કેન્દ્રની ભાજપ સરકારના નામે ફરતા સો દાવાની દસ્તાવેજી તપાસ—શું ખરેખર નવું છે, શું જૂની સરકારનો વારસો છે, શું અડધું સાચું છે અને શું માત્ર રાજકીય પ્રચાર?
જંતરમંતર પ્રોટેસ્ટ પૂરો થયો. શિક્ષણ પ્રધાન નવા આવ્યા. આ પ્રોટેસ્ટમાં રાબેતા મુજબ બે વિભાગો પડી ગયેલા: સરકાર તરફી અને સરકારની આલોચના કરનારા. (આ બંને પક્ષો માટે સોશ્યલ મીડિયામાં વપરાતા જાણીતા પણ વલ્ગર લેબલ: ભક્તો અને ચમચાઓ આપણે અહી નહિ વાપરીએ. આ અખબાર છે, વોટ્સએપ નથી.) E20-જનતા પાર્ટી જેવું કંઇક સોશ્યલ પેજ બન્યું છે જે ઇથેનોલ મિશ્રિત પેટ્રોલનો વિરોધ કરે છે ને નીતિન ગડકરીનું રાજીનામું માંગે છે એ બધી વાતો ચાલ્યા કરશે. પણ છેલ્લા દિવસોમાં અચાનક સરકારની ૧૦૮ સિદ્ધિઓ દર્શાવતો મેસેજ મુકાવા લાગ્યો. એ મેસેજ ૨૦૧૪ પછી કેન્દ્રમાં સત્તામાં આવેલી ભજ સરકારની સિદ્ધિઓના ૧૦૮ મણકા ગણાવવા ઈચ્છે છે જો કે તેમાં ૧૦૦ સિદ્ધિઓ જ ગણાવવામાં આવી છે અને આઠ મણકા બીજા આપણે જોડીએ તેવી તેઓ અપેક્ષા રાખે છે. આપણે તેમની અપેક્ષા પૂરી કરીશું જ પણ એની પહેલા તેમણે ગણાવેલી ૧૦૦ સિદ્ધિઓની સત્યતા બિલકુલ તટસ્થતાના લેન્સ વડે ચકાસીએ. (કોઈને સત્યની એલર્જી હોય તો અહીંથી વાંચવાનું પડતું મૂકી શકે છે!)
1. મિસ્ડ કૉલથી ગેસ સિલિન્ડર:
નક્કર દાવો પણ રાઈનો પર્વત કરીને બતાવવામાં આવે છે. ઇન્ડિયન ઓઇલે છેક 2021માં મિસ્ડ કૉલ દ્વારા LPG રિફિલ બુકિંગની રાષ્ટ્રીય સુવિધા શરૂ કરી.
2. ઑનલાઇન બિલ પેમેન્ટ:
ખોખલો દાવો. વીજળી, ટેલિફોન અને અન્ય બિલનું ઑનલાઇન પેમેન્ટ 2014 પહેલાં પણ થતું હતું.
3. UPI પેમેન્ટ:
નક્કર દાવો. સંપૂર્ણ અને મોટી ઉપલબ્ધિ. NPCI દ્વારા વિકસાવાયેલ UPI 2016માં શરૂ થયું.
4. ડિજિલૉકર:
નક્કર દાવો.
5. જન ઔષધિ કેન્દ્ર:
ખોખલો દાવો. જૂની યોજના, વર્તમાન સરકારે સફળતાપૂર્વક વિસ્તારી. ‘જન ઔષધિ’ યોજના નવેમ્બર 2008માં UPA સરકારના સમયમાં શરૂ થઈ હતી.
6. આયુષ્માન કાર્ડ:
નક્કર દાવો. ખુબ જરૂરી. આયુષ્માન ભારત–PM-JAY 2018માં શરૂ થયું. ભાજપની પ્રશંસનીય કમીગીરી.
