દિલ્હી કોર્ટે ચુકાદો આપ્યો: ત્રણ વર્ષથી દેશભરમાં ચર્ચાસ્પદ રહેલા કેસનો ફોજદારી અંત આવ્યો
ભારતીય કુસ્તી સંઘ (WFI)ના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ ભાજપ સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહને છ મહિલા પહેલવાનો દ્વારા નોંધાવવામાં આવેલા યૌન ઉત્પીડન કેસમાં સોમવારે દિલ્હીની અદાલતે નિર્દોષ જાહેર કર્યા હતા. દેશના રમતગમત જગતમાં સૌથી વધુ ચર્ચાસ્પદ બનેલા આ કેસમાં અદાલતના ચુકાદા સાથે ત્રણ વર્ષથી ચાલી રહેલી ફોજદારી કાર્યવાહીનો અંત આવ્યો છે.
વિનેશ ફોગાટ સહિત છ મહિલા પહેલવાનોએ બ્રિજભૂષણ સામે યૌન ઉત્પીડનના ગંભીર આક્ષેપો કર્યા હતા. આ આક્ષેપોને પગલે 2023માં દિલ્હીના જંતર-મંતર પર સાક્ષી મલિક, બજરંગ પુનિયા અને અન્ય અગ્રણી પહેલવાનોએ લાંબું આંદોલન ચલાવ્યું હતું. બ્રિજભૂષણની ધરપકડ અને WFIમાંથી હટાવવાની માંગ સાથે થયેલા આ વિરોધને દેશ-વિદેશમાં ભારે સમર્થન અને ચર્ચા મળી હતી.
દિલ્હી પોલીસે કેસમાં ચાર્જશીટ દાખલ કર્યા બાદ લાંબી સુનાવણી દરમિયાન કુલ 32 સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી. અંતિમ દલીલો પૂર્ણ થયા બાદ સોમવારે અદાલતે બ્રિજભૂષણને તમામ આરોપોમાંથી મુક્ત કર્યા હતા.
આ પણ વાંચો: બળાત્કારની ફરિયાદ કરનારી મહિલાને થૂંક ચાટવાની સજા
આ અગાઉ પણ અલગથી નોંધાયેલા સગીર મહિલા પહેલવાન સંબંધિત પોક્સો (POCSO) કેસમાં પણ દિલ્હી કોર્ટે પોલીસનો ક્લોઝર રિપોર્ટ સ્વીકારી બ્રિજભૂષણને રાહત આપી હતી.
“હું તો પહેલેથી જ કહેતો હતો…” : બ્રિજભૂષણ
ચુકાદા બાદ બ્રિજભૂષણ શરણ સિંહે કહ્યું કે, “મેં પહેલા જ દિવસે કહ્યું હતું કે જો આરોપો સાચા સાબિત થશે તો હું પોતે ફાંસી ચડી જઈશ. આજે હું નિર્દોષ જાહેર થયો છું. આ મારા અને મારા સમર્થકો માટે સારા સમાચાર છે. હવે મને વધુ કંઈ કહેવું નથી.”ચુકાદા બાદ તેમના સમર્થકોએ આતશબાજી કરી વિજયોત્સવ મનાવ્યો હતો.
વિવાદાસ્પદ કેસનો ઘટનાક્રમ
જાન્યુઆરી-2023: વિનેશ ફોગાટ, સાક્ષી મલિક, બજરંગ પુનિયા સહિતના પહેલવાનો જંતર-મંતર પર ધરણાં પર બેઠા.
23 જાન્યુઆરી, 2023: કેન્દ્ર સરકારે ફરિયાદોની તપાસ માટે ઓવરસાઇટ કમિટીની રચના કરી.
એપ્રિલ-2023: છ મહિલા પહેલવાનોએ દિલ્હી પોલીસમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી.
28 એપ્રિલ, 2023: સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપ બાદ દિલ્હી પોલીસે બે FIR નોંધાવી.
28 મે, 2023: સંસદ તરફ કૂચ દરમિયાન પહેલવાનોની અટકાયત; વિરોધ ચરમસીમાએ પહોંચ્યો.
15 જૂન, 2023: દિલ્હી પોલીસે ચાર્જશીટ દાખલ કરી; સગીર સંબંધિત POCSO કેસમાં ક્લોઝર રિપોર્ટ રજૂ કર્યો.
મે-2024: અદાલતે આરોપ નક્કી કર્યા; બ્રિજભૂષણે આરોપો નકારી કાઢ્યા.
મે-2026: પ્રોસિક્યુશન તરફથી 32 સાક્ષીઓની જુબાની પૂર્ણ.
2 જુલાઈ, 2026: અંતિમ દલીલો પૂર્ણ.
3 ઑગસ્ટ, 2026: દિલ્હી કોર્ટે બ્રિજભૂષણ શરણ સિંહને છ મહિલા પહેલવાનોના યૌન ઉત્પીડન કેસમાં નિર્દોષ જાહેર કર્યા.
આખું તંત્ર આરોપીના બચાવમાં હતું, અદાલતમાં જઈશું : વિનેશ ફોગટ
ચુકાદા સામે ઓલિમ્પિયન વિનેશ ફોગાટે નિરાશા વ્યક્ત કરતાંvઆરોપ લગાવ્યો કે “શરૂઆતથી જ આખું તંત્ર બ્રિજભૂષણને બચાવવામાં લાગેલું હતું.” વિનેશે જણાવ્યું કે મહિલા પહેલવાનો ચુકાદાને ઉચ્ચ અદાલતમાં પડકારશે અને શક્ય તેટલી વહેલી તકે અપીલ દાખલ કરવામાં આવશે. “અમે આશા ગુમાવી નથી, ન્યાય માટેની લડત ચાલુ રહેશે,” એમ તેમણે જણાવ્યું હતું. બજરંગ પુનિયાએ પણ વિનેશના નિવેદનને સમર્થન આપ્યું.
