આજથી શાળાઓ શરૂ, પણ બજારમાં ધો.૧ થી ૧૨ના પાઠ્યપુસ્તકોની ભારે તંગી
કાગળના ભાવ ૪૦% ઘટ્યા છતાં ચોપડીઓ સસ્તી ન થઈ: વાલી મંડળમાં રોષ
આજથી રાજ્યભરમાં શાળાઓ વેકેશન પૂરું કરીને રાબેતા મુજબ શરૂ થવા જઈ રહી છે. નવા શૈક્ષણિક સત્રને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ઉત્સાહ તો છે, પરંતુ આ ઉત્સાહ પર પાઠ્યપુસ્તક મંડળના નબળા આયોજને પાણી ફેરવી દીધું છે. અમદાવાદના જાણીતા સ્ટેશનરી માર્કેટ કાગદી બજાર માં દર વર્ષ જેવી રોનક આ વખતે ગાયબ છે, કારણ કે બજારમાં પૂરતા પુસ્તકો જ ઉપલબ્ધ નથી.
વાલી મંડળના સભ્ય નરેશ શાહે ગંભીર સ્થિતિ અંગે જણાવ્યું હતું કે, `સરકાર ભલે દાવા કરે, પણ અત્યારે ધોરણ ૧ થી ૮ માં માંડ ૫૦% પુસ્તકો બજારમાં આવ્યા છે. જ્યારે ધોરણ ૯ થી ૧૨ ના ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમના પુસ્તકો બજારમાંથી બિલકુલ ગાયબ છે.” આ સિવાય સરકારી શાળાઓમાં જે મફત પુસ્તકો આપવામાં આવે છે, તેની ગણતરી પણ ખોરવાઈ છે. આ પુસ્તકો હમણાં જ પ્રિન્ટિગમાં અપાયા હોવાથી બાળકોને મફત પુસ્તકો મેળવવા માટે હજુ એક મહિના સુધી રાહ જોવી પડશે.” સરકારે ચાલુ વર્ષે પાઠ્યપુસ્તકો અને નોટબુક્સના ભાવ સ્થિર રાખવાની જાહેરાત કરીને વાલીઓને રાહત આપવાનો દાવો કર્યો છે.
આ પણ વાંચો: રાજ્યની ITIમાં AIથી લઇ EV વાહનો માટે નવા અભ્યાસક્રમો શરૂ કરાયા
ગત વર્ષની સરખામણીએ આ વર્ષે કોઈ ભાવ વધારો ઝીંકાયો નથી તે વાત સાચી, પરંતુ તેની પાછળનું ગણિત કંઈક અલગ જ વાર્તા કહી રહ્યું છે. વાલી મંડળ અને વેપારીઓના મતે ભૂતકાળમાં કાગળનો ભાવ ૧૦૦ પ્રતિ કિલો હતો, ત્યારે પણ પુસ્તકોની ખછઙ અત્યાર જેટલી જ હતી. આ વર્ષે સરકારે ૬૪ પ્રતિ કિલોના ભાવે કાગળ ખરીદ્યો છે. જેથી કાગળના ભાવમાં સીધો ૪૦% નો ઘટાડો થયો હોવા છતાં, પુસ્તકોની કિમતમાં એક પણ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો નથી. વાલી મંડળની માગ છે કે આ ઘટેલા ભાવનો લાભ સીધો જનતાને મળવો જોઈએ અને પુસ્તકો ૪૦% સસ્તા થવા જોઈએ.
