PM મોદી-જર્મનીના ચાન્સેલરે ગાંધી આશ્રમની મુલાકાત લઈ પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી: ફ્રેડરિક મેર્ઝએ રેંટિયો કાતવાની પ્રક્રિયા નિહાળી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ગુજરાતના પ્રવાસે છે. તેમણે સોમનાથ સ્વાભિમાન પર્વમાં હાજરી આપી હતી અને ત્યારબાદ રાજકોટમાં વાઇબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારે આજે(12મી જાન્યુઆરીએ તેઓ અમદાવાદ પહોંચ્યા હતા ત્યારે મહત્વનું છે કે જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝ પણ અમદાવાદની મુલાકાતે છે ત્યારે PM મોદી અને જર્મનીના ચાન્સેલરએ અમદાવાદના સાબરમતી નદીના તટે ઐતિહાસિક ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે બંને મહાનુભાવોએ મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
વડાપ્રધાન અને જર્મનીના ચાન્સેલરએ આશ્રમ માં ગાંધીજીના નિવાસસ્થાન હૃદય કુંજની પણ મુલાકાત લઈ રેંટિયો કાતવાની પ્રક્રિયાને નિહાળી હતી. ગાંધી આશ્રમની મુલાકાત દરમિયાન ગાંધીજીના સાદગીપૂર્ણ જીવન, આત્મનિર્ભરતાના સંદેશ તેમજ સત્ય અને અહિંસાના મૂલ્યો અંગે બંને નેતાઓએ ઊંડો આદર ભાવ વ્યક્ત કર્યો હતો.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી તથા જર્મનીના ચાન્સેલર શ્રી ફ્રેડરિક મૅર્ઝએ અમદાવાદ ખાતે ઐતિહાસિક સાબરમતી ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી તેમજ મહાત્મા ગાંધીજીને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. મહાનુભાવોએ આશ્રમમાં ગાંધીજીના નિવાસસ્થાન હૃદયકુંજ ખાતે રેંટિયો કાતવાની… pic.twitter.com/du2JL3mJ8r
— CMO Gujarat (@CMOGuj) January 12, 2026
જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝ ગાંધી આશ્રમની મુલાકાત લઈ પ્રભાવિત થયા હતા. તેમણે વિઝિટર્સ બુકમાં મેસેજ આપતા જણાવ્યું કે, સ્વતંત્રતાની શક્તિ અને દરેક વ્યક્તિના મનમાં મહાત્મા ગાંધીનો અડગ વિશ્વાસ આજે પણ આપણને પ્રેરણા આપે છે. આ માનવીય વારસો ભારત અને જર્મનીના લોકોને મિત્રતા દ્વારા એકસાથે જોડે છે, દુનિયામાં આજે પણ ગાંધીજીના ઉપદેશો એટલા જ પ્રસ્તુત છે.
ગાંધી આશ્રમની આ મુલાકાત પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, રાજ્યના મુખ્ય સચિવ એમ. કે. દાસ, સાબરમતી આશ્રમના ચેરપર્સન કાર્તિકેય સારાભાઈ, સાબરમતી આશ્રમ રિવડેલપમેન્ટ કમિટીના ચેરમેન આઈ.પી.ગૌતમ, અમદાવાદ કલેક્ટર સુજીત કુમાર તથા જર્મન ડેલીગેશન અને ગાંધી આશ્રમ સાથે સંકળાયેલા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