7. નવું સંસદ ભવન:
ખોખલો દાવો એટલા માટે કે આને લોકકલ્યાણ યોજના હેઠળ ગણાવી ન શકાય.
8. મફત રસીકરણ:
અડધો નક્કર. કોવિડમાં મફત રસી આપી. એની પહેલાની બીમારીઓ/ડીસઓર્ડર વિરુદ્ધ બીજી સરકારોએ પણ મફત રસી આપી છે.
9. પ્રધાનમંત્રી જનધન યોજના:
ખોખલો દાવો. એટલા માટે કે ૨૦૦૫ માં RBI એ no-frills account શરુ કરેલા. ૨૦૧૨ માં બેઝીક સેવિંગ્ઝ બેંક ડીપોઝીટ અકાઉન્ટના નામ હેઠળ શૂન્ય રકમ સાથે બેંકના ખાતા ખોલી આપવામાં આવતા. ૨૦૧૧ માં યુપીએ સરકારે સ્વાભિમાન ફાઈનાન્સીયલ ઇન્ક્લ્યુઝન કેમ્પેઈન પણ ચાલુ કરેલું.
10. સર્જિકલ સ્ટ્રાઇક:
નક્કર દાવો. સપ્ટેમ્બર ૨૦૧૬.
11. ઑપરેશન સિંદૂર:
નક્કર કે ખોખલો દાવો? ચર્ચાઓ ચાલુ છે. એકમત થઇ શકાય એમ નથી. આમ પણ મીલીટરી ઓપરેશનો રાષ્ટ્રીય સુરક્ષા અને પ્રજા સુરક્ષાનો મામલો કહેવાય- જનકલ્યાણનો નહિ!
12. ટ્રિપલ તલાક બિલ:
અડધો નક્કર. એટલા માટે કે તેનો શ્રેય સરકારે પાસ કરેલા બીલની સાથે ન્યાયતંત્રને પણ મળવો જોઈએ.
13. આધાર લિંકિંગ:
આધારની શરૂઆત જ કોંગ્રેસ વખતે થઇ હતી જેનો વર્તમાન વડાપ્રધાને જોરશોરથી વિરોધ કરેલો. હવે એ આધારના લિન્કિંગને સિદ્ધિ ગણાવી હોય તો તેત્રીસ તોપોની સલામી આપવી રહી.
14. FASTag:
નક્કર દાવો. ટોલ વ્યવસ્થિત રીતે વસુલ કરાય છે. ચોમાસામાં આખા દેશના રસ્તાઓ નક્કર રહ્યા છે કે નહિ તે કહેવાની જરૂર નથી.
15. ચેનાબ બ્રિજ:
ખોખલો દાવો. ચેનાબ રેલ બ્રિજને 2003માં મંજૂરી મળી હતી. લાંબા વિલંબ બાદ મોદી સરકારના સમયમાં કામ પૂર્ણ થયું અને 2025માં રેલ જોડાણ શરૂ થયું. વિચાર અને શરૂઆત જૂની; પૂર્ણતાનો મોટો શ્રેય વર્તમાન સરકારને.
16. જમ્મુ ટનલ:
ખોખલો દાવો. જો દાવો ચેનાની–નાશરી ટનલ અંગે છે તો તેનું બાંધકામ 2011માં શરૂ થયું અને 2017માં ઉદ્ઘાટન થયું. તેથી આખો પ્રોજેક્ટ માત્ર 2014 પછીનો નથી.
17. ગંગા એક્સપ્રેસવે:
ખોખલો દાવો કારણ કે જૂનો વિચાર, વર્તમાન ઉત્તર પ્રદેશ સરકારનું અમલીકરણ. ગંગા એક્સપ્રેસવેનો મૂળ પ્રસ્તાવ 2007માં માયાવતી સરકારના સમયમાં આવ્યો હતો. હા એ પૂરો થયો યોગીરાજમાં.
