સાથેના અણબનાવ અને લગ્નેતર સંબંધોને કારણે આત્મહત્યા કરનારા પરિણીત પુરુષોની સંખ્યા ઝડપથી વધી રહી છે. છેલ્લા એક દાયકામાં આ આંકડામાં આવેલો તોતિંગ ઉછાળો વર્તમાન કૌટુંબિક વ્યવસ્થા અને પુરુષોના માનસિક સ્વાસ્થ્ય સામે એક મોટો પ્રશ્નાર્થ ચિહ્ન ઉભો કરે છે.
10 વર્ષમાં કેસમાં 82 ટકાનો તોતિંગ વધારો
NCRBના અહેવાલ મુજબ, વર્ષ 2015માં લગ્નજીવનના વિવાદોને કારણે આશરે 2,497 પુરુષોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. જ્યારે વર્ષ 2024-25 સુધીમાં આ આંકડો સીધો વધીને 4,536 પર પહોંચી ગયો છે. પરિણીત પુરુષોની આત્મહત્યાના આ દરમાં રેકોર્ડ 82%નો વધારો નોંધાયો છે. આ આંકડા સાબિત કરે છે કે ઘરેલું અને માનસિક સમસ્યાઓ પુરુષોને કેટલા મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડી રહી છે, અને હવે પુરુષોના માનસિક સ્વાસ્થ્યને ગંભીરતાથી સમજવું અનિવાર્ય બન્યું છે.
વર્ષ 2022માં પલટાયો ટ્રેન્ડ: હવે પુરુષો વધુ ભોગ બની રહ્યા છે
અગાઉના રેકોર્ડ્સ પર નજર કરીએ તો, લગ્ન સંબંધિત બાબતોમાં પુરુષો કરતાં મહિલાઓના આત્મહત્યાના કેસ વધુ જોવા મળતા હતા. પરંતુ વર્ષ 2022માં આ આખો આંકડો પલટાઈ ગયો હતો અને વર્ષ 2024માં પણ આ ખતરનાક ટ્રેન્ડ સતત ચાલુ રહ્યો છે. હવે લગ્નજીવનના કલેશના કારણે મહિલાઓ કરતાં પુરુષો વધુ આત્મહત્યા કરી રહ્યા છે.
આ પણ વાંચો: 1997 બાદ પહેલીવાર લેફ્ટનન્ટ જનરલ ધીરજ શેઠ બનશે ભારતના નવા આર્મી ચીફ
વર્ષ 2024માં લગ્ન સંબંધિત વિવાદોને કારણે કુલ 8,524 લોકોએ આત્મહત્યા કરી હતી. આ કુલ કેસમાંથી:
પુરુષો: 4,536 (આશરે 53%)
મહિલાઓ: 3,986 (આશરે 46%)
જો વર્ષ 2015ની વાત કરીએ તો તે સમયે આત્મહત્યા કરનારી મહિલાઓની સંખ્યા પુરુષોની સરખામણીએ 61% જેટલી વધારે હતી, જે ટ્રેન્ડ હવે સંપૂર્ણપણે ઉલટો થઈ ગયો છે.
ઓછી ઉંમરે મહિલાઓ અને મોટી ઉંમરે પુરુષો વધુ લાચાર
આ અહેવાલમાં ઉંમરને લઈને પણ એક ચોક્કસ અને ભિન્ન તારણ સામે આવ્યું છે:
મહિલાઓ (નાની ઉંમર): 18થી 30 વર્ષની નાની ઉંમરમાં આત્મહત્યા કરવાના કિસ્સામાં મહિલાઓની સંખ્યા વધુ છે. વર્ષ 2024માં આત્મહત્યા કરનારી મહિલાઓમાંથી આશરે બે-તૃતીયાંશ (2/3) મહિલાઓ 30 વર્ષથી ઓછી ઉંમરની હતી.
