ભારત સાથે ટ્રેડ ડીલ અંગે અમેરિકાના રાજદૂતે શું કહ્યું ? જુઓ
ભારત સાથે ટ્રેડ ડીલ અંગે 99 ટકા વાતચીત સફળ
અમેરિકી રાજદૂત ગોરનું નિવેદન; બાકીના મુદ્દા પણ ઉકેલાશે
ભારત અને અમેરિકા વચ્ચેની ટ્રેડ ડીલને લઈને સતત મોટા અને પોઝિટિવ અપડેટ્સ સામે આવી રહ્યા છે. બંને દેશો વચ્ચે લાંબા સમયથી અટકેલા મુદ્દાઓનો વહેલી તકે ઉકેલ લાવવા માટે હાલમાં જોરશોરથી ચર્ચા ચાલી રહી છે. આ અઠવાડિયાની શરૂઆતમાં જ કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે ખુલાસો કર્યો હતો કે આ ડીલ પર 99% જેટલી વાતચીત સફળતાપૂર્વક પૂરી થઈ ગઈ છે.
હવે ભારતમાં અમેરિકન રાજદૂત સર્જિયો ગોરે પણ આ વાતને ટેકો આપતા જણાવ્યું છે કે, ટ્રેડ ડીલમાં હવે માત્ર 1% જેટલા જ નાના-મોટા મુદ્દાઓ બાકી બચ્યા છે, જેને ઉકેલીને આગામી થોડા જ અઠવાડિયામાં આ મહત્ત્વનો કરાર પૂરો કરી લેવામાં આવશે.
સર્જિયો ગોરે આ અંગે વધુ વિગતો આપતા જણાવ્યું છે કે, આ ટ્રેડ ડીલ પર આખરી ચર્ચા કરવા માટે અમેરિકાનું એક હાઈ-લેવલ વ્યાપાર પ્રતિનિધિમંડળ હાલમાં ભારતના પ્રવાસે આવ્યું છે. આ ઐતિહાસિક કરારનું મુખ્ય માળખું પહેલેથી જ સંપૂર્ણપણે તૈયાર કરી લેવામાં આવ્યું છે. હવે બંને દેશોના અધિકારીઓ સત્તાવાર હસ્તાક્ષર કરતા પહેલા બાકી રહેલા માત્ર 1% જેટલા નાના-મોટા મુદ્દાઓ ઉકેલવા પર જ પોતાનું પૂરું ધ્યાન આપી રહ્યા છે.
સર્જિયો ગોર પહેલા કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે પણ આ ડીલને લઈને આવો જ આશાવાદી સંકેત આપ્યો હતો. તેમણે ચાલુ સપ્તાહની શરૂઆતમાં જ સ્પષ્ટ કર્યું હતું કે, ભારત અને અમેરિકા પોતાના પ્રસ્તાવિત દ્વિપક્ષીય વ્યાપાર કરારના પ્રથમ તબક્કાને આખરી ઓપ આપવાની ખૂબ જ નજીક છે. નાની-મોટી સમસ્યાઓનું વહેલી તકે નિવારણ લાવવામાં આવી રહ્યું છે અને ભારત બહુ જ ટૂંક સમયમાં અમેરિકા સાથે પ્રથમ દ્વિપક્ષીય વ્યાપાર કરાર પર સાઇન કરશે.