18. કાશી કોરિડોર:
નક્કર દાવો. ડીસેમ્બર ૨૦૨૧.
19. વિશ્વનાથ કોરિડોર:
ખોખલો દાવો. કાશી ઓર વિશ્નાથ કોરીડોર અલગ અલગ હૈ ક્યા?
20. કેદારનાથ પુન:ર્નિર્માણ:
મોટેભાગે નક્કર દાવો પણ, પરંતુ શરૂઆત જૂની સરકારમાં થઇ હતી. 2013ની આપત્તિ પછી પુનર્નિર્માણની શરૂઆત થઈ.
21. શ્રીરામ મંદિરનું નિર્માણ:
નક્કર દાવો. ચુકાદો : મંદિર બન્યું—સાચું; ‘સરકારે મંદિર બનાવ્યું’—અધૂરું. મંદિરનું બાંધકામ શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ અને જાહેર દાનથી થયું. જેને સરકારી બજેટની સામાન્ય યોજના ગણાવી શકાય નહીં.
22. સુકન્યા સમૃદ્ધિ યોજના:
નક્કર દાવો. દીકરીના શિક્ષણ અને લગ્ન માટે લાંબા ગાળાની બચત પ્રોત્સાહિત કરતી યોજના જાન્યુઆરી 2015માં શરૂ થઈ.
23. શૌચાલયનું નિર્માણ:
કેવો દાવો કહીએ આને? શૌચાલય પહેલા પણ બન્યા હતા. સ્વચ્છ ભારત હેઠળ દસ કરોડથી વધુ ઘરેલુ શૌચાલય બાંધવામાં આવ્યા. છતાં ‘બાંધવામાં આવ્યું’, ‘વપરાય છે’ અને ‘પાણી ઉપલબ્ધ છે’—ત્રણેય એક વસ્તુ નથી. ODFના ઘણા આંકડા સ્થાનિક સ્વઘોષણા પર આધારિત હતા.
24. રેલવે ટ્રેકનું ડબલિંગ:
દિશા સાચી, દાવો અપૂર્ણ. 2014 પછી ડબલિંગ અને વિદ્યુતીકરણની ગતિ વધી છે. એટલું ખરું.
25. રેલવે સ્ટેશનોનો વિસ્તાર:
અડધો દાવો. અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ 1,300થી વધુ હાલના સ્ટેશનોના પુનર્વિકાસની યોજના છે. આ ‘નવા સ્ટેશનો’ નથી; જૂના સ્ટેશનોનું સુધારણું અને વિસ્તરણ છે.
26. એડવાન્સ ટિકિટ બુકિંગ માટે સમય ઘટાડ્યો:
નક્કર દાવો પણ આને રાષ્ટ્રીય સિદ્ધિ કહીશું?
27. ટિકિટ રદ કરવાની સુવિધા:
ગપગોળા દાવો. રેલવેનું ઑનલાઇન બુકિંગ 2002થી છે અને ટિકિટ રદ કરવાની સુવિધા પણ વર્ષોથી ઉપલબ્ધ છે.
28. ગોલ્ડન ક્વાડ્રિલેટરલ યોજના:
ખોખલો દાવો. આ અટલ બિહારી વાજપેયીના નેતૃત્વવાળી NDA સરકારનો ઐતિહાસિક પ્રોજેક્ટ હતો.
29. ભારતમાલા પ્રોજેક્ટ:
અપૂર્ણ દાવો. પ્રોજેક્ટ હજુ પૂરો થયો નથી. ભારતમાલા પરિયોજનાને 2017માં મંજૂરી મળી હતી.
30. 18 AIIMSનું નિર્માણ:
ભ્રામક માટે ખોખલો દાવો. પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના 2003માં વાજપેયી સરકારના સમયમાં જાહેર થઈ હતી. વિવિધ વર્ષોમાં કુલ 22 નવા AIIMS મંજૂર થયા, પરંતુ હજુ બધી એઈમ્સ કાર્યરત થઇ નથી.