પુરુષો (મોટી ઉંમર): પુરુષોમાં આ ટ્રેન્ડ તદ્દન અલગ છે. આત્મહત્યા કરનારા અડધાથી વધુ પુરુષો 30 વર્ષથી વધુ ઉંમરના હતા, જેમાં 40% પુરુષો 30થી 45 વર્ષની વયજૂથના હતા, જેઓ પરિવારની આર્થિક અને સામાજિક ધૂરા સંભાળતા હોય છે.
દેશમાં રોજ સરેરાશ 24 લોકો ગુમાવે છે જીવ
રિપોર્ટના આંકડા અનુસાર, દેશમાં લગ્નજીવન અથવા पति-પત્ની વચ્ચેના વિવાદોના કારણે દરરોજ સરેરાશ 23થી 24 લોકો આત્મહત્યા કરે છે.
દૈનિક સરેરાશનું ગણિત:
દરરોજ જીવ ગુમાવનારાઓમાં સરેરાશ 12 પુરુષો અને 11 મહિલાઓ સામેલ છે. પુરુષોની વિગતો જોઈએ તો, દરરોજ 30 વર્ષથી ઓછી ઉંમરના 5 પુરુષો અને 30 વર્ષથી વધુ ઉંમરના 6 પુરુષો કૌટુંબિક વિવાદોના કારણે મોતને વહાલું કરે છે.
વર્ષ 2019થી 2024 સુધીના માત્ર 5 વર્ષના ટૂંકા ગાળામાં જ આ રીતે આત્મહત્યા કરનારાઓની કુલ સંખ્યા 24,335 પર પહોંચી ગઈ છે, જે અત્યંત ચિંતાજનક બાબત છે.
કયા કારણોસર વધી રહ્યા છે આત્મહત્યાના કેસ?
લગ્નજીવન તૂટવા પાછળ અથવા આ પ્રકારનું ગંભીર અને અંતિમ પગલું ભરવા પાછળ મુખ્યત્વે નીચેના કારણો જવાબદાર હોવાનું સામે આવ્યું છે:
1. પરસ્પર સામંજસ્યનો અભાવ: વર્ષ 2024માં નોંધાયેલા આત્મહત્યાના 8,534 કેસમાંથી 3,052 કેસ એવા હતા, જેમાં લગ્ન પછી પતિ-પત્ની વચ્ચે પરસ્પર તાલમેલ કે એડજસ્ટમેન્ટ ન બેસી શકવાને કારણે આ પગલું ભરવામાં આવ્યું હતું.
2. લગ્નેતર સંબંધો (Extramarital Affairs): પાછલા વર્ષોની સરખામણીએ લગ્નેતર સંબંધોના કારણે થતી આત્મહત્યાના દરમાં મોટો વધારો થયો છે.
3. સામાજિક દૂષણો: દહેજ પ્રથા અને છૂટાછેડા (ડિવોર્સ)ની પ્રક્રિયા દરમિયાન થતો માનસિક આઘાત પણ આ માટે મોટું કારણ છે.
આત્મહત્યાના મામલે ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર મોખરે
રાજ્યવાર આંકડાઓ પર નજર કરીએ તો લગ્નજીવનના વિવાદોમાં આત્મહત્યાના મામલે ઉત્તર પ્રદેશ દેશમાં સૌથી આગળ છે. વર્ષ 2024માં ઉત્તર પ્રદેશમાં લગ્ન પછી પરસ્પર તાલમેલ ન જળવાવાને કારણે કુલ 764 લોકોએ આત્મહત્યા કરી હતી, જેમાં 394 પુરુષો અને 370 મહિલાઓ સામેલ હતી.
આ યાદીમાં ઉત્તર પ્રદેશ પછી બીજા ક્રમે મહારાષ્ટ્ર આવે છે, જ્યાં આવા પારિવારિક વિવાદોને કારણે 421 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.
સમાજશાસ્ત્રીઓ અને મનોચિકિત્સકોના મતે, આ આંકડાઓ સ્પષ્ટ કરે છે કે હવે કાયદાકીય અને સામાજિક સ્તરે કાઉન્સેલિંગ વ્યવસ્થા મજબૂત કરવી પડશે, જ્યાં પુરુષો પણ પોતાના માનસિક તણાવને મુક્તપણે રજૂ કરી શકે.
