અમેરિકાએ જ ભારતને રશિયા પાસેથી ઓઇલ ખરીદવા કહ્યું હતું : જયશંકર
અમેરિકન નીતિ અને મનસ્વી ટેરિફની આકરી ટીકા
વિદેશમંત્રી એસ. જયશંકરએ રશિયા પાસેથી ભારત દ્વારા કરવામાં આવતી ક્રૂડ ઓઇલ ખરીદીનો બચાવ કરતાં પશ્ચિમી દેશોના “બેવડા ધોરણો” પર આકરા પ્રહારો કર્યા હતા. ફિનલેન્ડની મુલાકાત દરમિયાન એક કાર્યક્રમમાં તેમણે જણાવ્યું હતું કે 2022માં યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદ વૈશ્વિક બજારમાં તેલના ભાવને કાબૂમાં રાખવા માટે અમેરિકાએ જ ભારતને રશિયન ઓઇલ ખરીદવાની વિનંતી કરી હતી.
જયશંકરે કહ્યું કે ભારત માટે ઊર્જા સુરક્ષા સર્વોચ્ચ છે અને દેશ હંમેશા કિંમત તથા ઉપલબ્ધતાના આધારે જ ઓઇલ ખરીદે છે. તેમણે જણાવ્યું કે તે સમયે યુરોપીય દેશો મધ્યપૂર્વનું મોટાભાગનું તેલ ખરીદી રહ્યા હતા, જે ભારતના પરંપરાગત સપ્લાયરો હતા. પરિણામે વૈશ્વિક બજારમાં રશિયન તેલ જ મોટા પ્રમાણમાં ઉપલબ્ધ રહ્યું હતું અને સંજોગોએ ભારતને તે દિશામાં આગળ વધવા પ્રેર્યું હતું.
તેમણે રશિયાને ભારતનો વિશ્વસનીય ભાગીદાર ગણાવતા અમેરિકાની બદલાતી નીતિઓ પર પણ સવાલ ઉઠાવ્યા. જયશંકરે કહ્યું કે પહેલાં રશિયન ઓઇલ ખરીદવા બદલ ભારત પર ટેરિફ અને દબાણ લાદવામાં આવ્યું, પરંતુ બાદમાં વૈશ્વિક ઊર્જા બજારમાં સ્થિરતા જળવાઈ રહે તે માટે એ જ અમેરિકાએ પોતાના પ્રતિબંધોમાં રાહત આપી દીધી. તેથી આ મુદ્દાને કોઈ મહાન નૈતિક સિદ્ધાંત સાથે જોડવાનો પ્રયાસ યોગ્ય નથી.
ભારતે સતત સ્પષ્ટ કર્યું છે કે રશિયન ઓઇલની ખરીદી કોઈ દેશની મંજૂરી કે પ્રતિબંધના આધારે નહીં, પરંતુ વ્યાપારી લાભ અને રાષ્ટ્રીય ઊર્જા જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે અને ભવિષ્યમાં પણ આ નીતિ ચાલુ રહેશે.
આ પણ વાંચો: રાજ્યસભા ઉમેદવારી મામલે કોંગ્રેસને ફટકો: મીનાક્ષી નટરાજનની અરજી સુપ્રીમે ફગાવી
યુરોપની નૈતિકતા ઉપર પ્રહાર
જયશંકરે યુરોપીય દેશોની “નૈતિક અસ્પષ્ટતા” પર પણ સવાલ ઉઠાવ્યા. તેમણે કહ્યું કે કોઈ યુરોપીય દેશ પર ભારતીય હથિયારોથી હુમલો થયો નથી, પરંતુ ભારત વિરુદ્ધ વપરાતા હથિયારો યુરોપમાંથી પહોંચ્યા છે. ભારતે ક્યારેય યુરોપની સુરક્ષાને જોખમમાં મૂકતું કોઈ પગલું ભર્યું નથી, છતાં યુરોપ વર્ષોથી એવા દેશોને હથિયારો વેચે છે જે ભારત સામે તેનો ઉપયોગ કરે છે. તેથી ભારતને નૈતિકતા અંગે ઉપદેશ આપતા પહેલાં યુરોપે પોતાના વર્તન પર પણ નજર કરવી જોઈએ.
અમેરિકાની ‘રેડ લાઇન’ અને બદલાતું વલણ
રશિયન ઓઇલની ખરીદીને લઈને અમેરિકા અને ભારત વચ્ચે છેલ્લા વર્ષોમાં તણાવ પણ જોવા મળ્યો હતો. ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસને ભારતમાંથી આયાત થતી ચીજો પર 50 ટકા સુધી ટેરિફ લાદ્યા હતા, જેમાં રશિયન ઓઇલ ખરીદી સાથે જોડાયેલી વધારાની દંડાત્મક જોગવાઈઓ પણ સામેલ હતી. જોકે બાદમાં ભારત-અમેરિકા વચ્ચે વચગાળાના વેપાર માળખા પર સહમતી થતાં ટેરિફમાં ઘટાડો કરવામાં આવ્યો. ત્યારબાદ મધ્યપૂર્વમાં વધેલી અસ્થિરતા અને વૈશ્વિક પુરવઠા પર પડેલા દબાણને ધ્યાનમાં રાખીને અમેરિકાએ રશિયન સમુદ્રી ઓઇલ ખરીદી પરની કેટલીક મર્યાદાઓમાં પણ રાહત આપી હતી, જેથી વૈશ્વિક બજારમાં ક્રૂડના ભાવ અંકુશમાં રહી શકે. ભારતનું કહેવું છે કે તેણે પ્રતિબંધ પહેલાં પણ, પ્રતિબંધ દરમિયાન પણ અને ત્યારબાદ પણ પોતાની જરૂરિયાત મુજબ રશિયન ઓઇલ ખરીદ્યું છે અને આગળ પણ ખરીદતું રહેશે.