31. SIR: ખોખલો દાવો.
SIR એટલે મતદાર યાદીની Special Intensive Revision. આ ચૂંટણી પંચની બંધારણીય પ્રક્રિયા છે, ભાજપની લોકકલ્યાણ યોજના નહીં.
32. મહાત્મા ગાંધી સેતુનું પુનર્નિર્માણ:
નક્કર દાવો. ગાંધીજીને મોદી સરકાર ખુબ જ માન આપે છે ને આપતા રહેશે. આ પ્રોજેક્ટને ૨૦૧૬ માં મજુરી મળી હતી.
33. ભૂપેન હજારીકા સેતુ:
ખોખલો દાવો. પુલને 2009માં મંજૂરી મળી, 2011માં બાંધકામ શરૂ થયું અને 2017માં મોદી સરકારે તેનું ઉદ્ઘાટન કર્યું.
34. સેનાનું આધુનિકીકરણ:
ડબલ ખોખલો દાવો. સમય અને ટેકનોલોજી બદલાતા શસ્ત્રાગારનું આધુનીકીકરણ થતું જ રહે. અહી તેનો કોઈ માપદંડ હોતો નથી. ૨૦૧૪ પહેલા ભારતીય લાશ્કર તીર-કામઠાથી કામ ચલાવતું ન હતું.
35. મેક ઇન ઇન્ડિયા:
Make in India સપ્ટેમ્બર 2014માં શરૂ થયું. પણ એ પહેલા પણ સ્વદેશી ચળવળ અને સ્વદેશી અભિયાન ચાલુ જ હતા. બીજી વાત, મેક ઇન ઇન્ડિયા હેઠળ મોબાઇલ, સંરક્ષણ અને કેટલાક ઉદ્યોગોમાં વૃદ્ધિ થઈ, છતાં મેન્યુફેક્ચરિંગનો GDPમાં હિસ્સો અપેક્ષિત સ્તરે પહોંચ્યો નથી અને ઘણા ક્ષેત્રે આયાત પર આધાર ચાલુ છે.
36. ડ્રોન ક્રાંતિ:
ખોખલો દાવો. ડ્રોનનો વ્યાપક ઉપયોગ થયો જ ૨૦૧૪ પછી.
37. ખેડૂતોના ખાતામાં સીધા પૈસા:
દાવો ખોટો ન કહી શકાય. PM-KISAN હેઠળ પાત્ર ખેડૂત પરિવારોને વાર્ષિક ₹6,000 સીધા ખાતામાં આપવામાં આવે છે. રકમ પૂરતી છે કે નહીં તે અલગ ચર્ચા છે.
38. રેશનનું ડિજિટાઇઝેશન:
ખોખલો દાવો. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદો 2013માં આવ્યો હતો. મોદી સરકારે અમલીકરણ કર્યું.
39. મફત રેશન:
પહેલા પણ આપવામાં આવતું. કોવિડ પછી શરૂ થયેલું મફત અનાજ વિતરણ જાન્યુઆરી 2024થી પાંચ વર્ષ માટે આગળ વધારાયું અને આશરે 81 કરોડ પાત્ર લોકોને આવરી લેવાનો નિર્ણય થયો.
40. કન્યા સુમંગલા યોજના:
ખોખલો દાવો. મુખ્યમંત્રી કન્યા સુમંગલા યોજના ઉત્તર પ્રદેશની રાજ્ય યોજના છે. તેને સમગ્ર ભારત માટે કેન્દ્રની ભાજપ સરકારની સિદ્ધિ ગણાવવી ખોટું છે.
ભાગ બે માં પણ બીજી સિદ્ધિઓના દાવાના તથ્યની આ જ રીતે નિષ્પક્ષ ચકાસણી કરીશું.
