વિશ્વ પર્યાવરણ દિવસ હરિયાળું ભવિષ્ય આપણી સૌની જવાબદારી
-પર્યાવરણનું રક્ષણ માત્ર સરકારો કે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓની જવાબદારી નથી. દરેક નાગરિક પોતાના દૈનિક જીવનમાં નાના-નાના પગલાં લઈને પણ મોટું યોગદાન આપી શકે છે.
“પૃથ્વી આપણો વારસો નથી, પરંતુ આવનારી પેઢી પાસેથી લીધેલી અમાનત છે.” આ વિચારને સાકાર કરવા માટે દર વર્ષે ૫ જૂનના રોજ સમગ્ર વિશ્વમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ માત્ર ઉજવણી પૂરતો મર્યાદિત નથી, પરંતુ પર્યાવરણ પ્રત્યેની આપણી જવાબદારીનું સ્મરણ કરાવતો અને પ્રકૃતિના સંરક્ષણ માટે પ્રેરણા આપતો મહત્વપૂર્ણ અવસર છે.
વિશ્વ પર્યાવરણ દિવસની શરૂઆત વર્ષ ૧૯૭૨માં સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા સ્વીડનના સ્ટોકહોમ ખાતે યોજાયેલી ઐતિહાસિક પર્યાવરણ પરિષદ બાદ કરવામાં આવી હતી. ત્યારથી દર વર્ષે વિવિધ વિષયો અને સંદેશાઓ સાથે વિશ્વભરમાં આ દિવસની ઉજવણી થાય છે. તેનો મુખ્ય હેતુ પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાનો, કુદરતી સંસાધનોના સંરક્ષણને પ્રોત્સાહન આપવાનો અને ટકાઉ વિકાસ માટે લોકોને પ્રેરિત કરવાનો છે.
આધુનિક યુગમાં વિકાસ, શહેરીકરણ અને ઔદ્યોગિકીકરણના કારણે પર્યાવરણ પર અનેક પ્રકારના જોખમો ઊભા થયા છે. હવા, પાણી અને જમીનનું પ્રદૂષણ માનવ જીવન તેમજ પ્રાણી અને વનસ્પતિ જગત માટે ગંભીર પડકાર બની રહ્યું છે. જંગલોની અંધાધૂંધ કાપણી, પ્લાસ્ટિકનો વધતો ઉપયોગ, ગ્લોબલ વોર્મિગ, આબોહવા પરિવર્તન અને જૈવવિવિધતાનો ઘટાડો સમગ્ર વિશ્વ માટે ચિતાનો વિષય બન્યા છે.
આ પણ વાંચો: હીરો હવે ઝાડ ફરતે ગાતો નથી, BGMના તાલે ગર્જના કરે છે!
આજે પૃથ્વીનું સરેરાશ તાપમાન સતત વધી રહ્યું છે. ઉદ્યોગો અને વાહનોમાંથી નીકળતા ધુમાડા તથા કાર્બન ડાયોક્સાઇડ જેવા વાયુઓના વધતા પ્રમાણને કારણે ગ્લોબલ વોર્મિગની સમસ્યા વિકટ બની રહી છે. પરિણામે અતિવૃષ્ટિ, દુષ્કાળ, ગરમીની લહેરો, વાવાઝોડાં અને અન્ય કુદરતી આફતોમાં વધારો જોવા મળી રહ્યો છે. આ પરિસ્થિતિ માત્ર પર્યાવરણ માટે જ નહીં, પરંતુ માનવ જીવન અને આર્થિક વિકાસ માટે પણ ખતરારૂપ છે.
પાણીની સમસ્યા પણ દિવસેને દિવસે ગંભીર બની રહી છે. ભૂગર્ભ જળનો અતિશય ઉપયોગ, વરસાદી પાણીના અપૂરતા સંચય અને નદીઓ-તળાવોના પ્રદૂષણના કારણે અનેક વિસ્તારોમાં પાણીની અછત સર્જાઈ રહી છે. બીજી તરફ પ્લાસ્ટિક અને ઔદ્યોગિક કચરાના કારણે જળચર પ્રાણીઓના જીવન પર પણ ગંભીર અસર પડી રહી છે.
પર્યાવરણનું રક્ષણ માત્ર સરકારો કે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓની જવાબદારી નથી. દરેક નાગરિક પોતાના દૈનિક જીવનમાં નાના-નાના પગલાં લઈને પણ મોટું યોગદાન આપી શકે છે. વૃક્ષારોપણ કરવું, પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવો, પાણી અને વીજળીની બચત કરવી, કચરાનું યોગ્ય વ્યવસ્થાપન કરવું, જાહેર પરિવહનનો ઉપયોગ વધારવો અને સ્વચ્છતા જાળવવી જેવી સરળ બાબતો પર્યાવરણના સંરક્ષણમાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
શૈક્ષણિક સંસ્થાઓ, સામાજિક સંગઠનો અને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ પર્યાવરણ જાગૃતિ ફેલાવવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. શાળાઓ અને કોલેજોમાં વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન, પર્યાવરણ વિષયક વ્યાખ્યાનો, નિબંધ સ્પર્ધાઓ અને જાગૃતિ કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રત્યેની સંવેદનશીલતા વિકસાવી શકાય છે. આજના વિદ્યાર્થીઓ જ આવતીકાલના જવાબદાર નાગરિકો છે, તેથી તેમના મનમાં પર્યાવરણ પ્રત્યે પ્રેમ અને જવાબદારીની ભાવના વિકસાવવી અત્યંત જરૂરી છે.
વિશ્વ પર્યાવરણ દિવસ આપણને એ સંદેશ આપે છે કે વિકાસ અને પર્યાવરણ વચ્ચે સંતુલન જાળવવું અનિવાર્ય છે. સ્વચ્છ અને હરિયાળું પર્યાવરણ જ સ્વસ્થ અને સમૃદ્ધ જીવનનો આધાર છે. જો આપણે આજે જાગૃત બનીને પર્યાવરણના સંરક્ષણ માટે કાર્ય કરીશું, તો આવનારી પેઢીઓને પણ સ્વચ્છ હવા, શુદ્ધ પાણી અને સુરક્ષિત જીવનપર્યાવરણ આપી શકીશું.
ચાલો, વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે આપણે સૌ સંકલ્પ કરીએ કે પ્રકૃતિના સંરક્ષણ અને સંવર્ધન માટે સક્રિય ભૂમિકા ભજવીશું. વધુમાં વધુ વૃક્ષો વાવીશું, પ્રદૂષણ ઘટાડવા પ્રયત્ન કરીશું, કુદરતી સંસાધનોનો સમજદારીપૂર્વક ઉપયોગ કરીશું અને પૃથ્વીને વધુ હરિયાળી, સ્વચ્છ અને જીવનયોગ્ય બનાવવામાં પોતાનો ફાળો આપીશું. કારણ કે પર્યાવરણની સુરક્ષા એ માત્ર આપણી ફરજ જ નહીં, પરંતુ માનવજાતના ઉજ્જવળ ભવિષ્ય માટેની અનિવાર્ય જરૂરિયાત છે.
