ઓવરબ્રિજ-અન્ડરબ્રિજમાં કરોડોનો ખર્ચ પણ ક્યાંય `તિસરી આંખ’ નથી
સીસીટીવી ન હોવાના કારણે છેલબટાઉ બેફામ વાહનો ચલાવી લોકોના જીવ જોખમમાં મુકે છે
તંત્ર દૂર્ઘટનાની રાહ જુએ છે?
રાજકોટમાં ૧૮ ઓવરબ્રિજ અને ૯ અન્ડરબ્રિજ કાર્યરત
રાજકોટની ટ્રાફિક સમસ્યા હળવી કરવા દર વર્ષે એક ઓવરબ્રિજ બનાવવામાં આવે છે પરંતુ ખાટલે મોટી ખોડ રહી ગઈ હોય તેમ કરોડો રૂપિયાના ઓવરબ્રિજ બની ગયા પરંતુ ઓવરબ્રિજ પર એક પણ બ્રીજના ઇન આઉટમાં સીસીટીવી કેમેરા નથી. છેલબટાઉ યુવાનો ઓવરબ્રિજ પર જાણે હવામાં વાતો કરતા હોય તે રીતે બેફામ વાહન ચલાવી પોતાની જિંદગી જોખમમાં મુકે છે સાથે અન્ય વાહનચાલકોના શ્વાસ અધ્ધર કરી દે છે. ઓવરબ્રિજ અને અન્ડરબ્રિજમાં કોઈપણ દૂર્ઘટના સર્જાય તો અથવા અન્ય કોઇ ઘટના ઘટે તો જવાબદાર કોણ ? તેવો લોકોમાં પ્રશ્ન થઈ રહ્યો છે.
રાજકોટ શહેરનો વિકાસ જેટસ્પીડે આગળ વધી રહ્યો છે. બે દાયકા પહેલાં એક માત્ર જામનગર રોડ પર રેલવે ક્રોસિંગ પર ઓવરબ્રિજ અસ્તિત્વમાં હતો પરંતુ આજે રાજકોટ શહેરને ફાટક મુક્ત બનાવવા માટે અને ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે ૧૮-૧૮ ઓવરબ્રિજ રાજકોટ શહેરમાં કાર્યરત છે. એટલું જ નહીં ૯ સ્થળે અન્ડરબ્રિજ બનાવવામાં આવ્યા છે.
રાજકોટ શહેરના વિકાસની ચાડી ખાતા ઓવરબ્રિજ અને અન્ડરબ્રિજથી મહદ્અંશે ટ્રાફિક સમસ્યામાંથી રાહત મળી છે પરંતુ ઓવરબ્રિજ હોય કે અન્ડરબ્રિજમાં કોઈપણ સ્થળે ગતિ નિયંત્રણ માટેની કોઈ જ કાર્યવાહી થતી નથી.
ઓવરબ્રિજ કે અન્ડરબ્રિજમાં ઢાળ ઉતરતી વખતે છેલબટાઉ યુવાનો ગતિ નિયંત્રણમાં રાખવાના બદલે હવામાં વાતો કરતા હોય તે રીતે દોડવું તું ને ઢાળ મળી ગયો તેમ વાહનોની સ્પીડ વધારી દઈ પોતાની જિંદગી જોખમમાં મુકે છે સાથોસાથ અન્ય વાહનચાલકોના શ્વાસ અધ્ધર કરી દે છે.
આ પણ વાંચો: સરકારની સો સિદ્ધિઓની માળા: મણકા કેટલા નક્કર કેટલા ખોખલા? ભાગ- ૧
ઓવરબ્રિજ કે અન્ડરબ્રિજમાં કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો પરંતુ લોકોની સલામતીના કોઈ જ પગલાં લેવામાં આવ્યા નથી. એટલું જ નહીં ઓવરબ્રિજ કે અન્ડરબ્રિજમાં કોઈ દૂર્ઘટના કે ઘટના બને તો તેના પુરાવા લેવા માટે સીસીટીવી કેમેરા જ ગોઠવવામાં નથી આવ્યા.
ગોંડલના ચકચારી રાજકુમાર જાટનું બામણબોર પાસે ઓવરબ્રિજમાં અકસ્માતમાં મૃત્યુ થયું હતું. જો ઓવરબ્રિજ પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હોત તો આ ઘટના અકસ્માતની છે કે કેમ તે સાબીત થઈ જાત.
