અમરનાથ યાત્રાળુઓની બસ ખીણમાં ખાબકતા સહેજ અટકી, 35 થી વધુ શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
પવિત્ર બાબા બર્ફાનીના દર્શન કરી અસીમ આસ્થા સાથે પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓ માટે આ ખુશીનો સમય ક્ષણભરમાં ચિંતા અને અફરાતફરીમાં ફેરવાઈ ગયો. જમ્મુ અને કાશ્મીરના રમણીય પરંતુ વાંકાચૂકા પહાડી રસ્તાઓ પર કુદરત અને કિસ્મતે એક મોટો અકસ્માત ટાળ્યો, પરંતુ ૩૯ શ્રદ્ધાળુઓ માટે આ સફર ડરામણી બની રહી.
જમ્મુ અને કાશ્મીરના ગાંદરબલ જિલ્લાના કંગન વિસ્તારમાં હરિગણવાન ખાતે અમરનાથ યાત્રાળુઓથી ભરેલી એક બસ અકસ્માતનો ભોગ બની હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, યાત્રાળુઓને લઈને જતી આ બસ જ્યારે એક તીવ્ર વળાંક લઈ રહી હતી, ત્યારે અચાનક ડ્રાઇવરે વાહન પરથી કાબુ ગુમાવ્યો હતો. પરિણામે, બસ રસ્તા પરથી લપસીને નીચે એક મકાન પર જઈને પટકાઈ હતી.
સદ્ભાગ્યે મોટી જાનહાનિ ટળી:
આ દુર્ઘટના એટલી ભયાનક હતી કે જો બસ સીધી સિંધ નદીમાં ખાબકી હોત તો પરિણામ ખૂબ જ ગંભીર આવી શક્યું હોત. પરંતુ, રસ્તાની નીચે આવેલું એક મકાન બસ માટે કુદરતી અવરોધ બન્યું અને તે ઘર પર જ અટકી ગઈ, જેના કારણે બસ નદીમાં પડતા અટકી ગઈ હતી. રાહતની વાત એ રહી કે જ્યારે આ દુર્ઘટના ઘટી ત્યારે તે ઘરમાં કોઈ હાજર નહોતું.
આ પણ વાંચો: ટૂંક સમયમાં બજારમાં એન્ટ્રી કરશે પ્લાસ્ટિકની ચલણી નોટો|
સ્થાનિકો અને સુરક્ષાદળોની સમયસૂચકતા:
ઘટના અંગે પ્રત્યક્ષદર્શી સ્થાનિકોએ જણાવ્યું હતું કે સવારની પ્રાર્થના બાદ જ્યારે તેઓ ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે એક જોરદાર ધડાકો સાંભળવા મળ્યો. અવાજની દિશામાં દોડીને જોતાં બસ અકસ્માતગ્રસ્ત હાલતમાં જોવા મળી હતી. સ્થાનિક લોકોએ ત્વરિત બચાવ કામગીરી હાથ ધરી કેટલાક યાત્રાળુઓને બહાર કાઢી એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ મોકલ્યા હતા.
થોડી જ વારમાં ગુંડ પોલીસ સ્ટેશનના SHO રઈસ અહમદના નેતૃત્વમાં પોલીસ ટીમ, ITBP, CRPFની ૧૧૮ બટાલિયન, ૨ આસામ રાઇફલ્સ, ૨૧ રાષ્ટ્રીય રાઇફલ્સ, યાત્રા પોલીસ અને સ્થાનિક નાગરિકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને સંયુક્ત રીતે યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરી હતી.
૩૯ શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત, સારવાર શરૂ:
આ અકસ્માતમાં બસમાં સવાર કુલ ૩૯ શ્રદ્ધાળુઓને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. તમામ ઘાયલ યાત્રાળુઓને સુરક્ષિત રીતે બહાર કાઢીને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની યોગ્ય સારવાર ચાલી રહી છે.
લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા દ્વારા સ્થિતિની સમીક્ષા:
આ દુર્ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ તાત્કાલિક ધોરણે તંત્ર પાસેથી વિગતો મેળવી હતી. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને માહિતી આપી હતી કે: “ગાંદરબલના ડેપ્યુટી કમિશનર અને આરોગ્ય અધિકારીઓ સાથે વાત કરી અને આજે સવારે ગાંદરબલના ગનીવાન ખાતે થયેલા દુર્ભાગ્યપૂર્ણ માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા શ્રી અમરનાથજી યાત્રાળુઓના સ્વાસ્થ્ય વિશે માહિતી મેળવી હતી. બાબા બર્ફાનીના દર્શન કરીને પરત ફરી રહેલા ૩૯ યાત્રાળુઓને ઈજા થઈ છે અને તેઓ હાલમાં SKIMSમાં સારવાર લઈ રહ્યા છે.”
