મિડલ ઈસ્ટના સંકટનો ગુજરાત પર પ્રભાવ: પોલીસ-એજન્સીઓ સતર્ક, ધાર્મિક સંગઠનો-સોશિયલ મીડિયા સહિત આ સ્થળો પર ખાસ નજર
અમેરિકા-ઇઝરાયેલ દ્વારા ઈરાન પર થયેલા લશ્કરી હુમલા અને તેની પૃષ્ઠભૂમિમાં કેન્દ્રના ગૃહ મંત્રાલયે દેશભરમાં સંભવિત હિંસા અંગે ચેતવણી આપ્યા બાદ ગુજરાતમાં પણ સુરક્ષા તંત્ર હાઇ એલર્ટ પર મુકાયું છે. રાજ્ય ગૃહ વિભાગે તમામ શહેર પોલીસ કમિશનરો, જિલ્લા પોલીસ વડાઓ તથા કાંઠા સુરક્ષા એજન્સીઓને સંવેદનશીલ સ્થળોએ ખાસ નજર રાખવા સૂચના આપી છે.
ગુજરાતમાં ઈરાન, અમેરિકા કે ઇઝરાયેલના દૂતાવાસો નથી, છતાં રાજ્યની લાંબી દરિયાકાંઠાની સરહદ, આંતરરાષ્ટ્રીય બંદરો અને ઔદ્યોગિક સ્થાપનોને કારણે તંત્ર સતર્ક બન્યું છે. ખાસ કરીને કચ્છ-સૌરાષ્ટ્ર દરિયાકાંઠો, મોટા બંદરો અને તેલ-ગેસ સંબંધિત સ્થાપનો સુરક્ષા દૃષ્ટિએ મહત્વપૂર્ણ ગણાય છે.
કેન્દ્રની માર્ગદર્શિકા મુજબ સુરક્ષા એજન્સીઓને સંવેદનશીલ સ્થળોએ CCTV ચેકિંગ, શંકાસ્પદ ચીજવસ્તુઓની તપાસ અને વિસ્ફોટક પદાર્થ (IED) અંગે સાવચેતી વધારવા સૂચના અપાઈ છે.
ધાર્મિક સંગઠનો, સોશિયલ મીડિયા પર ખાસ નજર
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ તમામ શહેરોમાં પેટ્રોલિંગ વધારાયું છે અને ધાર્મિક-સામાજિક સંગઠનોના જાહેર કાર્યક્રમો પર નજર રાખવા સૂચના અપાઈ છે. સોશિયલ મીડિયા પર ઉશ્કેરણીજનક પોસ્ટ, અફવા અથવા ભડકાઉ મેસેજ ફેલાવવાના પ્રયાસો અટકાવવા સાયબર સેલને ખાસ સક્રિય કરવામાં આવી છે.
અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ સહિત મોટા શહેરોમાં ધાર્મિક સભાઓ તથા વિરોધ પ્રદર્શન પર પોલીસની નજર રહેશે. કોઈપણ જૂથ દ્વારા પરિસ્થિતિનો લાભ લઈ તણાવ ઊભો ન થાય તે માટે સ્થાનિક ઇન્ટેલિજન્સ યુનિટ (LIU) ને સક્રિય કરાયું છે.
કેન્દ્રની માર્ગદર્શિકા મુજબ સુરક્ષા એજન્સીઓને સંવેદનશીલ સ્થળોએ CCTV ચેકિંગ, શંકાસ્પદ ચીજવસ્તુઓની તપાસ અને વિસ્ફોટક પદાર્થ (IED) અંગે સાવચેતી વધારવા સૂચના અપાઈ છે.
ગુજરાતમાં કયા સ્થળો પર ખાસ નજર ?
કંડલા, મુન્દ્રા, પિપાવાવ સહિતના મોટા બંદરો
જામનગરની રિફાઇનરી અને પેટ્રોકેમિકલ સ્થાપનો
કચ્છ-સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો અને કોસ્ટલ વિલેજ
અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટના ભીડભાડ વિસ્તાર
આંતરરાષ્ટ્રીય હોટેલ, રિસોર્ટ અને વિદેશી પ્રવાસીઓ આવતા હોય તે સ્થળો
યહૂદી ધાર્મિક સ્થળો અને સમુદાય કેન્દ્રો
એરપોર્ટ, સમુદ્રી જહાજ ટર્મિનલ અને ટ્રાન્સપોર્ટ હબ
મોટા ધાર્મિક કાર્યક્રમો અને જાહેર સભાઓ