ઓવરબ્રિજ હોય કે અન્ડરબ્રિજ ફૂલ સ્પીડના કારણે નાના-મોટા અકસ્માતો તો રોજિંદા બની ગયા છે. એટલું જ નહીં ઓવરબ્રિજમાં લૂંટ તેમજ મારામારી કે અન્ય કોઈ ઘટના બને તો તેના માટે પણ સીસીટીવી ફૂટેજ ઉપયોગી થઈ શકે તેમ છે.
ઓવરબ્રિજ ઉપર કેમેરા મુકવા જ એવી કોઇ જોગવાઈ નથી: સમીર ધડુક
આ અંગે મહાપાલિકાના ઈડીપી વિભાગ કે જેનામાં કેમેરા મુકવા સહિતની જવાબદારી રહેલી છે તેના અધિકારી સમીર ધડુકને પૂછવામાં આવતાં તેમણે કહ્યું હતું કે ઓવરબ્રિજ ઉપર કેમેરા મુકવા જ એવી કોઈ સ્પષ્ટ જોગવાઈ નથી. આ ઉપરાંત અન્ડરબ્રિજમાં ક્યાંય કેમેરા ન હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું. હવે અત્રે પ્રશ્ન એ ઉપસ્થિત થાય કે ઓવરબ્રિજ ઉપર કેમેરા મુકવાની જોગવાઈ ન હોય તો શું મહાપાલિકા સ્વજ્ઞાન લઈને લોકોની સુરક્ષા માટે કેમેરા ન મુકી શકે ? શું રાજકોટના ઓવરબ્રિજ કે અન્ડરબ્રિજ શહેર બહાર આવ્યા હશે એટલે તંત્ર ઉદાસીન વલણ દાખવી રહ્યું હશે ?
09 અન્ડરબ્રિજ તથા નાળા
01 મહિલા કોલેજ ચોક
02 આમ્રપાલી ફાટક પાસે
03 રેલનગર
04 પોપટપરા નાલુ
05 એસ્ટ્રોન રોડ
06 ડો.દસ્તુર માર્ગ
07 હેમુ ગઢવી હોલ પાસે
08 લક્ષ્મીનગર
09 ગોંડલ રોડ અટિકા પાસે.
રાજકોટના 18 ઓવરબ્રિજ
01 કેકેવી ચોક શ્રીરામ બ્રિજ
02 કેકેવી ચોક ચીમનભાઈ શુક્લ બ્રિજ
03 હોસ્પિટલ ચોક
04 જામનગર રોડ સાંઢિયો પુલ
05 માધાપર ચોકડી ઓવરબ્રિજ
06 રામદેવપીર ચોકડી
07 રૈયા રોડ ચોકડી
08 નાનામવા ચોકડી
09 મવડી ચોકડી
10 ગોંડલ રોડ ચોકડી
11 જડ્ડુસ હોટલ પાસે
12 મોરબી રોડ ફાટક પાસે
13 ભગવતીપરા ફાટક
14 માધાપર ચોકડીથી બાયપાસ
15 આજી ડેમ ચોકડી
16 માર્કેટ યાર્ડ પાસે
17 ગ્રીનલેન્ડ ચોકડી
18 ગોંડલ રોડ ફાટક.
ઓવરબ્રિજમાં સીસીટીવી મુકવા દરખાસ્ત કરાશે: ડીસીપી
રાજકોટ શહેરના દોઢ ડઝન ઓવરબ્રિજ અને અડધો ડઝનથી વધુ અન્ડરબ્રિજ પર લોકોની સુખાકારી અને ટ્રાફિક નિયમનનું પાલન થઈ શકે તે માટે હજુ સુધી એક પણ સ્થળે સીસીટીવી કેમેરા મુકવામાં આવ્યા નથી ત્યારે આ બાબતે રાજકોટ ટ્રાફિક બ્રાન્ચના ડીસીપી હરપાલસિંહ જાડેજાનો સંપર્ક કરતા તેઓએ આ મુદ્દાને સ્વીકારી રાજ્ય સરકાર સમક્ષ કેમેરા મુકવા માટેની દરખાસ્ત મોકલવામાં આવશે તેમ જણાવ્યું છે.
